Skip to content
Methodist Church Nadiad

1 કાળવૃતાંત ૨૦

100%

સામાન્ય રીતે વસંતઋતુ બેસતાં રાજાઓ યુદ્ધ કરવા જાય છે. તે વખતે યોઆબે સૈન્યની આગેવાની કરી અને આમ્મોનના પ્રદેશનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. પછી તેણે રાબ્બા આવીને તેને પણ પોતાને તાબે કર્યું. પણ દાઉદ યરુશાલેમમાં જ રહ્યો. યોઆબે રાબ્બા પર હુમલો કર્યો અને તેને જીતી લીધું.

દાઉદે રાબ્બાના રાજા મિલ્કોમના મસ્તક પરથી મુગટ લઈ લીધો અને તેને તેના પોતાના મસ્તક પર મૂક્યો. આ મુગટ સોનાનો બનેલો હતો. અને તેમા રત્નો જડેલાં હતા. તેનું વજન એક તાલંત હતું. દાઉદે નગરમાંથી લૂંટનો પુષ્કળ માલ ભેગો કર્યો હતો.

તેણે નગરના લોકોને બહાર લાવીને તેઓની પાસે કરવતો, તીકમો અને કુહાડીઓથી કામ કરાવ્યું. દાઉદ આમ્મોનીઓના રાજા અને લોકો સાથે આ રીતે વર્તતો હતો. પછી દાઉદ અને તેનું આખું સૈન્ય યરુશાલેમમાં પાછું આવ્યું.

ત્યાર બાદ પલિસ્તીઓની સાથે ગેઝેરમાં યુદ્ધ થયું. એ વખતે હુશાના સિબ્બખાયે, રફાઈમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓની હાર થઈ.

પલિસ્તીઓ સાથે ફરી યુદ્ધ થયું. અને યાઈરના પુત્ર એલ્હાનાને, લાહમીને મારી નાખ્યો. તે ગાથના ગિત્તી ગોલ્યાથનો ભાઈ હતો અને તેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.

ગાથમાં ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર માણસ હતો જેના હાથે છ આંગળીઓ અને પગે પણ છ આંગળી હતી. તે રફાઈમનો વંશજ હતો.

જ્યારે તેણે ઇઝરાયલના સૈન્યનો ધિક્કાર કર્યો, ત્યારે દાઉદના ભાઈ શિમઆના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો.

આ બધા ગાથના રફાઈમના વંશજો હતા. તેઓ દાઉદના અને તેના સૈનિકોના હાથે માર્યા ગયા.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.