યોહાનનો પહેલો પત્ર ૩
૧જુઓ, પિતાએ આપણા પર એટલો પ્રેમ રાખ્યો છે કે, આપણે ઈશ્વરના બાળકો કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેમના બાળકો છીએ. તેથી માનવજગત આપણને ઓળખતું નથી, કેમ કે તેમણે તેમને ઓળખ્યા નહિ.
૨પ્રિયો, હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું.
૩જે દરેકને એવી આશા છે, તે જેમ તેઓ શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.
૪દરેક જે પાપ કરે છે, તે નિયમભંગ પણ કરે છે. કેમ કે પાપ એ જ નિયમભંગ છે.
૫તમે જાણો છો કે પાપનો નાશ કરવાને તેઓ પ્રગટ થયા અને તેમનાંમાં પાપ નથી.
૬જે કોઈ તેમનાંમાં રહે છે, પાપમાં ચાલુ રહેતો નથી, જે પાપ કર્યાં જ કરે છે તેણે તેમને જોયો નથી અને તેમને ઓળખતો પણ નથી.
૭બાળકો, કોઈ તમને ભમાવે નહિ; જેમ તેઓ ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે.
૮જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરતો આવ્યો છે; શેતાનના કામનો નાશ કરવાને ઈશ્વરના પુત્ર આપણા માટે પ્રગટ થયા.
૯દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેમનું બીજ તેમનાંમાં રહે છે; અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે.
૧૦ઈશ્વરનાં બાળકો તથા શેતાનના છોકરાં ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાયીપણું કરતો નથી, જે પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી, તે ઈશ્વરનો નથી.
૧૧કેમ કે જે સંદેશો તમે આરંભથી સાંભળ્યો છે તે એ જ છે કે, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.
૧૨જેમ કાઈન દુષ્ટનો હતો અને પોતાના ભાઈને મારી નાખ્યો, તેના જેવા આપણે થવું જોઈએ નહિ; તેણે શા માટે તેને મારી નાખ્યો? એ માટે કે તેના કામ ખરાબ હતાં અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં.
૧૩ભાઈઓ, જો માનવજગત તમારો દ્વેષ કરે તો તમે આશ્ચર્ય ન પામો.
૧૪આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ; જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.
૧૫દરેક જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હત્યારો છે. અને તમે જાણો છો કે કોઈ હત્યારામાં અનંતજીવન રહેતું નથી.
૧૬એથી પ્રેમ શું છે તે આપણે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણે માટે આપ્યો; એમ જ આપણે પણ ભાઈઓને માટે આપણો પ્રાણ આપવો જોઈએ.
૧૭પણ જેની પાસે આ દુનિયાનું દ્રવ્ય હોય અને પોતાના ભાઈને તેની જરૂરિયાત છે એવું જોયા છતાં તેના પર દયા કરતો નથી, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે?
૧૮બાળકો, આપણે શબ્દથી નહિ કે જીભથી નહિ પણ કાર્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ.
૧૯આ રીતે આપણે જાણીશું કે આપણે સત્યનાં છીએ. જે કોઈ બાબતે આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે, તે વિષે તેમની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું,
૨૦કેમ કે આપણા અંતઃકરણ કરતાં ઈશ્વર મહાન છે. તેઓ સઘળું જાણે છે.
૨૧વહાલાંઓ, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવતું નથી, તો ઈશ્વરની આગળ આપણને હિંમત પ્રાપ્ત થાય છે.
૨૨જે કંઈ આપણે માગીએ છીએ, તે તેમના તરફથી પામીએ છીએ, કેમ કે તેમની આજ્ઞા આપણે પાળીએ છીએ અને તેમને જે પ્રસન્ન થાય છે તે કરીએ છીએ.
૨૩તેમની આજ્ઞા એ છે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તનાં નામ પર આપણે વિશ્વાસ કરીએ અને જેમ તેમણે આપણને આજ્ઞા આપી, તેમ એકબીજા પર પ્રેમ રાખીએ.
૨૪જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે તેમનાંમાં રહે છે અને તેઓ તેનામાં રહે છે. જે આત્મા તેમણે આપણને આપ્યો છે તેથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.
