1 રાજાઓ ૨૨
૧અરામ તથા ઇઝરાયલની વચ્ચે યુદ્ધ ના થયું હોય એ ત્રણ વર્ષનો ગાળો વીતી ગયો.
૨પછી ત્રીજે વર્ષે એમ બન્યું કે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઇઝરાયલના રાજાની પાસે ગયો.
૩હવે ઇઝરાયલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું, “શું તમે જાણો છો કે રામોથ ગિલ્યાદ આપણું છે? પણ આપણે છાનામાના બેસી રહ્યા છીએ અને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી.”
૪તેથી તેણે યહોશાફાટને કહ્યું, “શું તમે યુદ્ધમાં મારી સાથે રામોથ ગિલ્યાદ પર હુમલો કરવા આવશો?” યહોશાફાટે ઇઝરાયલના રાજાને જવાબ આપ્યો, “તારા જેવો જ હું છું, જેવા તારા લોકો તેવા મારા લોકો અને જેવા તારા ઘોડેસવારો તેવા મારા ઘોડેસવારો છે.”
૫યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “આમાં યહોવાહની શી ઇચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જુઓ.”
૬પછી ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે ચારસો માણસોને ભેગા કરીને તેમને પૂછ્યું, “શું હું યુદ્ધ કરવા માટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરું કે ના કરું?” તેઓએ કહ્યું, “હુમલો કરો, કેમ કે પ્રભુ તે સ્થળને રાજાના હાથમાં સોંપશે.”
૭પણ યહોશાફાટે કહ્યું, “શું આ સિવાય યહોવાહનો કોઈ પ્રબોધક અહીં નથી કે આપણે તેને સલાહ પૂછી જોઈએ?”
૮ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “ત્યાં હજી એક પ્રબોધક બાકી છે કે, જેની મારફતે આપણે યહોવાહની સલાહ પૂછી જોઈએ. તે તો ઈમલાહનો દીકરો મિખાયા છે, પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ, પણ ખોટું ભવિષ્ય કહે છે.” પણ યહોશાફાટે કહ્યું, “રાજાએ એવું ન બોલવું જોઈએ.”
૯પછી ઇઝરાયલના રાજાએ એક આગેવાનને બોલાવીને આજ્ઞા કરી કે, “ઈમલાહના દીકરા મિખાયાને હમણાં જ લઈ આવ.”
૧૦હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદિયાનો રાજા યહોશાફાટ સમરુનના દરવાજાના આગળ ખુલ્લાં મેદાનમાં રાજ્યપોષાક પહેરીને પોતપોતાના રાજ્યાસન પર બેઠા હતા. સર્વ પ્રબોધકો તેમની આગળ પ્રબોધ કરતા હતા.
૧૧કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડના શિંગડાં બનાવીને કહ્યું, “યહોવાહ આમ કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેઓને નસાડી મૂકશે.’
૧૨અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, “રામોથ ગિલ્યાદ પર હુમલો કરીને વિજય પ્રાપ્ત કરો, કેમ કે યહોવાહ તેને રાજાના હાથમાં સોંપશે.”
૧૩જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો, તેણે મિખાયાને કહ્યું, “હવે જો, પ્રબોધકોની વાણી સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરીને તારું વચન પણ તેઓમાંના એકના વચન જેવું હોય અને તું પણ એવું જ હિતવચન ઉચ્ચારજે.”
૧૪મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા યહોવાહના સમ કે મને તો યહોવાહ જે કહેશે, તે જ હું બોલીશ.”
૧૫જયારે તે રાજાની પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મિખાયા, શું અમે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે, ના કરીએ?” મિખાયાએ જવાબ આપ્યો, “હુમલો કરો અને વિજય પામો. યહોવાહ તેને રાજાના હાથમાં સોંપશે.”
૧૬પછી રાજાએ તેને કહ્યું, “હું કેટલી વાર તને સોગન આપું કે, તારે મને યહોવાહને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહિ?”
૧૭તેથી મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલને પાળક વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને યહોવાહે કહ્યું, ‘એમનો કોઈ રક્ષક નથી. તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિએ પાછા જાય.’”
૧૮તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું કે, એ મારા વિષે સારું નહિ, પણ માઠું જ બોલશે?”
૧૯પછી મિખાયાએ કહ્યું, “એ માટે તમે યહોવાહની વાત સાંભળો: મેં યહોવાહને તેમના સિંહાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું.
૨૦યહોવાહે કહ્યું, ‘કોણ આહાબને લલચાવે કે જેથી તે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરે અને ત્યાં માર્યો જાય?’ ત્યારે એક જણે આમ કહ્યું અને બીજાએ બીજો જવાબ આપ્યો.
૨૧પછી આત્માએ આગળ આવીને યહોવાહની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને લલચાવીશ.’ યહોવાહે તેને કહ્યું, ‘કેવી રીતે?’
૨૨આત્માએ જવાબ આપ્યો, ‘હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ.’ યહોવાહે જવાબ આપ્યો, ‘તું તેને લલચાવીશ અને સફળ પણ થઈશ. હવે જા અને એ પ્રમાણે કર.’
૨૩હવે જો, યહોવાહે આ તમારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવાહે તમારું અહિત ઉચ્ચાર્યું છે.”
૨૪પછી કેનાહના દીકરા સિદકિયાએ પાસે આવીને મિખાયાના ગાલ પર તમાચો મારીને કહ્યું, “યહોવાહનો આત્મા તારી સાથે બોલવા માટે મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો?”
૨૫મિખાયાએ કહ્યું, “જો, જે દિવસે તું સંતાવા માટે અંદરની ઓરડીમાં ભરાઈ જશે, તે દિવસે તે તું જોશે.”
૨૬ઇઝરાયલના રાજાએ કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના આગેવાન આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે લઈ જાઓ.
૨૭તેને કહો, ‘રાજા એમ કહે છે, આ માણસને જેલમાં પૂરો અને હું સહિસલામત પાછો આવું ત્યાં સુધી થોડી રોટલી તથા પાણીથી તેનું પોષણ કરજો.’
૨૮પછી મિખાયાએ કહ્યું, “જો તું સુરક્ષિત પાછો આવે, તો યહોવાહ મારી મારફતે બોલ્યા નથી એમ સમજવું.” અને વળી તેણે કહ્યું, “હે સર્વ લોકો તમે આ સર્વ સાંભળો.”
૨૯પછી ઇઝરાયલના રાજા આહાબે અને યહૂદિયાના રાજા યહોશાફાટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરી.
૩૦ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો પોષાક બદલીને યુદ્ધમાં જઈશ, પણ તું તારો રાજપોષાક પહેરી રાખ.” તેથી ઇઝરાયલનો રાજા પોતાનો પોષાક બદલીને યુદ્ધમાં ગયો.
૩૧હવે અરામના રાજાએ પોતાના બત્રીસ રથાધિપતિઓને આજ્ઞા કરી હતી, “માત્ર ઇઝરાયલના રાજા સિવાય કોઈપણ નાના કે મોટાની સાથે લડશો નહિ.”
૩૨જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું, “ચોક્કસ આ ઇઝરાયલનો રાજા છે.” તેથી તેઓ તેના પર હુમલો કરવા વળ્યા, તેથી યહોશાફાટે જોરથી બૂમ પાડી.
૩૩અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે આ ઇઝરાયલનો રાજા નથી ત્યારે તેઓએ તેનો પીછો કરવાનું છોડી દીધું.
૩૪પરંતુ એક સૈનિકે તીર છોડ્યું. એ તીર ઇઝરાયલના રાજાને તેના બખ્તરના સાંધાની વચ્ચે થઈને વાગ્યું. તેથી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઈ જા. કેમ કે મને કારમો ઘા વાગ્યો છે.”
૩૫તે દિવસે દારુણ યુદ્ધ મચ્યું અને રાજાને તેના રથમાં અરામીઓ તરફ મોં રહે તે રીતે બેસાડી રાખવામાં આવ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથને તળિયે ગયું અને સાંજ થતાં તે મૃત્યુ પામ્યો.
૩૬પછી દિવસને અંતે સૂર્યાસ્ત થતાં જ રાજાની લશ્કરી છાવણીમાં એક મોટો પોકાર થયો, “દરેક જણ પોતપોતાના નગરમાં અને પોતપોતાના દેશમાં જાઓ!”
૩૭રાજાના મૃતદેહને સમરુનમાં લાવવામાં આવ્યો અને ત્યાં તેને દફનાવવામાં આવ્યો.
૩૮સમરુનના તળાવને કિનારે જ્યાં ગણિકાઓ સ્નાન કરવા આવતી હતી રથ ધોયો અને યહોવાહનો વચન પ્રમાણે કૂતરાંઓએ તેનું લોહી ચાટ્યું.
૩૯આહાબનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું, તથા તેણે બંધાવેલા હાથીદાંતનો મહેલ તેમ જ તેણે જે જે નગરો બાંધ્યા તે સર્વ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલા નથી શું?
૪૦આમ, આહાબ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેના પછી તેનો પુત્ર અહાઝયાહ રાજા બન્યો.
૪૧ઇઝરાયલના રાજા આહાબના ચોથા વર્ષે આસાનો પુત્ર યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
૪૨જયારે યહોશાફાટ રાજા બન્યો, ત્યારે તેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. તેણે યરુશાલેમમાં પચ્ચીસ વર્ષ સુધી રાજય કર્યું. તે શિલ્હીની પુત્રી અઝૂબાહનો દીકરો હતો.
૪૩તે તેના પિતા આસાને પગલે ચાલ્યો અને તેમાંથી ચલિત ન થતાં તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે જ કર્યું. જોકે, ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહોતાં. લોકો હજી તેમાં યજ્ઞ કરતા અને ધૂપ બાળતા હતા.
૪૪યહોશાફાટે ઇઝરાયલના રાજા સાથે સમાધાન કર્યું.
૪૫યહોશાફાટનાં બાકીનાં કાર્યો, તેણે જે પરાક્રમ બતાવ્યું તે અને કેવી રીતે તેણે યુદ્ધ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું?
૪૬તેણે તેના પિતા આસાના દિવસોમાં બાકી રહેલા સજાતીય સંબંધો રાખનારા લોકોને દેશમાંથી દૂર કર્યા.
૪૭અદોમમાં કોઈ જ રાજા નહોતો, પણ અમલદાર રાજ ચલાવતો હતો.
૪૮યહોશાફાટે તાર્શીશી વહાણ બનાવ્યાં; તેઓ સોના માટે ઓફીર જતાં હતાં, પણ તે ત્યાં પહોંચ્યા નહિ કેમ કે વહાણ એસ્યોન-ગેબેર પાસે તૂટી ગયાં હતાં.
૪૯આહાબના દીકરા અહાઝયાહએ યહોશાફાટને કહ્યું, “મારા ચાકરોને તારા ચાકરો સાથે વહાણમાં જવા દે.” પણ યહોશાફાટે ના પાડી.
૫૦યહોશાફાટ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યહોરામ રાજા બન્યો.
૫૧યહૂદિયાના રાજા યહોશાફાટના સત્તરમા વર્ષે આહાબનો દીકરો અહાઝયાહ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો અને તેણે ઇઝરાયલ પર બે વર્ષ રાજ કર્યું.
૫૨તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું, તે પોતાના પિતાના, પોતાની માતાના અને નબાટના દીકરા યરોબામ કે જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેના માર્ગે ચાલ્યો.
૫૩તેણે તેના પિતાએ જે કર્યું હતું તે પ્રમાણે બઆલની પૂજા કરી અને ઇઝરાયલના ઈશ્વર યહોવાહને કોપાયમાન કર્યા.
