Skip to content
Methodist Church Nadiad

1 શમુએલ ૪

100%

શમુએલનું વચન સર્વ ઇઝરાયલીઓ પાસે આવતું હતું. હવે ઇઝરાયલીઓ પલિસ્તીઓ સામે યુદ્ધ કરવા ગયા. તેઓએ એબેન-એઝેરમાં છાવણી નાખી અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી.

પલિસ્તીઓએ ઇઝરાયલીઓ વિરુદ્ધ યુદ્ધ માટે વ્યૂહરચના કરી. જયારે યુદ્ધ થયું, ત્યારે પલિસ્તીઓની સામે ઇઝરાયલીઓ હારી ગયા, પલિસ્તીઓએ યુદ્ધના મેદાનમાં આશરે ચાર હજાર ઇઝરાયલીઓનો સંહાર કર્યો.

જયારે લોકો છાવણીમાં આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, “શા માટે આજે ઈશ્વરે પલિસ્તીઓની સામે આપણને હરાવ્યા? ચાલો આપણે શીલોમાંથી ઈશ્વરનો કરારકોશ પોતાની પાસે લાવીએ, કે તે આપણી સાથે અહીં રહે, જેથી આપણને આપણા શત્રુઓના હાથમાંથી બચાવે.”

જેથી લોકોએ શીલોમાં માણસો મોકલ્યા; તેઓએ ત્યાંથી સૈન્યના ઈશ્વર જે કરુબીમની વચ્ચે બિરાજમાન છે, તેમના કરારકોશને લાવ્યા. એલીના બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ, ઈશ્વરના કરારકોશ સાથે ત્યાં આવ્યા હતા.

જયારે ઈશ્વરના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ મોટેથી પોકાર કર્યો અને પૃથ્વીમાં તેના પડઘા પડ્યા.

પલિસ્તીઓએ એ અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીમાંથી આવા મોટેથી પોકારો કેમ થાય છે?” તેઓ સમજ્યા કે ઈશ્વરનો કોશ તેઓની છાવણીમાં આવ્યો છે.

પલિસ્તીઓ ભયભીત થયા; તેઓએ કહ્યું, “ઈશ્વર છાવણીમાં આવ્યા છે.” તેઓએ કહ્યું, “આપણને અફસોસ! પહેલાં ક્યારેય આવું બન્યું નથી!

આપણને અફસોસ! આ પરાક્રમી ઈશ્વરના હાથમાંથી આપણને કોણ છોડાવશે? આ એ જ ઈશ્વર છે કે જેમણે અરણ્યમાં મિસરીઓને સર્વ પ્રકારની મરકીથી માર્યા હતા.

ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ, હિંમત રાખો, જેમ હિબ્રૂઓ તમારા ગુલામ થયા હતા, તેમ તમે તેઓના ગુલામ ન થાઓ. હિંમત રાખીને લડો.”

૧૦પલિસ્તીઓ લડયા, ઇઝરાયલીઓની હાર થઈ. પ્રત્યેક માણસ પોતપોતાના તંબુમાં નાસી ગયો અને ઘણો મોટો સંહાર થયો; કેમ કે ઇઝરાયલીઓમાંથી ત્રીસ હજાર સૈનિકો માર્યા ગયા.

૧૧પલિસ્તીઓ ઈશ્વરનો કોશ લઈ ગયા તથા એલીના બે દીકરા, હોફની તથા ફીનહાસ, માર્યા ગયા.

૧૨બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી ભાગ્યો, તેના વસ્ત્ર ફાટી ગયેલાં હતા, તેના માથામાં ધૂળ સાથે તે જ દિવસે તે શીલોમાં આવી પહોંચ્યો.

૧૩તે આવ્યો ત્યારે, એલી રસ્તાની કોરે આસન ઉપર બેસીને રાહ જોતો હતો કેમ કે તેનું હૃદય ઈશ્વરના કોશ વિષે ખૂબ જ ગભરાતું હતું. જયારે તે માણસે નગરમાં આવીને તે ખબર આપી, ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું.

૧૪જયારે એલીએ તે રુદનનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું,” આ શોરબકોર શાનો છે?” તે માણસે ઉતાવળથી આવીને એલીને જાણ કરી.

૧૫એલી તો અઠ્ઠાણું વર્ષની ઉંમરનો હતો; તેની આંખો એટલી બધી ઝાંખી પડી ગઈ હતી, કે તે જોઈ શકતો નહોતો.

૧૬તે માણસે એલીને કહ્યું, “યુદ્ધમાંથી જે આવ્યો તે હું છું. આજે હું સૈન્યમાંથી નાસી આવ્યો છું. “તેણે કહ્યું, “મારા દીકરા, ત્યાં શું થયું.?”

૧૭જે માણસ સંદેશો લાવ્યો હતો તેણે ઉત્તર આપીને કહ્યું, “ઇઝરાયલીઓ પલિસ્તીઓ આગળથી ભાગ્યા છે. વળી ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. તારા બન્ને દીકરા, હોફની તથા ફીનહાસ, મરણ પામ્યા છે અને ઈશ્વરનો કોશ શત્રુઓ લઈ ગયા છે.

૧૮જયારે તેણે ઈશ્વરના કોશ વિષે કહ્યું, ત્યારે એલી દરવાજાની પાસેના આસન ઉપરથી ચત્તોપાટ પડી ગયો. તેની ગરદન ભાંગી ગઈ, તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો હતો.

૧૯તેની પુત્રવધૂ, જે ફીનહાસની પત્ની હતી તે ગર્ભવતી હતી અને તેની પ્રસૂતિનો સમય નજીક હતો. તેણે જયારે એવી ખબર સાંભળી કે ઈશ્વરના કોશનું હરણ થયું છે, તેના સસરા તથા તેનો પતિ મરણ પામ્યા છે, ત્યારે તેણે વાંકી વળીને બાળકને જન્મ આપ્યો, તેને ભારે પ્રસૂતિવેદના થતી હતી.

૨૦અને તે વખતે જે સ્ત્રીઓ તેની પાસે ઊભેલી હતી તેઓએ કહ્યું કે,” બી મા, કેમ કે તને દીકરો જન્મ્યો છે.” પણ તેણે કશો ઉત્તર આપ્યો નહિ. અને કંઈ પણ પરવા કરી નહિ.

૨૧તેણે છોકરાનું નામ ઇખાબોદ પાડીને, કહ્યું, “ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે!” કારણ કે ઈશ્વરનો કોશ લઈ જવાયો હતો, તેના સસરાનું તથા પતિનું મૃત્યુ થયું હતું.

૨૨અને તેણે કહ્યું, “હવે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે, કેમ કે ઈશ્વરના કોશનું હરણ થયું છે.”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.