2 શમુએલ ૧૦
૧ત્યાર પછી એમ થયું કે, આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો અને તેના સ્થાને તેનો દીકરો હાનૂન રાજા થયો.
૨દાઉદે કહ્યું, “જેમ તેના પિતાએ મારા પર દયા રાખી હતી તેમ હું નાહાશના દીકરા હાનૂન ઉપર દયા રાખીશ.” દાઉદે તેના પિતાના મૃત્યુ નિમિત્તે તેને દિલાસો આપવા માટે પોતાના દાસોને મોકલ્યા, તેઓ ચાકરોએ આમ્મોનીઓના દેશમાં આવ્યા.
૩પણ આમ્મોનીઓના આગેવાનોએ પોતાના રાજા હાનૂનને કહ્યું કે, “દાઉદે તારી પાસે તને દિલાસો આપવાને માણસો મોકલ્યા છે તેથી તું એવું માને છે કે દાઉદ તારા પિતાનો આદર કરે છે? શું દાઉદે પોતાના દાસોને નગર જોવાને તથા તેની જાસૂસી કરવાને તથા તેનો વિનાશ કરવાને માટે તારી પાસે મોકલ્યા નહિ હોય?”
૪તેથી હાનૂને દાઉદના દાસોની અડધી દાઢીઓ મૂંડાવી નાખી. તેઓનાં કમર નીચે સુધીના વસ્ત્રો કાપી નાખીને તેઓને દૂર મોકલી દીધા.
૫આ બાબત તેઓએ દાઉદને જણાવી, ત્યારે તેણે તેઓને મળવા માટે માણસ મોકલ્યા, કેમ કે તે માણસો ઘણાં શરમાતા હતા. એટલે રાજાએ કહ્યું કે, તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યરીખોમાં રહો અને પછીથી પાછા આવજો.
૬જયારે આમ્મોનીઓએ જોયું કે તેઓ દાઉદની નજરમાં તિરસ્કૃત થયા છે, ત્યારે તેઓએ સંદેશાવાહકો મોકલીને બેથ-રાહોબના તથા સોબાહના અરામીઓમાંથી વીસ હજાર પાયદળ સૈનિકો, હજાર માણસો સહિત માકાના રાજાને, તથા ટોબના બાર હજાર માણસો વેતન આપી સૈન્યમાં દાખલ કર્યા.
૭જયારે દાઉદે તે વિષે સાંભળ્યું, ત્યારે તેણે યોઆબ અને સૈન્યના સઘળા સૈનિકોને મોકલ્યા.
૮આમ્મોનીઓએ બહાર નીકળીને તેમના નગરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ વ્યૂહરચના કરી, સોબાહના તથા રહોબના અરામીઓ, ટોબના તથા માકાના માણસો પોતે ખુલ્લાં મેદાનમાં અલગ ઊભા હતા.
૯જયારે યોઆબે જોયું કે પોતાની આગળ તથા પાછળ યુદ્ધવ્યૂહ રચાયેલો છે, ત્યારે તેણે ઇઝરાયલના ઉત્તમ લડવૈયાઓમાંથી કેટલાકને પસંદ કર્યા અને તેઓને અરામીઓ સામે ગોઠવ્યા.
૧૦બાકીના સૈન્યને તેણે પોતાના ભાઈ અબિશાયના અધિકાર નીચે રાખ્યા, તેણે તેઓને આમ્મોનના સૈન્યની સામે યુદ્ધ માટે ગોઠવ્યા.
૧૧યોઆબે અબિશાયને કહ્યું કે, “જો અરામીઓ અમને ભારે પડે, તો તું મને નિશ્ચે બચાવજે. પણ જો આમ્મોનીઓનું સૈન્ય તને ભારે પડે, તો હું આવીને તને બચાવીશ.
૧૨બહાદુરી બતાવજો, આપણે આપણા લોકને માટે તથા ઈશ્વરના નગરોને માટે શૂરાતન બતાવીએ, પછી ઈશ્વર પોતાના ઉદ્દેશ માટે તેમને જે યોગ્ય લાગે તે મુજબ કરે.”
૧૩યોઆબ અને તેના સૈન્યના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવાને આગળ આવ્યા અને તેઓ ઇઝરાયલના સૈન્યની આગળથી નાસી ગયા.
૧૪જયારે આમ્મોનીઓના સૈન્યએ જોયું કે અરામીઓ નાસી ગયા છે, ત્યારે તેઓ પણ અબિશાયની આગળથી નાસીને નગરમાં જતા રહ્યા. પછી યોઆબ આમ્મોનીઓ પાસેથી પાછો વળીને યરુશાલેમમાં પરત આવ્યો.
૧૫અને જયારે અરામીઓએ જોયું કે તેઓને ઇઝરાયલે પરાજિત કર્યા છે, ત્યાર પછી તેઓ ફરીથી એકત્ર થયા.
૧૬પછી હદાદેઝેરે માણસ મોકલીને ફ્રાત નદીની પેલી બાજુ રહેનાર અરામીઓના સૈન્યને બોલાવ્યું. તેના સૈનિકો હદાદેઝેરના સૈન્યના સેનાપતિ શોબાખની આગેવાની નીચે હેલામમાં આવ્યા.
૧૭જયારે દાઉદને એની બાતમી મળી ત્યારે તેણે સર્વ ઇઝરાયલને એકત્ર કર્યા, તે યર્દન ઓળંગીને હેલામમાં આવ્યો. અરામીઓએ પોતે દાઉદ સામે વ્યૂહરચના કરી અને તેની સાથે લડ્યા.
૧૮અરામીઓ ઇઝરાયલ સામેથી નાસી ગયા. દાઉદે અરામીઓના સાતસો રથસવારોને તથા ચાળીસ હજાર ઘોડેસવારોને મારી નાખ્યા. તેઓના સૈન્યનો સેનાપતિ શોબાખ ઘવાયો અને ત્યાં જ મરણ પામ્યો.
૧૯જયારે સઘળા રાજાઓ જે હદાદેઝેરના તાબેદારો હતા તેઓએ જોયું કે તેઓ ઇઝરાયલ દ્વારા પરાજિત થયા છે, ત્યારે અરામીઓએ ઇઝરાયલ સાથે સંધિ કરીને તેઓના તાબેદારો થયા. તેથી ત્યાર બાદ અરામીઓ આમ્મોન પુત્રોની મદદે આવતાં ગભરાતા હતા.
