Skip to content
Methodist Church Nadiad

પ્રેરિતોનાં કૃત્યો ૧

100%

પ્રિય થિયોફિલ, ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી જે આજ્ઞા આપી,

અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી તેઓ જે કાર્ય કરતા તથા શિક્ષણ આપતા રહ્યા, તે બધી બિના વિષે મેં પહેલું પુસ્તક લખ્યું છે;

ઈસુએ મરણ સહ્યાં પછી તેઓને ઘણી સાબિતીઓથી પોતાને સજીવન થયેલા બતાવ્યા, ચાળીસ દિવસ સુધી તે તેઓની સમક્ષ પ્રગટ થતાં અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતાં રહ્યા.

તેઓની સાથે મળીને ઈસુએ તેઓને આજ્ઞા આપી કે, તમે યરુશાલેમથી જતા ના, પણ ઈશ્વરપિતાનું જે આશાવચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતાં રહેજો;

કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.

હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ ઈસુને પૂછ્યું કે, પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયલના રાજ્યને પુનઃસ્થાપિત કરશો?

ઈસુએ તેઓને જણાવ્યું કે, જે યુગો તથા સમયો પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું કામ તમારું નથી.

પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, સમગ્ર યહૂદિયામાં, સમરુનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.

એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા; અને વાદળોએ તેઓની દૃષ્ટિથી તેમને ઢાંકી દીધાં.

૧૦તે જતા હતા ત્યારે તેઓ સ્વર્ગ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા હતા, એવામાં ચળકતાં વસ્ત્ર પહેરેલા બે દૂત તેઓની પાસે ઊભા રહ્યા.

૧૧તેઓએ કહ્યું કે, ગાલીલના માણસો, તમે સ્વર્ગ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે, તેઓને જેમ તમે સ્વર્ગમાં જતા જોયા તે જ રીતે તેઓ પાછા આવશે.

૧૨ત્યારે જૈતૂન નામનો પહાડ જે યરુશાલેમની પાસે, વિશ્રામવારની મુસાફરી જેટલે દૂર છે, ત્યાંથી તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.

૧૩તેઓ ત્યાં આવ્યા ત્યારે જે ઉપરના માળ પર તેઓ રહેતા હતા ત્યાં ગયા. એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝેલોતસ, તથા યાકૂબનો ભાઈ યહૂદા મેડી પર ગયા.

૧૪તેઓ સર્વ સ્ત્રીઓ સહિત, ઈસુની મા મરિયમ તથા તેમના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતાં હતાં.

૧૫તે દિવસોમાં પિતરે, આશરે એકસો વીસ વિશ્વાસી લોકોની વચ્ચે ઊભા થઈને કહ્યું કે,

૧૬ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને દોરનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્રવચન પૂર્ણ થવાની આવશ્યકતા હતી.

૧૭કેમ કે તે આપણામાંનો એક ગણાયો હતો, અને આ સેવાકાર્યમાં તેને ભાગ મળ્યો હતો.

૧૮હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું. અને પછી પ્રથમ તે ઊંધા મોઢે પટકાયો, વચમાંથી ફાટી ગયો અને તેનાં બધાં આંતરડાં નીકળી પડ્યાં.

૧૯યરુશાલેમના બધા રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલ્દમા, એટલે લોહીનું ખેતર, એવું પાડવામાં આવ્યું.

૨૦કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે કે, “તેની રહેવાની જગ્યા ઉજ્જડ થાઓ; અને તેમાં કોઈ ન વસે,” અને, “તેનું અધ્યક્ષપદ બીજો લે.”

૨૧માટે યોહાનના બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યા તે દિવસ સુધી ઈસુએ આપણામાં આવ જા કરી.

૨૨તે સઘળા સમયોમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે ઈસુના મરણોત્થાનના સાક્ષી થવું જોઈએ.

૨૩ત્યારે યૂસફ જે બર્સબા કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી તેને તથા માથ્થિયાસને તેઓએ રજૂ કર્યા.

૨૪તેઓએ પ્રાર્થના કરી કે, હે અંતર્યામી પ્રભુ,

૨૫જે સેવાકાર્ય તથા પ્રેરિતપદમાંથી પતિત થઈને યહૂદા પોતાને ઠેકાણે ગયો, તેની જગ્યા પૂરવાને આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે અમને બતાવો.

૨૬પછી તેઓએ તેઓને સારુ ચિઠ્ઠીઓ નાખી. તેમાં માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.