Skip to content
Methodist Church Nadiad

ક્લોસ્સીઓને પત્ર ૨

100%

હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારા વિષે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓ વિષે તથા જેટલાંએ મને રૂબરૂ જોયો નથી તેઓને વિષે હું કેટલો બધો યત્ન કરું છું કે,

તેઓનાં હૃદયો દિલાસો પામે અને ઈશ્વરનો મર્મ એટલે ખ્રિસ્તને સમજવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, પ્રેમથી સંગતમાં રહે.

તેમનાંમાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.

કોઈ માણસ મીઠી વાતોથી તમને છેતરે નહિ માટે હું તે કહું છું.

કેમ કે શારીરિક રીતે હું તમારાથી દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું; તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને હું આનંદ પામું છું.

તે માટે જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યાં છે તેમ તેમનાંમાં ચાલો,

તેમનાંમાં રોપાયેલા, સ્થપાયેલાં અને જેમ શિખામણ પામ્યા તે પ્રમાણે વિશ્વાસમાં સ્થિર રહીને તેમની વધારે આભારસ્તુતિ કરો.

સાવધાન રહો, કે, છેતરનાર ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રીતિરિવાજ પ્રમાણે અને જગતના સિદ્ધાંતો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે નહીં.

કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે.

૧૦તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે;

૧૧જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનાંમાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો.

૧૨તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.

૧૩તમે તમારા અપરાધોમાં તથા તમારા મનુષ્યદેહની બેસુન્નતમાં મૃત હતા ત્યારે તેમણે તમારા સર્વ અપરાધોની માફી આપીને તમને ખ્રિસ્તની સાથે સજીવન કર્યાં.

૧૪અને નિયમોનું તહોમતનામું જે આપણી વિરુદ્ધ હતું; અને આપણને પ્રતિકૂળ હતું, તેને રદ કરીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને નાબૂદ કરી નાખ્યું.

૧૫રાજ્યો તથા અધિકારો તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર વિજય પામીને તેઓને જાહેરમાં ઉઘાડાં પાડ્યાં.

૧૬તેથી ખાવાપીવાની બાબતમાં તથા પર્વ, પૂનમ કે વિશ્રામવાર પાળવામાં કોઈ તમને દોષિત ઠરાવે નહિ.

૧૭તેઓ તો થનાર વાતોની પ્રતિછાયા છે, પણ વાસ્તવિકતા તો ખ્રિસ્ત છે.

૧૮નમ્રતા તથા સ્વર્ગદૂતોની સેવા પર ભાવ રાખવા કોઈ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે.

૧૯તે શિરને વળગી રહેતો નથી, એ શિર થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.

૨૦જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાંની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો?

૨૧‘જેમ કે અમુકને સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.’”

૨૨એ બધી બાબતો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે વપરાશથી જ નાશ પામનારી છે.

૨૩તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દંભી દેહદમન વિષે ડહાપણનો આભાસ છે, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.