Skip to content
Methodist Church Nadiad

પુનર્નિયમ ૨૭

100%

અને મૂસાએ તથા ઇઝરાયલના આગેવાનોએ લોકોને આજ્ઞા આપી કે, “જે આજ્ઞાઓ આજે હું તમને બધાને ફરમાવું છું તે સર્વ પાળો.

જયારે તમે યર્દન નદી ઓળંગીને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમે જાઓ ત્યારે તમારે પોતાને સારુ મોટા પથ્થર ઊભા કરીને તેના પર ચૂનાનો લેપ મારજો.

પાર ઊતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેના પર તમારે લખવા. તમે યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે એટલે કે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ, યહોવાહ તમારા પિતૃઓના ઈશ્વરે તમને આપેલા વચન પ્રમાણે તમને આપે છે, તેમાં તમે જાઓ.

જયારે તમે યર્દન પાર કરી રહો, ત્યારે આ પથ્થરો જે વિષે હું આજે તમને આજ્ઞા આપું છું તેઓને એબાલ પર્વત પર મૂકવા અને તેના પર ચૂનો લેપ કરવો.

ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરના નામે પથ્થરની વેદી બાંધવી, પણ તમે તે પથ્થર પર લોખંડનું હથિયાર વાપરશો નહિ.

તમારે યહોવાહ તમારા ઈશ્વર માટે વેદી બાંધવા સારુ અસલ પથ્થરોનો ઉપયોગ કરવો, તેના ઉપર યહોવાહ તમારા ઈશ્વર માટે દહનીયાર્પણ ચઢાવવાં.

તમારે શાંત્યર્પણો ચઢાવીને ત્યાં ખાવું; તમારે યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો.

પથ્થરો ઉપર તારે નિયમના બધા શબ્દો સ્પષ્ટ રીતે લખવા.”

મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું, “હે ઇઝરાયલ શાંત રહો અને સાંભળો. આજે તમે યહોવાહ તમારા ઈશ્વરની પ્રજા થયા છે.

૧૦તે માટે તમારે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળવો, આજે હું તમને જે આજ્ઞાઓ અને કાનૂનો ફરમાવું છું તેનું પાલન કરવું.”

૧૧તે જ દિવસે મૂસાએ તે લોકોને આજ્ઞા આપીને કહ્યું,

૧૨“યર્દન નદી પાર કર્યા પછી લોકોને આશીર્વાદ આપવા, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ તથા બિન્યામીન કુળો ગરીઝીમ પર્વત પર ઊભાં રહે.

૧૩રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે.

૧૪લેવીઓ જવાબ આપીને મોટે અવાજે સર્વ ઇઝરાયલના માણસોને કહે.

૧૫‘જે માણસ કોતરેલી કે ગાળેલી ધાતુની એટલે કારીગરના હાથે બનેલી પ્રતિમા, જે યહોવાહને ઘૃણાસ્પદ લાગે છે તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે તે શાપિત હો.’ અને બધા લોકો જવાબ આપીને કહે, ‘આમીન.’”

૧૬‘જે કોઈ માણસ પોતાના પિતા કે માતાનો અનાદર કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

૧૭‘જે કોઈ માણસ પોતાના પડોશીની જમીનની સીમાનું નિશાન હઠાવે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

૧૮‘જે કોઈ માણસ અંધ વ્યક્તિને રસ્તાથી દૂર ભમાવે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

૧૯‘જે કોઈ માણસ પરદેશી, અનાથ કે વિધવાનો અન્યાય કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

૨૦‘જે કોઈ માણસ પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે શાપિત થાઓ, કેમ કે, તેણે પોતાના પિતાની નિવસ્ત્રતા જોઈ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

૨૧‘જે કોઈ માણસ કોઈ પણ પ્રકારના પશુંની સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

૨૨‘જો કોઈ માણસ પોતાની બહેન સાથે, પોતાના પિતાની દીકરી, પોતાની માતાની દીકરી સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

૨૩‘જે કોઈ માણસ તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

૨૪‘જે કોઈ માણસ પોતાના પડોશીને ગુપ્ત રીતે મારી નાખે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

૨૫‘જે કોઈ માણસ નિર્દોષ માણસને મારી નાખવા માટે લાંચ લે તો તે માણસ શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’

૨૬‘જે કોઈ માણસ આ નિયમના શબ્દોનું પાલન ન કરે તો તે માણસ શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.