એફેસીઓને પત્ર ૨
૧વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા;
૨એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા;
૩તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.
૪પણ જે દયાથી ભરપૂર છે તે ઈશ્વરે, જે પ્રીતિ આપણા પર કરી, તે પોતાના અત્યંત પ્રેમને લીધે,
૫આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા, કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો;
૬અને તેમની સાથે ઉઠાડીને ખ્રિસ્ત ઈસુની મારફતે સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે આપણને બેસાડ્યા;
૭એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે.
૮કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે;
૯કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે;
૧૦કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.
૧૧એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા;
૧૨તે સમયે તમે આ જગતમાં ખ્રિસ્તરહિત, ઇઝરાયલની નાગરિકતાના હક વગરના, પ્રભુના આશાવચનના કરારોથી પારકા, આશારહિત તથા ઈશ્વર વગરના હતા.
૧૩પણ પહેલાં તમે જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમના રક્તથી નજદીક આવ્યા છો.
૧૪કેમ કે તે ઈસુ આપણી શાંતિ સમાધાન છે, તેમણે બન્નેને એક કર્યા, અને આપણી વચ્ચેની આડી દીવાલ પાડી નાખી છે;
૧૫સલાહ કરીને પોતાનામાં તે બન્નેનું એક નવું માણસ કરવાને,
૧૬અને વધસ્તંભ પર વૈરનો નાશ કરીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને, તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપી વૈરને નાબૂદ કર્યું.
૧૭અને તેમણે આવીને તમે જેઓ દૂર હતા તેઓને તથા જે પાસે હતા તેઓને શાંતિની સુવાર્તા પ્રગટ કરી;
૧૮કેમ કે તેમના દ્વારા એક આત્મા વડે આપણે બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.
૧૯એ માટે તમે હવે પારકા તથા બહારના નથી, પણ સંતોની સાથેના એક નગરના તથા ઈશ્વરના કુટુંબનાં છો.
૨૦પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે;
૨૧તેમનાંમાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર ભક્તિસ્થાન બને છે;
૨૨તેમનાંમાં તમે પણ ઈશ્વરના નિવાસને સારુ આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.
