નિર્ગમન ૧૩
૧પછી યહોવાહે મૂસાને કહ્યું,
૨“તમામ ઇઝરાયલીઓએ પોતાના બધા જ પ્રથમજનિતને પવિત્ર કરવા. પરિવારમાં પ્રથમ જન્મેલા પુરુષને તથા પશુને મારે માટે પવિત્ર કરવા; તેઓ મારા છે.”
૩મૂસાએ લોકોને કહ્યું, “જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના ઘરમાંથી બહાર આવ્યા તે દિવસને તમે યાદ રાખજો, યહોવાહ પોતાના પરાક્રમ વડે તમને બહાર લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ.
૪આબીબ માસના આ દિવસે તમે બહાર આવ્યા છો.
૫અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે યહોવાહ તમને દૂધ તથા મધથી રેલછેલવાળો એવા કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જાય ત્યારે તમારે આ પ્રમાણે ભજન કરવું.”
૬“સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી. સાતમે દિવસે ઈશ્વરનું આ પર્વ પાળવું.”
૭એ સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી. તમારા આખા પ્રદેશમાં ક્યાંય પણ ખમીરવાળી રોટલી હોવી જોઈએ નહિ.
૮તે દિવસે તમારે તમારાં બાળકોને કહેવું કે, ‘ઈશ્વર અમને મિસરમાંથી બહાર લાવ્યા ત્યારે યહોવાહે અમારા માટે જે કર્યુ હતું, તે માટે આ પર્વ પાળવામાં આવે છે.’
૯“આ પર્વનું પાલન તમારા હાથ પર અને તમારી આંખો વચ્ચે કપાળ પર યાદગીરીના સૂચક ચિહ્ન જેવું રહેશે. તે તમને યાદ રખાવશે તમારા મુખમાં યહોવાહનાં વચનો રહે. કેમ કે યહોવાહ તમને સામર્થ્યવાન હાથથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છે.
૧૦એટલા માટે તમારે આ પર્વ દર વર્ષે નિયત સમયે પાળવું અને ઊજવવું.”
૧૧“યહોવાહ તમને અને તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમને કનાનીઓના દેશમાં લઈ જાય અને તે દેશ તમને આપે,
૧૨ત્યારે તમારા સર્વ પ્રથમજનિતોને તથા સર્વ પશુઓનાં પ્રથમજનિતોને તમારે યહોવાહ ને માટે સમર્પિત કરવા જેથી તમામ નર પ્રથમજનિતો યહોવાહના થાય.
૧૩પ્રત્યેક ગધેડા ના પ્રથમ બચ્ચાંને તેને બદલે એક હલવાન અર્પણ કરીને, યહોવાહ પાસેથી તે પાછું મેળવવું. અને જો તેને મેળવવાની કે છોડાવવાની તમારી મરજી ના હોય તો તેની ગરદન તમારે ભાંગી નાખવી. વળી તમારા પુત્રોમાંના સર્વ પ્રથમજનિતોને પણ તારે મૂલ્ય આપીને છોડાવવા.”
૧૪“ભવિષ્યમાં તમારાં બાળકો તમને પૂછે કે, ‘આનો અર્થ શો છે?’ ત્યારે તમે કહેજો કે, ‘યહોવાહ પોતાના હાથનાં સામર્થ્ય વડે અમને મિસરમાંથી, ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા હતા.
૧૫ફારુન હઠે ચડયો હતો, તેથી તે અમને બહાર જવા દેતો ન હતો. ત્યારે યહોવાહે મિસર દેશના બધા પ્રથમજનિતને એટલે પ્રથમજનિત પુરુષોનો તથા પ્રથમજનિત નર જાનવરોનો સંહાર કર્યો હતો. તેથી પ્રથમજનિત સર્વ નર પશુઓને અમે યહોવાહને અર્પણ કરીએ છીએ, પણ અમારા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે મૂલ્ય ચૂકવીને છોડાવીએ છીએ.’
૧૬અને એ વિધિ તમારા હાથ પર ચિહ્નરૂપ તથા તમારી આંખોની વચ્ચે કપાળ પર ચાંદરૂપ બની રહેશે; કારણ કે યહોવાહ આપણને પોતાના પરાક્રમી હાથથી મિસરની બહાર લઈ આવ્યા હતા. એની આ સ્મૃતિ બની છે.”
૧૭જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં પણ તે રસ્તે તેઓને લઈ ગયા નહિ. કેમ કે યહોવાહે વિચાર્યું કે, “રખેને યુદ્ધ થાય અને લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય.”
૧૮એટલે યહોવાહ તેઓને બીજે રસ્તે થઈને એટલે રાતા સમુદ્ર પાસેના અરણ્યના રસ્તે તેઓને લઈ ગયા. ઇઝરાયલપુત્રો શસ્ત્રસજજ થઈને મિસરમાંથી બહાર આવ્યા હતા.
૧૯મૂસાએ યૂસફનાં અસ્થિ સાથે લઈ લીધાં હતાં. કેમ કે યૂસફે ઇઝરાયલપુત્રોને સોગન દઈને કહ્યું હતું કે, “યહોવાહ જરૂર તમારી મદદે આવશે, તમને અહીંથી છોડાવશે. ત્યારે તમે વિદાય થાઓ તે વખતે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો.”
૨૦પછી ઇઝરાયલીઓએ સુક્કોથથી પ્રયાણ કરીને અને એથામમાં અરણ્યની સરહદ પર મુકામ કર્યો.
૨૧દિવસે તેઓને રસ્તો બતાવવા માટે યહોવાહ મેઘસ્તંભમાં તેમ જ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભમાં તેઓની આગળ ચાલતા હતા.
૨૨દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ તેઓની આગળથી જરા પણ ખસતા ન હતા, યહોવાહ સતત તેઓની સાથે રહેતા હતા.
