નિર્ગમન ૩૪
૧યહોવાહે મૂસાને કહ્યું, “પ્રથમના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવ. અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો લખેલા હતા, તે હું આ પાટીઓ પર લખીશ.
૨સવારમાં સિનાઈ પર્વત ઉપર આવવા માટે તું તૈયાર રહેજે અને સિનાઈ પર્વતના શિખર પર ચઢી શિખર પર મારી રાહ જોતો ઊભો રહેજે.
૩તારી સાથે કોઈ ઉપર ના આવે. તેમ જ પર્વત પર કોઈ માણસ દેખાય નહિ. તેમ જ પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે જાનવરો પણ ચરતાં હોવા જોઈએ નહિ.”
૪મૂસાએ પ્રથમની પાટીઓના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠ્યો અને યહોવાહે તેને જેમ કહ્યું હતું તે પ્રમાણે તેના હાથમાં શિલાપાટીઓ લઈને તે સિનાઈ પર્વત પર ચઢી ગયો.
૫યહોવાહ મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ત્યાં ઊભા રહ્યા અને તેમણે પોતાનું નામ “યહોવાહ” જાહેર કર્યું.
૬યહોવાહ તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “યહોવાહ, યહોવાહ દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, ક્રોધ કરવામાં ધીમા અને કરૂણાથી ભરપૂર તથા વિશ્વાસપાત્ર છું.
૭હું યહોવાહ હજારો પેઢી સુધી કરૂણા રાખનાર, અન્યાય, ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર; પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી છોકરાંના છોકરાં પર બદલો વાળનાર છું.”
૮મૂસાએ એકદમ જમીન પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં.
૯પછી તેણે કહ્યું, “હે પ્રભુ યહોવાહ, જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવાહ અમારી મધ્યે ચાલે, કેમ કે આ લોકો તો હઠીલા છે. અમારો અધર્મ અને અમારાં પાપ માફ કરો અને અમોને તમારો વારસો કરી લો.”
૧૦યહોવાહે કહ્યું, “જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્ચર્યકૃત્યો તારા સર્વ લોકોની આગળ હું કરીશ. જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાહનું કામ જોશે, કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.
૧૧હું આજે તને જે આજ્ઞા આપું છું તે તું પાળ. જો હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરિઝીઓને, હિવ્વીઓને તથા યબૂસીઓને તારી આગળથી કાઢી મૂકું છું.
૧૨જો, જે દેશમાં તું જાય તેના રહેવાસીઓ સાથે તું કરાર ન કરતો, રખેને તારી મધ્યે તે ફાંદારૂપ થઈ પડે.
૧૩તેના બદલે, તમારે તેઓની વેદીઓ તોડી પાડવી, તેના સ્તંભોને ભાંગી નાખવા અને તેમની અશેરા મૂર્તિઓને કાપી નાખવી.
૧૪કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહિ, કેમ કે હું યહોવાહ છું, મારું નામ ‘ઈર્ષ્યાળુ’ છે. હું મારા માન કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું.
૧૫તારે દેશના રહેવાસીઓની સાથે કરાર કરવો નહિ. તેઓ વ્યભિચાર કરે છે તથા તેમના દેવોની પાછળ ભટકી જઈને તેમના દેવોને યજ્ઞ ચઢાવે છે અને કોઈના આમંત્રણથી તું તેના અર્પણમાંથી ખાય.
૧૬રખેને તું તેઓની દીકરીઓ સાથે તારા દીકરાઓના લગ્ન કરાવે અને તેમની દીકરીઓ વ્યભિચાર કરશે અને તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.
૧૭તું પોતાને માટે કોઈ દેવની ઢાળેલી મૂર્તિ ન બનાવ.
૧૮તું બેખમીરી રોટલીનું પર્વ પાળ. જેમ મેં તને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં નિયુક્ત કરેલ સમયના સાત દિવસો સુધી તું બેખમીરી રોટલી ખા, કેમ કે તુ આબીબ માસમાં મિસર દેશમાંથી નીકળ્યો હતો.
૧૯સર્વ પ્રથમજનિત મારા છે, એટલે તારા સર્વ નર પશુઓ, બળદો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિત.
૨૦ગધેડાના પહેલા વાછરડાને તું હલવાન વડે ખંડી લે, પણ જો તેને ખંડી લેવો ન હોય તો તું તેની ગરદન ભાંગી નાખ. તારા સર્વ પ્રથમજનિત દીકરાઓને તું ખંડી લે. અને મારી આગળ કોઈ ખાલી હાથે હાજર ન થાય.
૨૧છ દિવસ તારે કામ કરવું, પણ સાતમાં દિવસે તારે આરામ કરવો. ખેડવાના અને કાપણીના સમયે પણ તારે આરામ કરવો.
૨૨તું અઠવાડિયાનું પર્વ, એટલે ઘઉંની કાપણીના પ્રથમ ફળનું તથા વર્ષના છેલ્લાં સંગ્રહનું પર્વ પાળ.
૨૩દર વર્ષે તારા સઘળા પુરુષો ઇઝરાયલના ઈશ્વર યહોવાહની આગળ ત્રણવાર હાજર થાય.
૨૪કેમ કે હું તારી આગળથી દેશ જાતિઓને હાંકી કાઢીશ અને તારી સીમાઓ વધારીશ. જ્યારે તું ત્રણવાર ઈશ્વર તારા યહોવાહની આગળ હાજર થવાને જશે, ત્યારે કોઈ પણ માણસ તારી જમીનનો લોભ કરશે નહિ.
૨૫ખમીર સાથે તું મારા યજ્ઞનું રક્ત ન ચઢાવીશ, તેમ જ પાસ્ખા પર્વનો યજ્ઞ સવાર સુધી પડ્યો ન રહે.
૨૬તારી જમીનનું પ્રથમ ફળ તું ઈશ્વર તારા યહોવાહના ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માતાના દૂધમાં બાફીશ નહિ.”
૨૭યહોવાહે મૂસાને કહ્યું, “તું આ વચનો લખ, કેમ કે આ વચનો પ્રમાણે મેં તારી સાથે વાત કરી છે અને તારી તથા ઇઝરાયલીઓની સાથે કરાર કર્યો છે.”
૨૮મૂસા ત્યાં યહોવાહ ની સાથે ચાળીસ દિવસ તથા ચાળીસ રાત હતો; તેણે રોટલી ખાધી ન હતી, તેમ જ પાણી પણ પીધું ન હતું. તેણે શિલાપાટીઓ ઉપર કરારના શબ્દો, એટલે દશ આજ્ઞાઓ લખી.
૨૯જયારે મૂસા સિનાઈ પર્વત પરથી ઊતર્યો, ત્યારે તેના હાથમાં કરારના બે શિલાપાટીઓ હતી, મૂસા જાણતો ન હતો કે તેનો પોતાનો ચહેરો ઈશ્વર સાથે વાત કર્યાને લીધે પ્રકાશતો હતો.
૩૦જયારે હારુન તથા સર્વ ઇઝરાયલીઓએ મૂસાને જોયો, ત્યારે તેનો ચહેરો પ્રકાશતો હતો અને તેઓ તેની પાસે આવતાં ગભરાતા હતા.
૩૧પણ મૂસાએ તેઓને બોલાવ્યા અને હારુન તથા સભાના સર્વ અધિકારીઓ તેની પાસે આવ્યા. પછી મૂસાએ તેઓની સાથે વાત કરી.
૩૨તે પછી સર્વ ઇઝરાયલીઓ મૂસાની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાહે જે બધી આજ્ઞાઓ આપી હતી, તે સર્વ તેણે તેઓને ફરમાવી.
૩૩જયારે મૂસાએ તેઓની સાથે બોલવાનું પૂરું કર્યું, ત્યારે તેણે પોતાના મુખ ઉપર મુખપટ નાખ્યો.
૩૪જ્યારે જ્યારે મૂસા યહોવાહ સમક્ષ વાત કરવા માટે તેમની સમક્ષ જતો, ત્યારે ત્યારે તે ત્યાંથી બહાર આવે ત્યાં સુધી તે મુખપટને રાખતો નહોતો. તે તંબુમાંથી બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હતી તે તે ઇઝરાયલીઓને કહી સંભળાવતો.
૩૫ઇઝરાયલીઓએ મૂસાનો ચહેરો જોયો, તો તેનો ચહેરો પ્રકાશતો હતો. પણ તે યહોવાહની સાથે વાત કરવાને અંદર જતો ત્યાં સુધી તે પોતાના મુખ ઉપર ફરીથી મુખપટ રાખતો.
