Skip to content
Methodist Church Nadiad

નિર્ગમન ૪

100%

ત્યારે મૂસાએ ઈશ્વરને જણાવ્યું, “પ્રભુ હું ઇઝરાયલના લોકોને કહીશ કે યહોવાહે મને મોકલ્યો છે, ત્યારે તેઓ મારા કહેવા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે કે, “યહોવાહે તને દર્શન દીધું નથી.”

પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથમાં શું છે?” મૂસાએ જવાબ આપ્યો, “લાકડી.”

ત્યારે યહોવાહે કહ્યું, “તારી લાકડીને જમીન પર નાખ.” એટલે મૂસાએ લાકડી જમીન પર નાખી, ત્યારે તે બદલાઈને સાપ બની ગઈ. તે જોઈને મૂસા બી ગયો અને ત્યાંથી ખસી ગયો.”

પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તું સાપની આગળ જા અને તારા હાથથી તેને પૂંછડીથી પકડી લે.” એટલે મૂસાએ સાપને પકડ્યો ત્યારે તેના હાથમાં સાપની લાકડી બની ગઈ.

તેથી યહોવાહે કહ્યું, “તારી લાકડીનો આ પ્રમાણે ઉપયોગ કરજે, એટલે લોકોને વિશ્વાસ બેસશે કે તેઓના પિતૃઓના ઈશ્વર પ્રભુએ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે તને દર્શન દીધું છે.”

વિશેષમાં યહોવાહે તેને કહ્યું, “હું તને બીજો ચમત્કાર બતાવું છું. તારો હાથ તેં પહેરેલા ઝભ્ભા નીચે છાતી પાસે મૂક.” તેમ કર્યા પછી મૂસાએ જ્યારે હાથ પાછો બહાર કાઢયો ત્યારે તેનો હાથ કુષ્ટરોગથી બરફ જેવો સફેદ થઈ ગયો હતો.

પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારો હાથ પાછો ઝભ્ભા નીચે છાતી પર મૂક.” એટલે તેણે તે પ્રમાણે કર્યું, પછી જયારે તેણે હાથ બહાર કાઢયો ત્યારે તે હાથ અગાઉના જેવો દુરસ્ત થઈ ગયો હતો.

પછી યહોવાહે કહ્યું, “જો લોકો લાકડીના ચમત્કારની નિશાની પછી પણ તારું કહેવું નહિ માને તો આ બીજા ચમત્કારની નિશાનીથી તેઓ તારા પર ભરોસો કરશે.

વળી જો આ બે ચમત્કારો બતાવ્યા પછી પણ તેઓ તારી વાત ના સાંભળે, તો તું નીલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર ઢોળજે, ત્યાં તે પાણી રક્ત થઈ જશે.”

૧૦પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, “હે પ્રભુ યહોવાહ, હું સાચું કહું છું કે, હું કોઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાની ક્ષમતા ધરાવતો નથી. તમારી સાથે વાતચીત થઈ તે પછી પણ હું બોલવામાં મંદ છું. મારી જીભ બરાબર ચાલતી નથી.”

૧૧ત્યારે યહોવાહે તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? તેને મૂક કે બધિર અને તેને અંધ કે નિહાળી શકતો કોણ બનાવે છે? અને માણસને દેખતો કે અંધ કોણ બનાવે છે? આ બધું હું જ કરી શકું છું. હું યહોવાહ છું.

૧૨માટે હવે જા, તારા મુખમાં હું શબ્દો મૂકીશ અને તારે શું કહેવું તે હું તને શીખવીશ.”

૧૩છતાં મૂસાએ કહ્યું, “હે પ્રભુ યહોવાહ, કૃપા કરીને મારા સિવાય બીજા કોઈને મોકલો, મને નહિ.”

૧૪આવા અનાદરને લીધે યહોવાહ મૂસા પર ખૂબ ગુસ્સે થયા અને કહ્યું, “તારી સાથે હું તારા ભાઈ હારુન લેવીને મોકલીશ. તે કુશળ વક્તા છે. વળી જો, તે તને મળવા આવી રહ્યો છે, તને જોઈને તેનું હૃદય આનંદ પામશે.

૧૫તું તેની સાથે વાત કરજે અને શું કહેવાનું છે તે તેને શીખવજે. હું તમારા બન્નેના મુખમાં વાણી મૂકીશ અને તમો બન્નેએ શું કરવાનું છે તે તમને શીખવીશ.

૧૬તે તારા વતી લોકોની સાથે વાત કરશે. તે તારું મુખ બનશે અને તું તેને માટે ઈશ્વરને ઠેકાણે થશે.

૧૭માટે હવે આ તારી લાકડી સાથે લઈ જા. એના વડે તું ચમત્કારો કરી બતાવજે.”

૧૮પછી ત્યાંથી મૂસા પોતાના સસરા યિથ્રો પાસે પાછો આવ્યો અને તેને કહ્યું, “કૃપા કરીને મને મારા લોકો પાસે મિસરમાં પાછો જવા દે.” હું જોવા માગું છું કે તેઓ હજી હયાત છે કે નહિ! યિથ્રોએ તેને કહ્યું, “શાંતિથી જા.”

૧૯મૂસા મિદ્યાનમાં હતો, ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “તું મિસરમાં જા. હવે ત્યાં તારે માટે કશું જોખમ નથી. કેમ કે જે લોકો તને મારી નાખવા માટે શોધતા હતા તેઓ બધા મૃત્યુ પામ્યા છે.”

૨૦આથી મૂસા પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર બેસાડીને પાછો મિસર જવા રવાના થયો. તેણે ઈશ્વરની લાકડી પોતાની સાથે રાખી.

૨૧રસ્તામાં યહોવાહે મૂસાને કહ્યું, “મિસરમાં પહોંચ્યા પછી મેં જે ચમત્કારો તને નિશાની તરીકે બતાવ્યા છે તે તું ફારુન સમક્ષ કરી બતાવજે. પણ હું તેને હઠાગ્રહી બનાવી દઈશ એટલે તે તારા લોકોને જવા દેશે નહિ.

૨૨તે વખતે તું ફારુનને કહેજે: ‘યહોવાહ કહે છે કે: ઇઝરાયલ મારો જયેષ્ઠ પુત્ર છે

૨૩અને મેં તને કહ્યું છે કે, “મારા પુત્રને મારી ભક્તિ કરવા માટે જવા દે.” અને જો તું તેને જવા દેવાની ના પાડશે, તો હું તારા જયેષ્ઠ પુત્રને મારી નાખીશ.’”

૨૪મૂસા મિસર તરફ મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક સ્થળે તેણે મુકામ કર્યો, ત્યાં યહોવાહ તેને મળ્યા અને તેને મારી નાખવાનું ઇચ્છા કરી.

૨૫પણ સિપ્પોરાહએ ચકમકનો એક ધારદાર પથ્થર લઈને તેના વડે પોતાના પુત્રની સુન્નત કરી. તેની ચામડી મૂસાના પગે અડકાડીને તેણે કહ્યું, “ખરેખર તું તો મારા લોહીનો વર છે.”

૨૬તેથી યહોવાહે મૂસાને જતો કર્યો. ત્યારે સિપ્પોરાહએ કહ્યું, “સુન્નતના કારણથી તું મારે માટે લોહીનો વર છે.”

૨૭યહોવાહે હારુન સાથે વાત કરી હતી અને તેને કહ્યું હતું, “અરણ્યમાં જા અને તારા ભાઈ મૂસાને મળ.” તેથી હારુન ઈશ્વરના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટ્યો.

૨૮મૂસાએ પોતાને યહોવાહે જે બાબત કહી હતી અને જે ચમત્કારો બતાવવાનું જણાવ્યું હતું તેની માહિતી તેને આપી.

૨૯મૂસા અને હારુન મિસરમાં ગયા અને ત્યાં ઇઝરાયલીઓના લોકોના બધા વડીલોને એકત્રિત કર્યાં.

૩૦અને યહોવાહે મૂસાને કહેલી સર્વ વાતો હારુને તેઓને કહી સંભળાવી તથા મૂસાએ તેઓની સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા.

૩૧લોકોએ વિશ્વાસ કર્યો કે યહોવાહે જ તેઓને મોકલ્યા છે. વડીલોએ સાંભળ્યું અને તેઓ સમજ્યા કે ઈશ્વરે પોતાના લોક ઇઝરાયલની ખબર લીધી છે અને તેઓનાં દુઃખ જોયાં છે, ત્યારે તેઓએ શિર ઝુકાવીને યહોવાહની સ્તુતિ કરી.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.