Skip to content
Methodist Church Nadiad

નિર્ગમન ૮

100%

પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન પાસે જઈને તેને જણાવ કે યહોવાહ એવું કહે છે: ‘મારા લોકોને મારી સેવા કરવા જવા દે.’

પણ જો તું તેઓને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓ દ્વારા ઉપદ્રવ કરાવીશ.

નીલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. વળી એ દેડકાં નદીમાંથી બહાર આવીને તારા મહેલમાં, ઘરોમાં, શયનખંડમાં તથા પલંગમાં અને તારા અમલદારોના તથા પ્રજાનાં ઘરોમાં, રસોડામાં અને પાણીનાં પાત્રોમાં ભરાઈ જશે.

તું તારી પ્રજા અને તારા અમલદારો ઠેરઠેર દેડકાંના ઉપદ્રવથી હેરાન થઈ જશો.”

પછી યહોવાહે મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાના હાથની લાકડીને નહેરો, નદીઓ અને સરોવરો તરફ ઊંચી કરે. જેથી મિસર દેશ પર દેડકાંઓ ચઢી આવે.”

ત્યારે હારુને મિસર દેશમાં આવેલા પાણીનાં સ્થળો તરફ તેના હાથ ઊંચા કર્યા અને પાણીમાંથી દેડકાંઓ બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયાં.

મિસરના જાદુગરોએ પણ એવું જ કર્યું. તેઓ પણ મિસર દેશમાં દેડકાંઓ લઈ આવ્યા.

પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “તમે યહોવાહને પ્રાર્થના કરો કે તે મને અને મારી પ્રજાને દેડકાંના ઉપદ્રવથી છોડાવે, એ દેડકાંને દૂર કરે. પછી હું તમારા લોકોને યહોવાહને યજ્ઞો અર્પવા જવા દઈશ.”

મૂસાએ ફારુનને કહ્યું, “સારું, તું કૃપા કરીને મને કહે કે મારે તારા માટે, તારા અમલદારો માટે અને તારી પ્રજા માટે યહોવાહને ક્યારે પ્રાર્થના કરવી, જેથી દેડકાં તમારી પાસેથી અને તમારા ઘરોમાંથી પાણીનાં સ્થળોમાં જતા રહે અને ત્યાં જ રહે.”

૧૦ફારુને કહ્યું, “આવતી કાલે.” મૂસાએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે થશે.” જેથી તને માલૂમ પડશે કે અમારા ઈશ્વર યહોવાહ સમાન અન્ય કોઈ ઈશ્વર નથી.

૧૧દેડકાં તારી આગળથી અને ઘરોમાંથી અને તારા મહેલમાંથી અને તારા અમલદારો તેમ જ પ્રજાની આગળથી જતાં રહેશે. અને તેઓ પાણીનાં સ્થળોમાં અને નીલ નદીમાં જ રહેશે.”

૧૨પછી મૂસા અને હારુન ફારુન પાસેથી વિદાય થયા. મૂસાએ દેડકાંઓ વિષે યહોવાહને વિનંતી કરી.

૧૩અને યહોવાહે મૂસાની વિનંતી પ્રમાણે કર્યું. ઘરોમાંનાં, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાં મરી ગયાં.

૧૪મરેલાં દેડકાંઓના ઢગલા ભેગા થયા. તેથી દેશભરમાં દુર્ગંધ પ્રસરી ગઈ.

૧૫પણ જ્યારે ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાહના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હૃદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.

૧૬પછી યહોવાહે મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાની લાકડી જમીન પરની ધૂળ પર મારે. કે જેથી આખા મિસર દેશમાં સર્વત્ર ધૂળની જૂ થઈ જાય.”

૧૭મૂસાએ હારુનને કહ્યું, હારુને હાથમાં લાકડી લઈને જમીનની ધૂળ પર પ્રહાર કર્યો, એટલે સર્વત્ર ધૂળની જૂ થઈ ગઈ. અને તે જુઓ મિસરના સર્વ માણસો અને જાનવરો પર છવાઈ ગઈ.

૧૮મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ દ્વારા જૂઓ લાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓને નિષ્ફળતા મળી.

૧૯હવે જાદુગરોએ ફારુનની આગળ કબૂલ કર્યું કે, આ તો ઈશ્વરની શક્તિથી જ બનેલું છે. પરંતુ ફારુને તેઓને સાંભળ્યા નહિ, તે હઠીલો જ રહ્યો. યહોવાહે કહ્યું હતું એ જ પ્રમાણે ફારુન વર્ત્યો.

૨૦યહોવાહે મૂસાને કહ્યું, “તું ફારુન પાસે જજે. ફારુન સવારે નદી કિનારે ફરવા નીકળે ત્યારે સવારે વહેલો ઊઠીને તેની રાહ જોઈ ત્યાં ઊભો રહેજે. અને તે આવે ત્યારે કહેજે કે, યહોવાહ એવું કહે છે કે, ‘મારા લોકોને મારું ભજન કરવા જવા દે.

૨૧જો તું મારા લોકોને નહિ જવા દે તો હું તારા પર, તારા અમલદારો પર તથા તારી પ્રજા પર તથા ઘરોમાં માખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માખીઓથી ભરાઈ જશે; ઠેરઠેર માખીઓ જ હશે.’”

૨૨પણ તે દિવસે હું મારા ઇઝરાયલી લોકોને સંભાળી લઈશ. જે ગોશેન પ્રાંતમાં તેઓ વસે છે ત્યાં માખીનું નામનિશાન હશે નહિ, એટલે તને ખાતરી થશે કે સમગ્ર પૃથ્વીમાં હું એકલો જ યહોવાહ છું.

૨૩આમ હું મારા લોક અને તારા લોક વચ્ચે ભેદભાવ રાખીશ; તને મારા ચમત્કાર જોવા મળશે.”

૨૪પછી યહોવાહે તે મુજબ કર્યું. તેમના કહ્યા પ્રમાણે ફારુનના મહેલમાં, તેના અમલદારોનાં ઘરોમાં તથા આખા મિસર દેશમાં માખીઓનાં ઝુંડેઝુંડ ધસી આવ્યાં અને સમગ્ર દેશ માખીઓથી પરેશાન થઈ ગયો હતો.

૨૫એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા. તેઓને કહ્યું, “તમે લોકો તમારા ઈશ્વરને આ દેશમાં યજ્ઞાર્પણ ચઢાવો.”

૨૬પરંતુ મૂસાએ કહ્યું, “એ પ્રમાણે કરવું ઉચિત નથી, કારણ કે અમે અમારા ઈશ્વર યહોવાહને અર્પણ ચઢાવીએ તેને મિસરના લોકો અપવિત્ર ગણે છે. તેથી મિસરના લોકો જેને પવિત્ર ગણે છે તેવી આહુતિ જો અમે આપીએ તો તેઓ અમને પથ્થરો મારીને મારી નાખે નહિ?

૨૭અમને ત્રણ દિવસ સુધી અરણ્યમાં જવા દે અને અમારા ઈશ્વર યહોવાહને યજ્ઞો અર્પવા દે. યહોવાહે અમને એવું કરવા ફરમાવેલું છે.”

૨૮એટલે ફારુને કહ્યું, “હું તમને લોકોને તમારા ઈશ્વર યહોવાહને યજ્ઞો અર્પવા માટે અરણ્યમાં જવા દઈશ, પરંતુ તમારે ઘણે દૂર જવું નહિ અને મારા માટે પણ પ્રાર્થના કરવી.”

૨૯મૂસાએ કહ્યું, “સારું, હું અહીંથી તારી આગળથી જઈને તરત જ યહોવાહને વિનંતી કરીશ કે, ફારુન અને તારા અમલદારોને તથા તારી પ્રજાને આવતી કાલે સવારે માખીઓના ત્રાસથી મુક્ત કરે. પણ તમે અમને મૂર્ખ ન બનાવતા, યહોવાહને યજ્ઞો અર્પવા અમને અરણ્યમાં જવા દેવાના છે; અમને ના પાડવાનું નથી.”

૩૦એટલે મૂસા ફારુન પાસેથી વિદાય થઈને યહોવાહ પાસે ગયો અને પ્રાર્થના કરી,

૩૧અને યહોવાહે મૂસાની વિનંતી અનુસાર કર્યું. ત્યારે ફારુન, તેના અમલદારો અને તેની પ્રજા માખીઓના ત્રાસથી મુક્ત થયા. દેશમાં એક પણ માખી રહી નહિ.

૩૨પરંતુ ફારુન તો ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને તેણે ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.