Skip to content
Methodist Church Nadiad

ઉત્પત્તિ ૧૮

100%

બપોરના સમયે જયારે ઇબ્રાહિમ તંબુના બારણામાં બેઠો હતો, ત્યારે ઈશ્વરે મામરેનાં એલોન વૃક્ષની પાસે તેને દર્શન આપ્યું.

તેણે આંખો ઊંચી કરીને જોયું, તો ત્રણ પુરુષો તેની નજીક ઊભા હતા. જયારે તેણે તેઓને જોયા, ત્યારે તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અને જમીન સુધી નમીને તેઓને પ્રણામ કર્યા.

તેણે કહ્યું, “હે મારા પ્રભુ, જો હવે હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો તમે તમારા દાસ પાસેથી જતા રહેશો નહિ.

હું થોડું પાણી લાવું છું તેથી તમે તમારા પગ ધુઓ અને આ વૃક્ષ નીચે તમે આરામ કરો.

હવે મને થોડું ભોજન લાવવા દો, કે જેથી તમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછી તમે આગળ જજો, સારું તો હું તમારે માટે રોટલી લાવું.” અને તેઓએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે કર.”

પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસે તંબુમાં ગયો અને કહ્યું, “જલ્દી કર. ત્રણ માપ મેંદો મસળ અને રોટલી તૈયાર કર.”

પછી ઇબ્રાહિમ દોડીને જ્યાં તેના જાનવર હતાં ત્યાં ગયો અને એક પુષ્ટ તથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જે તેને ઉતાવળે તૈયાર કરવા લાગ્યો.

તેણે માખણ, દૂધ તથા ભોજન માટે જે રોટલી તથા વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં. તેઓ જમતા હતા તે દરમિયાન તે તેઓની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.

તેઓએ તેને કહ્યું, “તારી પત્ની સારા ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “ત્યાં, તંબુમાં છે.”

૧૦યહોવાહે તેને કહ્યું, “હું ચોક્કસ વસંતમાં તારી પાસે પાછો આવીશ અને જો, તારી પત્ની સારાને દીકરો થશે.” તેની પાછળ જે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએ તે વાત સાંભળી.

૧૧હવે ઇબ્રાહિમ તથા સારા વૃદ્ધ હતાં અને તેઓને ઘણાં વર્ષ થયાં હતાં. જે ઉંમરમાં સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, તે ઉંમર, સારા વટાવી ચૂકી હતી.

૧૨તેથી સારા મનોમન હસી પડી. તેણે ખુદને કહ્યું, “હું વૃદ્ધ થઈ ગઈ છું અને મારો પતિ પણ વૃદ્ધ છે, તો પછી કેવી રીતે પુત્ર જન્મે અને હર્ષ થાય?”

૧૩ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “શા માટે સારા એમ કહેતાં હસી કે, ‘શું હું ખરેખર મારી વૃદ્ધાવસ્થામાં બાળકને જન્મ આપી શકીશ?’

૧૪ઈશ્વરને શું કંઈ અશક્ય છે? મેં નિયુક્ત કરેલા સમયે, વસંતમાં, હું તારી પાસે પાછો આવીશ. આવતા વર્ષના આ સમયે સારાને દીકરો થશે.”

૧૫પછી સારાએ તે બાબતનો ઇનકાર કરીને કહ્યું, “હું તો હસી નથી, “કેમ કે તે ગભરાઈ હતી. તેમણે જવાબ આપ્યો, “ના, તું નિશ્ચે હસી છે.”

૧૬પછી તે પુરુષો ત્યાંથી જવાને ઊઠ્યા અને સદોમ તરફ જોયું. ઇબ્રાહિમ તેઓને તેઓના રસ્તા સુધી વળાવવા તેઓની સાથે ગયો.

૧૭પણ ઈશ્વરે કહ્યું, “જે હું કરવાનો છું તે શું હું ઇબ્રાહિમથી સંતાડું?

૧૮કેમ કે ઇબ્રાહિમથી નિશ્ચે એક મોટી તથા સમર્થ દેશજાતિ થશે અને તેના વંશમાં પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદિત થશે.

૧૯મેં તેને પસંદ કર્યો છે તેથી તે તેના દીકરાઓને તથા તેના પછી થનાર તેના પરિવારને એવું સૂચન કરશે કે, તેઓ ન્યાયી થવા તથા ન્યાય કરવાને યહોવાહનો માર્ગ અપનાવે, તે માટે કે ઇબ્રાહિમ સંબંધી મેં જે કહ્યું છે, તે તેઓ પાળે.”

૨૦પછી ઈશ્વરે કહ્યું, “કેમ કે સદોમ તથા ગમોરાની ફરિયાદો ઘણી છે અને ત્યાં લોકોના પાપ ઘણાં ગંભીર છે,

૨૧માટે હું હવે, ત્યાં નીચે ઊતરીશ અને જોઈશ કે જે ફરિયાદ મારા સુધી પહોંચી છે તે પ્રમાણે તેઓ ભ્રષ્ટ થયા છે કે નહિ. જો એવું નહિ હોય તો મને માલૂમ પડશે.

૨૨તેથી તે પુરુષો ત્યાંથી વળીને સદોમ તરફ ગયા, પણ ઇબ્રાહિમ ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો.

૨૩પછી ઇબ્રાહિમે પાસે આવીને કહ્યું, “શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો?

૨૪કદાચ તે નગરમાં પચાસ ન્યાયી લોકો હોય, તો શું તમે તેનો નાશ કરશો અને ત્યાં એ પચાસ ન્યાયી છે તેને લીધે તેને નહિ બચાવો?

૨૫એવું કરવાનું તમે ટાળો. એટલે ભ્રષ્ટ લોકોની સાથે ન્યાયીઓને મારી નાખવા. અને દુષ્ટો જેવો જ વ્યવહાર ન્યાયીઓની સાથે થાય એવું તો તમે નહિ જ કરો! આખી પૃથ્વીના ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”

૨૬ઈશ્વરે કહ્યું, “જો સદોમ નગરમાં મને પચાસ ન્યાયી મળશે, તો તેઓને સારુ હું નગરને બચાવીશ.”

૨૭ઇબ્રાહિમે ઉત્તર આપ્યો અને કહ્યું, “મેં શું કર્યું છે? હું ધૂળ તથા રાખ હોવા છતાં મેં પ્રભુ ઈશ્વરની આગળ બોલવાની હિંમત કરી છે!

૨૮જો ત્યાં પચાસ ન્યાયીમાં પાંચ ઓછા હોય તો પાંચ ઓછા હોવાના લીધે શું તમે તે નગરનો નાશ કરશો?” અને તેમણે કહ્યું, “જો મને ત્યાં પિસ્તાળીસ ન્યાયી મળશે, તો પણ હું તેનો નાશ નહિ કરું.”

૨૯તેણે ફરી તેમની સાથે વાત કરી અને કહ્યું, “કદાચ ત્યાં ચાળીસ ન્યાયી મળે તો?” તેમણે ઉત્તર આપ્યો, “ચાળીસને લીધે પણ હું એમ નહિ કરું.”

૩૦તેણે કહ્યું, “કૃપા કરીને પ્રભુ, ગુસ્સે ના થાઓ તો હું બોલું. કદાચ ત્યાં ત્રીસ ન્યાયી મળે તો?” તેમણે ઉત્તર આપ્યો, “જો ત્યાં ત્રીસ ન્યાયી મળે તો પણ હું નગરને એવું કરીશ નહિ.”

૩૧તેણે કહ્યું, “મેં પ્રભુ આગળ બોલવાની હિંમત કરી છે! કદાચ ત્યાં વીસ મળે તો. “તેમણે ઉત્તર આપ્યો, “વીસ ન્યાયીને લીધે પણ હું તેનો નાશ નહિ કરું.”

૩૨અંતે તેણે કહ્યું, “પ્રભુ, કૃપા કરીને ગુસ્સે ન થાઓ તો આ છેલ્લી વાર હું બોલું. કદાચ ત્યાં દસ ન્યાયી માણસો મળે તો?” તેમણે કહ્યું, “દસને લીધે પણ હું તેનો નાશ નહિ કરું.”

૩૩ઇબ્રાહિમ સાથે વાત પૂરી કરી થઈ. તે સાથે જ ઈશ્વર તેમના માર્ગે ચાલ્યા ગયા અને ઇબ્રાહિમ તેના ઘરે પાછો ગયો.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.