Skip to content
Methodist Church Nadiad

ઉત્પત્તિ ૩૧

100%

હવે યાકૂબે લાબાનના દીકરાઓને એવી વાતો કહેતા સાંભળ્યાં કે, “જે સઘળું આપણા પિતાનું હતું તે યાકૂબે લઈ લીધું છે. આપણા પિતાની સર્વ સંપત્તિ તેણે મેળવી છે.”

યાકૂબે લાબાનના મુખ પર જોતાં તેને જણાયું કે તેના પ્રત્યેનું લાબાનનું વલણ બદલાયેલું છે.

પછી ઈશ્વરે યાકૂબને કહ્યું, “તું તારા પિતૃઓના દેશમાં તથા તારા કુટુંબીજનો પાસે પાછો જા અને હું તારી સાથે હોઈશ.

યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆને ખેતરમાં તેના ટોળાં પાસે બોલાવી લીધાં.

અને તેઓને કહ્યું, “તમારા પિતાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે છે.

તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્ય સહિત તમારા પિતાની ચાકરી કરી છે.

તમારા પિતાએ મને ઠગ્યો છે અને મારા વેતનનો કરાર દસ વાર ભંગ કરેલો છે. પણ ઈશ્વરે તેનાથી મારું નુકસાન થવા દીધું નહિ.”

તેણે કહ્યું હતું કે, ‘છાંટવાળાં પશુઓ તારું વેતન થશે,’ પછી સર્વ પ્રાણીઓને છાંટવાળાં બચ્ચાં થયાં. વળી તેણે કહ્યું, પટ્ટાવાળાં પશુઓ તારું વેતન થશે અને પછી સર્વ પશુઓને પટ્ટાવાળાં બચ્ચાં જન્મ્યાં.

એ રીતે ઈશ્વરે તમારા પિતાના જાનવરોને લઈને મને આપ્યાં છે.

૧૦એક વાર મેં સ્વપ્નમાં જોયું કે ગર્ભધારણ કરવાની ઋતુમાં જે બકરાં ટોળાં સાથે મળીને આવતાં હતાં તેઓ પટ્ટાદાર, છાંટવાળાં તથા કાબરચીતરાં હતાં.

૧૧ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકૂબ.’ મેં કહ્યું, ‘હું આ રહ્યો”

૧૨તેણે કહ્યું, ‘તારી આંખો ઊંચી કરીને જો કે ટોળાં સાથે જે બકરાં સંબંધ બાંધે છે તેઓ સર્વ પટ્ટાદાર, છાંટવાળા તથા કાબરચીતરા છે. કેમ કે લાબાન તને જે કરે છે તે સર્વ મેં જોયું છે.

૧૩જ્યાં તેં સ્તંભને અભિષિક્ત કર્યો હતો અને જ્યાં તેં મારી પ્રતિજ્ઞા લીધી હતી, તે બેથેલનો ઈશ્વર હું છું. હવે આ દેશમાંથી તું તારી જન્મભૂમિના દેશમાં પાછો જા.”

૧૪રાહેલે તથા લેઆએ તેને ઉત્તર આપ્યો, “શું અમારા પિતાના ઘરમાં અમારે સારુ કંઈ હિસ્સો કે વારસો છે?

૧૫શું તેમણે અમારી સાથે વિદેશી જેવો વ્યવહાર કર્યો નથી? કેમ કે તેણે અમને વેચી દીધી છે અને અમારા તમામ પૈસા પણ ખાઈ ગયા છે.

૧૬કેમ કે ઈશ્વરે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી, તે સર્વ અમારી તથા અમારા બાળકોની છે. તો પછી હવે, ઈશ્વરે તમને જે કંઈ કહ્યું છે તે પ્રમાણે કરો.”

૧૭પછી યાકૂબે ઊઠીને તેના દીકરાઓને તથા તેની પત્નીઓને ઊંટો પર બેસાડ્યાં.

૧૮તેના પિતા ઇસહાકના દેશ કનાન તરફ જવાને તેણે તેનાં સર્વ ઘેટાંબકરાં તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે જે અન્ય જાનવરોની સંપત્તિ તેણે પાદ્દાનારામમાં પ્રાપ્ત કરી હતી તે બધાની સાથે ત્યાં રવાના થવાની શરૂઆત કરી.

૧૯પછી લાબાન પોતાનાં ઘેટાંને કાતરવા ગયો હતો અને રાહેલે તેના પિતાના ઘરની મૂર્તિઓ ચોરી લીધી હતી.

૨૦યાકૂબે પોતાના જવાની ખબર તેને આપી નહિ અને લાબાન અરામીને છેતર્યો.

૨૧તેની પાસે જે હતું તે સર્વ લઈને તે વિદાય થયો અને ઝડપથી નદી પાર ઊતરી ગયો અને ગિલ્યાદ પર્વત તરફ આગળ વધ્યો.

૨૨ત્રીજે દિવસે લાબાનને કહેવામાં આવ્યું કે યાકૂબ નાસી ગયો છે.

૨૩તેથી તે તેની સાથે તેના સગાંઓને લઈને સાત દિવસની મુસાફરી જેટલા અંતર સુધી તેની પાછળ પડ્યો. તે ગિલ્યાદ પર્વત પર તેની આગળ નીકળી આવ્યો હતો.

૨૪હવે રાત્રે લાબાન અરામીના સ્વપ્નમાં ઈશ્વરે કહ્યું હતું, “તું યાકૂબને ખરું અથવા ખોટું કહેવા વિષે સાવચેત રહેજે.”

૨૫લાબાન યાકૂબની આગળ પહોંચી ગયો હતો. હવે યાકૂબે પહાડ પર તેનો તંબુ બાંધ્યો હતો. લાબાને પણ તેના સગાંઓ સાથે ગિલ્યાદ પહાડ પર તંબુ બાંધ્યો હતો.

૨૬લાબાને યાકૂબને કહ્યું, “આ તેં શું કર્યું છે, તેં મને છેતર્યો અને લડાઈમાં પકડેલા કેદીઓની જેમ મારી દીકરીઓને તું લઈ જાય છે?

૨૭શા માટે છાનોમાનો નાસી જાય છે? તેં કુયુક્તિથી મને અજાણ રાખ્યો છે. હું ગીતોથી, ખંજરીથી તથા વીણા વગાડીને ઊજવણી કરીને તને વિદાય આપત.

૨૮તેં મને મારા પૌત્રોને ચુંબન કરવા દીધું નહિ અને મારી દીકરીઓને ‘આવજો’ કહેવા પણ ન દીધુ. તેં ભારે મૂર્ખાઈ કરી છે.

૨૯તને નુકસાન કરવાની તાકાત મારા હાથમાં છે પણ તારા પિતાના ઈશ્વરે ગતરાત્રે મારી સાથે વાત કરતા કહ્યું, ‘તું યાકૂબને ખરુંખોટું કહેવા વિષે સાવચેત રહેજે”

૩૦અને હવે તારે જવું જોઈએ, કેમ કે તારા પિતાના ઘર માટે તું ઘણો આતુર થયો છે. પણ તેં મારી મૂર્તિઓને કેમ ચોરી લીધી છે?”

૩૧યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, “હું તારાથી ગભરાઈ ગયો હતો અને મેં વિચાર્યું કે કદાચ તું તારી દીકરીઓ મારી પાસેથી બળજબરીથી લઈ લેશે તેથી હું છાની રીતે નાસી આવ્યો.

૩૨જેણે તારા દેવો ચોર્યા હશે તે જીવતો રહેશે નહિ. મારી પાસે જે કંઈ છે તારું છે. જો મૂર્તિઓ હોય તો તે આપણા સગાઓની હાજરીમાં તું લઈ લે.” કેમ કે યાકૂબ જાણતો નહોતો કે રાહેલે તેઓને ચોરી લીધી હતી.

૩૩લાબાન યાકૂબના તંબુમાં, લેઆના તંબુમાં અને બે દાસીઓના તંબુમાં ગયો, પણ તેને તે મૂર્તિઓ મળી નહિ. તે લેઆના તંબુમાંથી બહાર નીકળીને રાહેલના તંબુમાં ગયો.

૩૪હવે રાહેલ ઘરની મૂર્તિઓને લઈને ઊંટોના જીન ઉપર તેઓને મૂકીને તે પર બેઠી હતી માટે લાબાનને તે મળી નહિ.

૩૫તેણે તેના પિતાને કહ્યું, “મારા પિતા, ગુસ્સે ન થાઓ, કેમ કે સ્ત્રીઓની રીત પ્રમાણે મને થયું હોવાથી હું તમારી આગળ ઊઠી શકતી નથી.” આમ લાબાને શોધ કરી પણ ઘરની મૂર્તિઓ તેને મળી નહિ.

૩૬યાકૂબ ગુસ્સે થયો અને લાબાન સાથે વિવાદ કર્યો. યાકૂબે લાબાનને કહ્યું, “મારો અપરાધ શો છે? મારું પાપ શું છે કે તું આટલી ઉગ્ર રીતે મારી પાછળ પડ્યો છે?

૩૭કેમ કે તેં મારો સર્વ સામાન તપાસ્યો છે. પણ તારા ઘરનું કશું મળી આવ્યું નથી. જો ચોરેલું કશું પકડાયું હોય તો તે અહીં આપણા સંબંધીઓની આગળ મૂક, કે જેથી તેઓ આપણા બન્નેનો ન્યાય કરે.

૩૮વીસ વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ઘેટીઓ તથા તારી બકરીઓ જન્મ આપવામાં અસફળ ગઈ નથી, ના તો હું તારા ટોળાંનાં ઘેટાંઓને ખાઈ ગયો.

૩૯ફાડી નાખેલું હું તારી પાસે લાવ્યો ન હતો. તેનું નુકસાન હું પોતે ભોગવી લેતો હતો. દિવસે અથવા રાત્રે ચોરાઈ ગયેલું તે તું મારી પાસેથી માગતો.

૪૦દિવસે તાપથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થયો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી.

૪૧આ વીસ વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી બે દીકરીઓને સારુ ચૌદ વર્ષ તથા તારાં જાનવરોને સારુ છ વર્ષ મેં તારી ચાકરી કરી છે. તેં દસ વાર મારા વેતનનો કરાર ભંગ કર્યો હતો.

૪૨જો મારા દાદા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાક જે ઈશ્વરના ભયમાં ચાલતા હતા, તે ઈશ્વર મારી સાથે ન હોત, તો નિશ્ચે આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે તારો અત્યાચાર તથા મારી સખત મહેનત જોયાં છે અને તેથી તેમણે ગતરાત્રે તને ઠપકો આપ્યો છે.”

૪૩લાબાને ઉત્તર આપીને યાકૂબને કહ્યું, “આ દીકરીઓ મારી દીકરીઓ છે, આ છોકરાઓ મારા છોકરા છે અને આ ટોળાં મારાં ટોળાં છે. જે સર્વ તું જુએ છે તે મારું છે. પણ હવે આ મારી દીકરીઓને તથા તેઓએ જે બાળકોને જન્મ આપ્યો છે, તેઓને લીધે તને હું શું કરું?

૪૪તેથી હવે ચાલ, આપણે બન્ને કરાર કરીએ અને તે મારી તથા તારી વચ્ચે સાક્ષી થશે.”

૪૫તેથી યાકૂબે પથ્થર લીધો અને સ્તંભ તરીકે તેને ઊભો કર્યો.

૪૬યાકૂબે તેના સંબંધીઓને કહ્યું, “પથ્થર એકઠા કરો.” તેથી તેઓએ પથ્થર લાવીને ઢગલો કર્યો. પછી તેઓએ તે ઢગલા પાસે ખાધું.

૪૭લાબાને તે ઢગલાને યગાર-સાહદૂથા કહ્યો અને યાકૂબે તેને ગાલેદ કહ્યો.

૪૮લાબાને કહ્યું, “મારી તથા તારી વચ્ચે આ પથ્થરનાં ગંજ આજે સાક્ષી છે.” તે માટે તેનું નામ ગાલેદ કહેવાશે.

૪૯તેનું નામ મિસ્પાહ પણ પાડવામાં આવ્યું, કેમ કે લાબાને કહ્યું, “જયારે આપણે એકબીજાથી જુદા પડીએ, ત્યારે ઈશ્વર મારી અને તારી પર નજર રાખે.

૫૦જો તું મારી દીકરીઓ સાથે ખરાબ વર્તન કરે અથવા મારી દીકરીઓ સિવાય બીજી પત્નીઓ કરે, તો આપણી વચ્ચે કોઈ માણસ નહિ પણ ઈશ્વર સાક્ષી છે.”

૫૧લાબાને યાકૂબને કહ્યું, “આ પથ્થરનાં ગંજને એટલે તારી તથા મારી વચ્ચે મેં જે સ્તંભ ઊભો કર્યો છે તે જો.

૫૨આ ગંજ અને આ સ્તંભ સાક્ષીને અર્થે થાય. તારું અહિત કરવાને આ ગંજ ઓળંગીને હું તારી પાસે આવવાનો નથી અને આ ગંજ તથા સ્તંભ ઓળંગીને મારું અહિત કરવાને તું મારી પાસે આવીશ નહિ.

૫૩ઇબ્રાહિમના ઈશ્વર તથા નાહોરના ઈશ્વર, એટલે તેઓના પિતાના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” યાકૂબે પોતાના પિતા ઇસહાક જે ઈશ્વરનો ભય રાખતા હતા તેમના સમ ખાધા.

૫૪યાકૂબે પહાડ પર બલિદાન આપ્યું અને ભોજન કરવાને તેના સંબંધીઓને બોલાવ્યા. તેઓએ ભોજન કર્યું અને આખી રાત પહાડ પર વિતાવી.

૫૫વહેલી સવારે લાબાન ઊઠ્યો અને પોતાના પૌત્રો-પૌત્રીઓને તથા પોતાની દીકરીઓને ચુંબન કરીને તેઓને આશીર્વાદ આપ્યો. પછી લાબાન ત્યાંથી પાછો વળીને પોતાને ઘરે પાછો ગયો.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.