હબાક્કુક ૧
૧હબાકુક પ્રબોધકને સંદર્શન દ્વારા પ્રાપ્ત થયેલો ઈશ્વરનો વચન.
૨હે યહોવાહ, ક્યાં સુધી હું મદદ માટે પોકાર કરીશ અને તમે સાંભળશો નહિ? હિંસા વિષે હું પોકાર કરું છું, તો પણ તમે મને બચાવતા નથી.
૩શા માટે તમે અન્યાયને મારી નજરમાં લાવો છો અને ખરાબ કાર્યો બતાવો છો? વિનાશ અને હિંસા મારી આગળ છે; ઝઘડા અને તકરારો ચાલે છે.
૪તે માટેના કાયદાનો અમલ થતો નથી, તેથી કદી ઇનસાફ મળતો નથી. કેમ કે ન્યાયી લોકોને દુષ્ટોએ ઘેરી લીધા છે; તેથી જૂઠા ન્યાયચુકાદા થાય છે.
૫પ્રભુએ કહ્યું, “તમે પ્રજાઓ તરફ જુઓ અને લક્ષ આપો; તો તમે આશ્ચર્ય પામશો. કેમ કે તમારા સમયમાં હું નિશ્ચે એવું કાર્ય કરવાનો છું, જે તમને કહેવામાં આવશે પણ તમે વિશ્વાસ કરવાના નથી.
૬કેમ કે જુઓ, એટલે કે ખાલદીઓ જે ક્રૂર તથા ઉતાવળી પ્રજા છે તેઓને હું ઊભા કરું છું, જે ઘરો તેઓનાં પોતાના નથી તેનો કબજો કરવા તેઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધી કૂચ કરે છે.
૭તેઓ ભયાનક અને બિહામણા છે; તેઓનો વૈભવ તથા ન્યાય તેઓમાંથી જ આવે છે!
૮તેઓના ઘોડાઓ દીપડાઓ કરતાં વધારે જલદ છે, સાંજના વરુઓ કરતાં વિકરાળ છે. તેઓના ઘોડાઓ પર છાપ મારેલી છે, અને તેઓના ઘોડેસવારો ઘણે દૂરથી આવે છે. તેઓ ઝડપથી ઊડતા ગરુડની માફક ભક્ષ કરવા માટે દોડે છે.
૯તેઓ સર્વ હિંસા માટે આવે છે, તેઓના લોકો અરણ્યના પવન જેવા છે; તેઓ રેતીના કણ જેટલા બંદીવાનો એકઠા કરે છે.
૧૦તેઓ રાજાઓની મશ્કરી કરે છે, સરદારો તો તેમની નજરમાં હાસ્યરૂપ છે. તે દરેક કિલ્લાઓની હાંસી ઉડાવે છે, કેમ કે તેઓ પૃથ્વી પરથી ધૂળના ઢગલા કરી તેને લઈ લે છે!
૧૧પછી પવનની માફક તેઓ ધસી જશે, જેઓ પોતાના બળને પોતાનો દેવ ગણે છે, તે અપરાધી ઠરશે.”
૧૨“યહોવાહ મારા ઈશ્વર, મારા પવિત્ર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી. તમે ન્યાય માટે તેનું નિર્માણ કર્યું છે, હે મારા ખડક, સુધારાને માટે મેં તેને સ્થાપ્યો છે.
૧૩તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે અશુદ્ધતા જોઈ શકતા નથી, અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી. તો પછી જેઓ વિશ્વાસઘાતી છે તેઓના પક્ષમાં તમે શા માટે જુઓ છો? દુષ્ટ માણસ પોતાના કરતાં ન્યાયી માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે ચૂપ રહો છો?
૧૪તમે માણસોને સમુદ્રના માછલાં જેવા બનાવો છો, જેઓની ઉપર કોઈ અધિકારી ન હોય તેવાં પેટે ચાલનારાં સજીવો જેવા તમે માણસોના હાલ કરો છો.
૧૫વિશ્વાસઘાતી માણસો તેઓને ગલથી ઉપર લાવે છે, તેઓ માણસોને જોરથી ખેંચીને જાળમાં ભેગા કરે છે તેથી તેઓ આનંદ કરે છે અને ખુશીથી પોકાર કરે છે.
૧૬તે માટે તેઓ પોતાની જાળને બલિદાન આપે છે, પોતાની જાળની આગળ ધૂપ બાળે છે; કેમ કે ચરબીવાળાં જાનવરો તેઓનો હિસ્સો છે, ચરબીવાળું માંસ તેઓનો ખોરાક છે.
૧૭તેથી શું તેઓ તેઓની જાળ ખાલી કરશે? અને દયા કે લાગણી વગર લોકોનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?”
