યશાયા ૩૨
૧જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે અને રાજકુમારો ઇનસાફથી શાસન કરશે.
૨તેમાંનો દરેક માણસ વાયુથી આશ્રયસ્થાન અને વાવાઝોડા સામે આશરા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળાં જેવો, કંટાળાજનક દેશમાં એક વિશાળ ખડકની છાયા જેવો થશે.
૩પછી જોનારની આંખો ઝાંખી થશે નહિ અને જેઓ સાંભળી શકે છે તેઓના કાન ધ્યાનપૂર્વક સાંભળશે.
૪ઉતાવળિયાઓનાં મન ડહાપણ સમજશે અને મૂંગાઓની જીભ સ્પષ્ટ બોલશે.
૫ત્યારે મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહિ, કે ઠગ નીતિમાન કહેવાશે નહિ.
૬કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે અને તેનું હૃદય દુષ્ટ યોજનાઓ કરશે અને તે અધર્મનાં કાર્યો અને યહોવાહ વિષે ભૂલભરેલી વાત બોલશે. તે ભૂખ્યાઓને અતૃપ્ત રાખશે અને તરસ્યાઓને પીવાનું પાણી આપશે નહિ.
૭ઠગની રીતો દુષ્ટ છે. જ્યારે દરિદ્રી કહે છે કે સત્ય શું છે તોપણ તે દરિદ્રીને જૂઠી વાતોથી નાશ કરવાને માટે દુષ્ટ યુકિત યોજે છે.
૮પણ ઉદાર વ્યક્તિ ઉદારતાની યોજના બનાવે છે; અને તેના ઉદારતા કાર્ય માં તે સ્થિર રહેશે.
૯સુખી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર દીકરીઓ, મને સાંભળો.
૧૦હે બેદરકાર સ્ત્રીઓ, એક વર્ષ ઉપરાંત કેટલાક દિવસો પછી તમારો વિશ્વાસ ઊઠી જશે, કેમ કે દ્રાક્ષાની ઊપજ બંધ થશે અને તેને એકત્ર કરવાનો સમય આવશે નહિ.
૧૧હે સુખી સ્ત્રીઓ, કાંપો; વિશ્વાસુ સ્ત્રીઓ તમે મુશ્કેલીમાં મુકાશો; તમારા રોજબરોજનાં વસ્રો કાઢીને નિર્વસ્ત્ર થાઓ; કમર પર ટાટ બાંધો.
૧૨તમે આનંદદાયક ખેતરોને માટે, ફળદાયક દ્રાક્ષવેલાને માટે આક્રંદ કરશો.
૧૩મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે, ઉલ્લાસી નગરનાં સર્વ આનંદભર્યાં ઘર પર તેઓ ઊગશે.
૧૪કેમ કે, રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે, વસ્તીવાળું નગર ઉજ્જડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાના આનંદનું સ્થાન અને ઘેટાંનું ચરવાનું સ્થાન થશે;
૧૫જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય અને અરણ્ય ફળદ્રુપ વાડી થાય અને ફળદ્રુપ વાડી વન સમાન બને ત્યાં સુધી એવું થશે.
૧૬પછી ઇનસાફ અરણ્યમાં વસશે; અને ન્યાયપણું ફળદ્રુપ વાડીમાં રહેશે.
૧૭ન્યાયીપણાનું કામ શાંતિ અને ન્યાયીપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ અને વિશ્વાસ થશે.
૧૮મારા લોકો શાંતિના સ્થાનમાં, સુરક્ષિત આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.
૧૯પરંતુ જંગલના પતન સમયે કરા પડશે અને નગર જમીનદોસ્ત કરવામાં આવશે.
૨૦તમે જેઓ સર્વ ઝરણાંની પાસે વાવો છો અને તમારા બળદ અને ગધેડાને છૂટથી ચરવા મોકલો છો, તેઓ પરમસુખી છે.
