Skip to content
Methodist Church Nadiad

યર્મિયા ૨૯

100%

ત્યારે બંદીવાસમાં ગયેલાઓમાંના બાકી રહેલા વડીલો, ત્યાંના યાજકો, પ્રબોધકો તથા જે લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમમાંથી બાબિલમાં લઈ ગયો ત્યારે યર્મિયા પ્રબોધકે આપેલા વચનો.

યકોન્યા રાજા, રાજમાતા, ઉચ્ચ અધિકારીઓએ, યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, કુશળ કારીગરો તથા લુહારો બાબિલમાંથી ગયા પછી,

તે બધાની પાસે યર્મિયા પ્રબોધકે, શાફાનનો પુત્ર એલાસા તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબિલમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે મોકલ્યો હતો, તે હિલ્કિયાનો દીકરો ગમાર્યા તે બન્નેની સાથે જે પત્ર મોકલ્યો, તેમાં આ પ્રમાણે લખેલું છે.

જે બંદીવાનોને યરુશાલેમથી બાબિલના બંદીવાસમાં મોકલી દીધા છે તે સર્વને “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે;

‘તમે ઘરો બાંધો અને તેમાં રહો, દ્રાક્ષાની વાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ.

તમે પરણો અને સંતાનોને જન્મ આપો. પછી તમારાં દીકરા-દીકરીઓને પરણાવો. જેથી તેઓ પણ સંતાનો પેદા કરે. તમે વૃદ્ધિ પામો, ઓછા ન થાઓ.

તે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરો. જ્યાં મેં તમને દેશનિકાલ કર્યા છે. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તે સમૃદ્ધ થશે ત્યારે તમે પણ આબાદ થશો.”

હું ઇઝરાયલનો ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમને કહું છું કે, ‘તમારા પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ.

કેમ કે તે લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેઓને મોકલ્યા નથી’ એમ યહોવાહ કહે છે.

૧૦કેમ કે યહોવાહ કહે છે કે; બાબિલમાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હું તમારી મુલાકાત લઈશ. તમને આ સ્થળે લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન પૂરું કરીશ.

૧૧કેમ કે તમારા માટે મારા જે ઇરાદાઓ હું રાખું છું તે હું જાણું છું’ એમ યહોવાહ કહે છે. તે ઇરાદાઓ ભવિષ્યમાં તમને આશા આપવા માટે ‘વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે.

૧૨ત્યારે તમે મને હાંક મારશો અને તમે જઈને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ.

૧૩તમે મને શોધશો અને ખરા હૃદયથી મને શોધશો તો મને પામશો.

૧૪યહોવાહ કહે છે, હું તમને મળીશ’ અને તમારો બંદીવાસ ફેરવી નાખીશ. અને જે પ્રજાઓમાં અને જે સ્થળોમાં મેં તમને નસાડી મૂક્યા છે’ ‘ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ.’ એમ યહોવાહ કહે છે.

૧૫પણ તમે કહ્યું છે કે, યહોવાહે અમારે સારુ બાબિલમાં પણ પ્રબોધકો ઊભા કર્યા છે,

૧૬જે રાજા દાઉદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે તથા જે આ શહેરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી તે સર્વ વિષે યહોવાહ કહે છે.

૧૭સૈન્યોના યહોવાહ કહે છે કે; ‘જુઓ, હું તેઓ પર તલવાર, દુકાળ અને મરકી મોકલીશ. હું તેઓને ખાઈ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઈશ.

૧૮અને હું તલવાર, દુકાળ અને મરકીથી તેઓનો પીછો કરીશ અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં હું તેઓને વેરવિખેર કરી નાખીશ. જે દેશોમાં મેં તેઓને હાંકી કાઢ્યા છે. તે સર્વમાં તેઓ શાપ, વિસ્મય અને હાંસીરૂપ તથા નિંદારૂપ થાય.

૧૯આ બધું એટલા માટે બન્યું છે કે તેઓએ મારાં વચનો સાંભળ્યા નહિ’ એમ યહોવાહ કહે છે. ‘પ્રબોધકો મારફતે મેં વારંવાર તેઓની સાથે વાત કરી પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.’ એમ યહોવાહ કહે છે.

૨૦માટે યરુશાલેમમાંથી જે બંદીવાનો મેં બાબિલ મોકલ્યા છે તે તમે સર્વ યહોવાહના વચનો સાંભળો.

૨૧સૈન્યો યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; કોલાયાનો દીકરો આહાબ અને માસેયાનો દીકરો સિદકિયા જેણે તમને મારા નામે ખોટી રીતે ભવિષ્ય ભાખ્યું હતું તેઓના માટે આમ કહે છે. જુઓ, તેઓનો જાહેરમાં શિરચ્છેદ થાય માટે હું તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપીશ. અને તે તમારા દેખતાં તેઓને મારી નાખશે.

૨૨અને તેઓ પરથી સિદકિયા અને આહાબને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા, ‘તેઓના જેવા યહોવાહ તારા હાલ કરો,’ એવો શાપ યહૂદિયાના જે બંદીવાનો બાબીલમાં છે તેઓ સર્વ આપશે.’

૨૩કેમ કે તેઓએ ઇઝરાયલમાં મોટી મૂર્ખામી કરી છે. તેઓએ પોતાના પડોશીઓની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મારા નામે જૂઠાણું પ્રગટ કર્યું હું એ વાતો જાણું છું; અને સાક્ષી છું.” એમ યહોવાહ કહે છે.

૨૪શમાયા નેહેલામીને તું કહેજે કે;

૨૫સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; તેં તારે પોતાને નામે યરુશાલેમના સર્વ લોકો ઉપર માસેયાના દીકરા સફાન્યા યાજક અને બધા યાજકો પર પત્ર લખી કહેડાવ્યું કે,

૨૬“યહોવાહે યાજક યહોયાદાને સ્થાને તને યાજક નીમ્યો છે કે જેથી તમે યહોવાહના ભક્તિસ્થાનના અધિકારી થાઓ. અને જે કોઈ માણસ ઘેલો છતાં પોતાને પ્રબોધક તરીકે કહેવડાવતો હોય તેને તું બેડી પહેરાવી કેદમાં નાખ.

૨૭તો પછી અનાથોથી યર્મિયા જે તમારી આગળ પોતાને પ્રબોધક મનાવે છે તેને ઠપકો કેમ નથી આપતા?

૨૮કેમ કે બાબિલમાં તેણે અમારા પર સંદેશો મોકલ્યો કે, ‘અમારો બંદીવાસ લાંબા સમય સુધીનો છે. તમે ઘર બનાવી અહીં વસો અને વાડીઓ રોપીને તેના ફળો ખાઓ.’

૨૯સફાન્યા યાજકે આ પત્ર યર્મિયા પ્રબોધકને વાંચી સંભળાવ્યો.

૩૦ત્યારે યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે;

૩૧“સર્વ બંદીવાનો ઉપર સંદેશો મોકલાવી અને કહે કે, શામાયા નેહેલામી વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે; શમાયાએ મારા મોકલ્યા વગર તમને ભવિષ્ય કહ્યું છે. અને તેણે જૂઠી વાત પર તમારી પાસે વિશ્વાસ કરાવ્યો છે,

૩૨માટે યહોવાહ કહે છે કે; જુઓ, હું શમાયા નેહેલામીને અને તેના સંતાનોને શિક્ષા કરીશ, તેના વંશજોમાંથી કોઈ આ પ્રજામાં વસવા પામશે નહિ અને મારા લોકનું જે હિત કરીશ તે જોવા પામશે નહિ.’ ‘કેમ કે તેણે યહોવાહની વિરુદ્ધ બંડ કર્યું છે એવું યહોવાહ કહે છે.’”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.