Skip to content
Methodist Church Nadiad

યર્મિયા ૪

100%

યહોવાહ કહે છે, હે ઇઝરાયલ, જો તું ફરે તો મારી પાસે પાછો આવ. તારી ધિક્કારપાત્ર વસ્તુઓ મારી નજર આગળથી દૂર કર અને ફરી મારાથી દૂર જઈશ નહિ.

અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, ‘યહોવાહ જીવે છે, એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ તેમનામાં પોતાને આશીર્વાદિત કહેશે અને તેમની સ્તુતિ કરશે.’

કેમ કે યહૂદિયાના લોકોને અને યરુશાલેમને યહોવાહ આ પ્રમાણે કહે છે, તમારી પડતર જમીન ખેડો, અને કાંટા ઝાંખરાં વચ્ચે વાવશો નહિ.’”

હે યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓ યહોવાહને માટે તમે પોતાની સુન્નત કરો. અને પોતાના હૃદયની સુન્નત કરો, નહિ તો તમારા કામની ભૂંડાઈને લીધે મારો કોપ અગ્નિની જેમ પ્રગટે. અને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.

આ પ્રમાણે યરુશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે, આખા દેશમાં રણશિંગડું વગાડો. અને પોકારીને કહો કે, “આપણે એકઠા થઈએ” અને ચાલો કિલ્લેબંધ નગરોમાં જઈએ’

સિયોન તરફ ધ્વજ ઊંચો કરો, જીવ લઈને ભાગી જાઓ અને વિલંબ કરશો નહિ. કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા ભયંકર વિનાશ લાવીશ.

સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે; તે તો પ્રજાઓનો વિનાશક છે. તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર આવ્યો છે. તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.

માટે શોકનાં વસ્ત્રો ધારણ કરો, વિલાપ અને રુદન કરો, કેમ કે યહોવાહનો ઉગ્ર કોપ હજુ આપણા પરથી ઊતર્યો નથી.

યહોવાહ કહે છે. તે દિવસે રાજાઓ અને અધિકારીઓ ભયને લીધે કાંપશે, યાજકો વિસ્મિત થશે. અને પ્રબોધકો અચંબો પામશે.’

૧૦તેથી હું બોલ્યો, આહા, પ્રભુ યહોવાહ, ‘તમને શાંતિ થશે.’ એમ કહીને તમે આ લોકને તથા યરુશાલેમને સંપૂર્ણ છેતર્યા છે. અહીં તો તલવાર જીવ સુધી આવી પહોંચી છે.”

૧૧તે સમયે આ લોકને તથા યરુશાલેમને કહેવામાં આવશે કે, ‘અરણ્યમાં ખાલી ટેકરીઓ પરથી લૂ મારા લોકની દીકરીઓ તરફ આવશે. તે તો ઊપણવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવશે નહિ.

૧૨મારી આજ્ઞાથી તે તરફ ખૂબ શક્તિશાળી પવન આવશે. હમણાં હું તેઓને ન્યાયશાસન જણાવીશ.

૧૩જુઓ, તે વાદળાંની જેમ અમારા પર ચઢી આવશે. તેના રથો વંટોળીયા જેવા થશે. તેના ઘોડા ગરુડ કરતાં પણ વેગીલા છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાઈ ગયા છીએ.

૧૪હે યરુશાલેમ દુષ્ટતા દૂર કરીને તારું અંત:કરણ શુદ્ધ કર. એટલે તારો ઉદ્ધાર થશે. તારામાં વ્યર્થ વિચારો ક્યાં સુધી રહેશે?

૧૫કેમ કે દાનથી વાણી સંભળાય છે. અને એફ્રાઇમના પર્વતો પરથી વિપત્તિ પ્રગટ કરવામાં આવે છે.

૧૬દેશના લોકોને જાણ કરો. જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનારા આવે છે. તેઓ યહૂદિયાનાં નગરો સામે યુદ્ધનાદો કરે છે.

૧૭ખેતરના રખેવાળોની જેમ તેઓ ચારે તરફ પડાવ નાખે છે કેમ કે તેઓએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. એમ યહોવાહ કહે છે.

૧૮તારા પોતાના વર્તન અને કાર્યોને કારણે આ બધું તારા પર વીત્યું છે. આ તારી દુષ્ટતા છે. અને ખરેખર તે કડવી છે, તે તારા હૃદયને વીંધી નાખે છે.

૧૯અરે મારું હૈયું! મારું હૈયું! મારા અંતરમાં જ દુઃખ થાય છે. મારી છાતી કેવી ધડકે છે! હું શાંત રહી શકતો નથી, કારણ કે મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.

૨૦સંકટ પર સંકટ આવે છે, દેશ આખો ખેદાન મેદાન થઈ ગયો છે. તેઓએ મારા તંબુ અને મારા પવિત્રસ્થાનને વેરાન કર્યું છે.

૨૧હું ક્યાં સુધી ધ્વજા જોઈશ? ક્યાં સુધી રણશિંગડાનો સાદ સાંભળીશ?

૨૨મારા લોકો મૂર્ખ છે. તેઓ મને ઓળખતા નથી, તેઓ મૂર્ખ છોકરાં છે. તેઓને કશી સમજ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે. પરંતુ ભલું કરી જાણતાં નથી.

૨૩મેં પૃથ્વીને જોઈ તે ખાલી હતી! અને આકાશોને જોયાં, તો તેઓમાં અજવાળું નહોતું.

૨૪મેં પર્વતો તરફ જોયું, તો જુઓ, તેઓ ધ્રૂજતા હતા. બધા ડુંગરો થરથરતા હતા.

૨૫મેં જોયું, તો જુઓ, કોઈ મનુષ્ય દેખાતું નહોતું. આકાશના પક્ષીઓ સુદ્ધાં ઊડી ગયાં હતાં.

૨૬મેં જોયું, તો જુઓ, રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી અને યહોવાહની સમક્ષ તેના ભારે કોપને લીધે, બધાં નગરો પાયમાલ થયાં હતાં.

૨૭કેમ કે યહોવાહ કહે છે કે, આખો દેશ ઉજ્જડ થઈ જશે પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું.

૨૮આ કારણથી પૃથ્વી શોક કરશે. અને ઉપરનાં આકાશ અંધકારમય બની જશે. કેમ કે હું તે બોલ્યો છું; હું તે વિષે પશ્ચાતાપ કરીશ નહિ; અને તેમાંથી ડગનાર નથી.

૨૯ઘોડેસવાર અને ધનુર્ધારીઓના અવાજ સાંભળી નગરમાંના સર્વ લોકો નાસે છે, તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છે; તથા ખડકો પર ચઢી જાય છે. સર્વ લોક નગરોને તજે છે. તેઓમાં કોઈ વસનાર નથી.

૩૦હેં લૂંટાયેલી તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્રો પહેરે અને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, અને કાજળ લગાવીને તારી આંખોને આંજે તોપણ તું પોતાને ફોગટ શોભિત કરે છે. તારા પ્રેમીઓ તારો ધિક્કાર કરે છે અને તારો વિનાશ કરવાનું ઇચ્છે છે.

૩૧સિયોનની દીકરીનો સાદ મેં સાંભળ્યો છે. એ તો પ્રસૂતાની વેદના જેવો તથા તેના પહેલા બાળકને જન્મ આપતાં કષ્ટાતી સ્ત્રીનાં જેવો સાદ છે. તેઓ હાંફે છે તેઓ પોતાના હાથ પ્રસારે છે અને કહે છે કે, ‘મને અફસોસ!’ કેમ કે ઘાતકીઓને લીધે મારો જીવ ચિંતાતુર થઈ ગયો છે.’”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.