યહોશુઆ ૪
૧જયારે બધા લોકો યર્દન પાર કરી રહ્યા ત્યારે યહોવાહે યહોશુઆને કહ્યું,
૨“તમે તમારે માટે દરેક કુળમાંથી એક માણસ પ્રમાણે બાર માણસ પસંદ કરો.
૩અને તેઓને આજ્ઞા આપો કે, જ્યાં યાજકો કોરી જમીન પર ઊભા છે ત્યાંથી એટલે યર્દનની મધ્યેથી તેઓ બાર પથ્થર ઉપાડી લે, એ પથ્થર તેઓ પોતાની સાથે પેલી બાજુ લઈ જાય અને આજે જ્યાં તમે રાત્રિમુકામ કરો ત્યાં તેઓને મૂકો.”
૪પછી યહોશુઆએ જેઓને ઇઝરાયલના, દરેક કુળમાંથી એકને પસંદ કર્યા હતા તે બાર માણસને બોલાવ્યા.
૫યહોશુઆએ તેઓને કહ્યું, “તમારા યહોવાહ, પ્રભુના કરારકોશની આગળ યર્દન નદીની મધ્યમાં જાઓ, તમારામાંનો દરેક પોતાના ખભા પર ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે એક એક પથ્થર ઊંચકી લો.
૬જયારે આવનાર દિવસોમાં તમારાં બાળકો પૂછે કે, આ પથ્થરોનો અર્થ શો છે? ત્યારે તમારી વચમાં તમારા માટે આ નિશાનીરૂપ થશે.
૭પછી તમે તેઓને કહેશો કે, ‘યહોવાહનાં કરારકોશની આગળ યર્દનના પાણીના ભાગ થઈ ગયા હતા. જયારે તે યર્દન પાર ઊતરતો હતો ત્યારે યર્દનના પાણીના ભાગ થઈ ગયા. એ પથ્થરો ઇઝરાયલના લોકોના સ્મરણાર્થે હંમેશા રહેશે.”
૮ઇઝરાયલના લોકોને યહોશુઆએ જે પ્રમાણે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાહે યહોશુઆને જે પ્રમાણે કહ્યું હતું તેમ, તેઓએ યર્દનની મધ્યેથી બાર પથ્થર લીધાં અને તેઓએ ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે ગોઠવ્યા. તેઓએ તેને ઊંચકીને તે જગ્યા કે જ્યાં તેઓ રાત વિતાવવાના હતા ત્યાં મૂક્યા.
૯પછી યહોશુઆએ યર્દનની મધ્યમાં, જ્યાં યાજકો કરારકોશ ઊંચકીને ઊભા રહ્યા હતા તે સ્થળે બાર પથ્થર સ્થાપિત કર્યા. અને તે યાદગીરી આજ સુધી ત્યાં છે.
૧૦જે આજ્ઞા મૂસાએ યહોશુઆને આપી હતી અને જે આજ્ઞા યહોવાહે યહોશુઆને આપી હતી તેનું સંપૂર્ણ પાલન થાય ત્યાં સુધી યાજકો યર્દનની મધ્યમાં કરારકોશ ઊંચકીને ઊભા રહ્યા. લોકો ઉતાવળ કરીને પાર ઊતરી ગયા.
૧૧જયારે બધા લોકો પાર ઊતર્યા પછી યહોવાહનો કરારકોશ અને યાજકો લોકોના દેખતાં પાર ઊતર્યા.
૧૨રુબેનીનું કુળ, ગાદનું કુળ અને મનાશ્શાનું અર્ધ કુળ, મૂસાના ફરમાવ્યા પ્રમાણે, શસ્ત્ર સજીને સૈન્યના રૂપમાં ઇઝરાયલના લોકોની આગળ ગયા.
૧૩લગભગ ચાળીસ હજાર માણસો યહોવાહની આગળ યરીખોના મેદાન પર યુદ્ધ માટે સજ્જ થયા.
૧૪તે જ દિવસે યહોવાહ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજરમાં મોટો મનાવ્યો, જેમ તેઓ મૂસાનો આદર કરતા હતા, તેમ તેઓએ તેના સર્વ દિવસોમાં તેનો આદર કર્યો.
૧૫પછી યહોવાહે યહોશુઆને કહ્યું,
૧૬“કરારકોશ ઊંચકનાર યાજકોને યર્દનમાંથી બહાર આવવાની આજ્ઞા આપ.”
૧૭તેથી યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી, “યર્દનમાંથી બહાર આવો.”
૧૮યાજકો યહોવાહનાં કરારકોશને ઊંચકીને યર્દનમાંથી બહાર આવ્યા. યાજકોના પગ કોરી જમીન પર પડ્યા ત્યાર પછી યર્દનનું પાણી તેની અસલ જગ્યાએ પાછું આવ્યું અને તે અગાઉની માફક કિનારે ભરપૂર થઈને વહેવા લાગ્યું.
૧૯લોકો પહેલા મહિનાને દસમે દિવસે યર્દનમાંથી બહાર આવ્યા, તેઓએ યરીખોની પૂર્વ દિશાએ ગિલ્ગાલમાં મુકામ કર્યો.
૨૦જે બાર પથ્થર તેઓ યર્દનમાંથી બહાર લાવ્યા હતા, તેને યહોશુઆએ ગિલ્ગાલમાં સ્થાપિત કર્યા.
૨૧અને તેણે ઇઝરાયલના લોકોને કહ્યું, “આવનાર સમયમાં જયારે તમારા વંશજો પોતાના પિતાને પૂછે કે, ‘આ પથ્થરો શું દર્શાવે છે?’
૨૨ત્યારે ‘તમારાં બાળકોને કહેજો કે ત્યાં ઇઝરાયલે કોરી ભૂમિ પર ચાલીને યર્દન પાર કરી હતી.’
૨૩વળી તેમને કહેજો કે જેમ આપણા યહોવાહ પ્રભુએ સૂફ સમુદ્રને કર્યું, એટલે અમે પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તેમણે તેને અમારી આગળ સૂકવી નાખ્યો હતો, તેમ આપણા યહોવાહ પ્રભુએ અમે યર્દનની પાર ઊતરી રહ્યા ત્યાં સુધી અમારી આગળ તેના પાણી સૂકવી નાખ્યાં હતાં.
૨૪યહોવાહે આ એટલા માટે કર્યું કે પૃથ્વીના સર્વ લોકો જાણે કે યહોવાહ સર્વસમર્થ પ્રભુ છે, અને તમે હંમેશા યહોવાહ તમારા પ્રભુની આરાધના કરો.”
