Skip to content
Methodist Church Nadiad

ન્યાયાધીશો ૨૦

100%

પછી સર્વ ઇઝરાયલ લોકો દાનથી તે બેરશેબા સુધીના, ગિલ્યાદ દેશના તમામ ઇઝરાયલી લોકો ઈશ્વરની આગળ એકમતના થઈને મિસ્પામાં સમૂહમાં એકત્ર થયા.

સર્વ લોકોના આગેવાનો, ઇઝરાયલના સર્વ કુળો, ઈશ્વરના લોકોની સભામાં સર્વ ભેગા મળ્યા. તેમાં જમીન પર તલવારથી લડનારા ચાર લાખ પુરુષો ઉપસ્થિત હતા.

બિન્યામીનના લોકોને સાંભળવામાં આવ્યું. કે ઇઝરાયલ લોકો મિસ્પામાં ભેગા મળ્યા છે. ઇઝરાયલના લોકોએ પૂછ્યું, “અમને કહો કે, આ અધમ કૃત્ય કેવી રીતે બન્યું?”

હત્યા થયેલ સ્ત્રીનાં પતિ લેવીએ જવાબ આપ્યો, “મેં અને મારી ઉપપત્નીએ રાત વિતાવવા સારુ બિન્યામીનના ગિબયામાં મુકામ કર્યો હતો.

રાતના સમયે ગિબયાના સંબંધીઓએ મારા પર હુમલો કર્યો અને ઘરને ઘેરીને મને મારી નાખવાનો વિચાર કર્યો. તેઓએ મારી ઉપપત્ની પર બળાત્કાર કર્યો અને તે મરણ પામી.

મેં મારી ઉપપત્નીને લઈને તેને કાપીને તેના પાર્થિવ શરીરનાં બાર ટુકડાં કરીને, ઇઝરાયલ પ્રદેશના રહેવાસીઓને મોકલી આપ્યાં, કેમ કે તેઓએ એવું અધમ કૃત્ય અને અત્યાચાર કર્યો છે.

હવે સર્વ ઇઝરાયલીઓ, તમે જુઓ. વિચાર કરીને કહો કે હવે શું કરવું?’”

સર્વ લોકો એક સાથે ઊભા થયા અને તેઓએ કહ્યું, “આપણામાંનો કોઈ પોતાના તંબુએ નહિ જશે અને કોઈ પાછો પોતાને ઘરે પણ જશે નહિ!

પણ હવે ગિબયાને આપણે આ પ્રમાણે કરવું જોઈએ આપણે ચિઠ્ઠી નાખીએ અને તે પ્રમાણે તેના પર હુમલો કરીએ.

૧૦આપણે ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી દર સો માણસોમાંથી દસ, હજાર માણસોમાંથી સો અને દસ હજારમાંથી હજાર માણસોને લડનારા લોકો માટે ખોરાકપાણી લાવવાનું કામ સોંપીએ, અને લડવૈયાઓ બિન્યામીનના ગિબયામાં જાય. અને ઇઝરાયલમાં જે દુષ્ટતા તેઓએ કરી છે તે પ્રમાણે તેઓને શિક્ષા કરે.

૧૧તેથી ઇઝરાયલના સર્વ સૈનિકો એકમતના થઈને નગરની વિરુદ્ધ એકત્ર થયા.

૧૨ઇઝરાયલનાં કુળોએ બિન્યામીનના કુળમાં માણસો મોકલીને કહાવ્યું, “આ કેવું દુષ્કર્મ તમારી મધ્યે થયું છે?

૧૩તેથી હવે, જે બલિયાલ પુત્રો ગિબયામાં છે તેઓને અમારા હાથમાં સોંપી દે. અમે તેઓને મારી નાખીને ઇઝરાયલમાંથી ભ્રષ્ટાચારને દૂર કરીશું.” પણ બિન્યામીનીઓએ પોતાના ભાઈઓનું, ઇઝરાયલનું કહેવું માન્યું નહિ.

૧૪પછી બિન્યામીનના લોકો ગિબયાનાં નગરોમાંથી ઇઝરાયલની સામે લડવાને બહાર આવ્યા.

૧૫બિન્યામીનના લોકોની સંખ્યા ચૂંટી કાઢેલા સાતસો પુરુષો ઉપરાંત જુદાં જુદાં નગરોમાંથી આવેલા છવ્વીસ હજાર પુરુષોની હતી. તેઓ તલવાર વડે લડનારા નિષ્ણાત લડવૈયા હતા.

૧૬આ સર્વ સૈનિકોમાં, ચુંટી કાઢેલા સાતસો ડાબોડી પુરુષો હતા; તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારતો કે તેનો પ્રહાર નિશ્ચિત નિશાન પર જ થતો હતો.

૧૭બિન્યામીનીઓ સિવાય ઇઝરાયલના જેઓ ચાર લાખ સૈનિકો હતા, તેઓ સર્વ લડવૈયાઓ તલવારબાજીમાં નિપુણ હતા.

૧૮ઇઝરાયલના લોકો ઈશ્વરની સલાહ પૂછવા માટે બેથેલ ગયા. તેઓએ પૂછ્યું, “બિન્યામીન લોકોની સામે યુદ્ધ કરવા સારુ અમારી તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” અને ઈશ્વરે કહ્યું, “યહૂદા પહેલો ચઢાઈ કરે.”

૧૯અને ઇઝરાયલના લોકોએ સવારે ઊઠીને ગિબયાની સામે છાવણીમાં યુદ્ધની તૈયારી કરી.

૨૦ઇઝરાયલના સૈનિકો બિન્યામીનની સામે યુદ્ધ કરવાને ચાલી નીકળ્યા અને તેઓએ ગિબયા પાસે વ્યૂહરચના કરી.

૨૧બિન્યામીનના સૈનિકો ગિબયામાંથી ધસી આવ્યા અને તેઓએ તે દિવસે બાવીસ હજાર ઇઝરાયલીઓને મારી નાખ્યા.

૨૨ઇઝરાયલના સૈનિકોએ હિંમત રાખીને તેઓએ અગાઉના દિવસની માફક એ જ જગ્યાએ ફરીથી વ્યૂહરચના કરી.

૨૩ઇઝરાયલના લોકો ઈશ્વરની સમક્ષતામાં નમ્યાં. અને સાંજ સુધી રડ્યા, તેઓએ ઈશ્વરની સલાહ પૂછી કે, “શું અમે અમારા ભાઈ બિન્યામીનના લોકો સામે ફરી યુદ્ધ કરવાને જઈએ?” અને ઈશ્વરે કહ્યું, “હા, તેમના પર હુમલો કરો!”

૨૪તેથી ઇઝરાયલના સૈનિકો બીજે દિવસે બિન્યામીનના સૈનિકો સામે ગયા.

૨૫બિન્યામીનીઓએ ગિબયામાંથી તેઓની સામે આક્રમણ કર્યું તેઓએ ઇઝરાયલ સૈન્યના અઢાર હજાર માણસોને મારી નાખ્યા, તેઓ સર્વ તલવાર બાજીમાં નિપુણ લડવૈયાઓ હતા.

૨૬ત્યારે ઇઝરાયલના સર્વ સૈનિકો અને લોકોએ બેથેલમાં ઈશ્વરની આગળ રડીને સાંજ સુધી ઉપવાસ કર્યો અને ઈશ્વર આગળ દહનીયાર્પણ તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.

૨૭ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પૂછ્યું, કેમ કે તે દિવસોમાં ઈશ્વરનો કરારકોશ ત્યાં હતો,

૨૮એલાઝારનો દીકરો હારુનનો દીકરો ફીનહાસ તેની સમક્ષ ઊભો હતો. તેણે પૂછ્યું, “શું અમે બિન્યામીનીઓ કે, જે અમારા ભાઈઓ છે તેઓની સામે ફરી યુદ્ધ કરવાને જઈએ કે નહિ?” ઈશ્વરે કહ્યું, “હુમલો કરો” કેમ કે આવતીકાલે હું તેઓને હરાવવામાં તમારી પડખે રહીશ.”

૨૯તેથી ઇઝરાયલીઓએ ગિબયાની ચોતરફ ખાસ જગ્યાઓમાં માણસો ગોઠવ્યા.

૩૦ઇઝરાયલના સૈનિકોએ બિન્યામીનના સૈનિકો સામે ત્રીજે દિવસે યુદ્ધ કર્યું અને તેઓએ અગાઉની રીત પ્રમાણે ગિબયાની વિરુદ્ધ વ્યૂહ રચ્યો.

૩૧બિન્યામીનના લોકો તેઓની સામે લડ્યા અને તેઓને પાછા હઠાવતા નગરની બહાર કાઢી મૂક્યા. અને તેઓએ અગાઉની જેમ જાહેરમાં ઇઝરાયલના આશરે ત્રીસ માણસોને ખુલ્લાં મેદાનમાં રસ્તાઓમાં મારીને કાપી નાખ્યાં. તે રસ્તાઓમાંનો એક બેથેલમાં જાય છે, બીજો ગિબયામાં જાય છે.

૩૨બિન્યામીનના લોકોએ કહ્યું કે, “તેઓ હારી ગયા છે. અને પહેલાંની માફક, આપણી પાસેથી નાસી જાય છે. “પણ ઇઝરાયલના સૈનિકોએ કહ્યું, “આપણે દોડીને તેમની પાછળ અને તેઓને નગરથી રસ્તામાં ખેંચી લાવીએ.”

૩૩ઇઝરાયલના સર્વ સૈનિકો પોતાની જગ્યાએથી ઊઠ્યા, તેઓએ બાલ-તામાર આગળ વ્યૂહ રચ્યો. અને ઇઝરાયલના સંતાઈ રહેલા સૈનિકોને તેમની જગ્યામાંથી એટલે મારેહ ગિબયામાંથી બહાર નીકળી આવ્યા.

૩૪અને સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા દસ હજાર માણસોએ ગિબયા પર હુમલો કર્યો. ત્યાં ભયાનક યુદ્ધ મચ્યું, જો કે બિન્યામીનીઓ જાણતા નહોતા કે હવે તેઓનું આવી બન્યું છે.

૩૫ઈશ્વરે ઇઝરાયલીઓ સામે બિન્યામીનીઓનો પરાજય કર્યો. અને ઇઝરાયલના સૈનિકોએ તે દિવસે બિન્યામીનના પચીસ હજાર એકસો માણસોનો સંહાર કર્યો. મૃત્યુ પામેલાઓ તલવારબાજીમાં નિપુણ લડવૈયાઓ હતા.

૩૬બિન્યામીનના સૈનિકોએ જોયું કે તેઓનો પરાજય થયો છે. ઇઝરાયલના માણસોએ બિન્યામીનીઓની આગળથી હઠી ગયા કેમ કે જેઓને તેઓએ ગિબયાની સામે સંતાડી રાખ્યા હતા તેઓના ઉપર તેમનો ભરોસો હતો.

૩૭ત્યારે સંતાઈ રહેલાઓ બહાર નીકળીને એકાએક ગિબયા પર ધસી આવ્યા, અને તેઓએ તલવાર ચલાવીને તમામ નગરવાસીઓનો સંહાર કર્યો.

૩૮હવે ઇઝરાયલી સૈનિકો અને સંતાઈ રહેલાઓની વચ્ચે સંકેત હતો કે, નગરમાંથી ધુમાડાના ગોટેગોટા ઉપર ચઢાવવા.

૩૯અને ઇઝરાયલી સૈનિકો યુદ્ધમાંથી પાછા ફરી લડાઈથી દૂર રહ્યા. ત્યારે બિન્યામીનીઓએ હુમલો કર્યો. અને તેઓએ આશરે ત્રીસ ઇઝરાયલીઓને તેઓએ મારી નાખ્યા. તેઓએ કહ્યું, “અગાઉના યુદ્ધની માફક તેઓ નિશ્ચે આપણી આગળ માર્યા ગયા છે.”

૪૦પણ જયારે નગરમાંથી ધુમાડાના ગોટેગોટા સ્તંભરૂપે ઉપર ચઢવા લાગ્યા, ત્યારે બિન્યામીનીઓએ પાછળ ફરીને જોયું કે આખા નગરનો ધુમાડો આકાશમાં ચઢતો હતો.

૪૧પછી ઇઝરાયલના સૈનિકો પાછા ફર્યા. બિન્યામીનીઓ સ્તબ્ધ થઈ ગયા. કેમ કે તેઓને સમજાયું કે હવે તેઓનું આવી બન્યું છે.

૪૨તેથી તેઓ ઇઝરાયલ સૈનિકો સામેથી અરણ્યને માર્ગે ભાગી ગયા. પણ લડાઈ ચાલુ હતી. ઇઝરાયલના સૈનિકો નગરોમાંથી બહાર આવ્યા અને તેઓએ તેઓને મારી નાખ્યા.

૪૩તેઓ બિન્યામીનીઓને ચોતરફથી ઘેરીને પૂર્વમાં ગિબયાની સામે તેઓની પાછળ પડ્યા; અને આરામ આગળ તેઓને કચડી નાખ્યા.

૪૪બિન્યામીનના કુળમાંથી અઢાર હજાર માણસો મરણ પામ્યા, તેઓ સર્વ યુદ્ધમાં શૂરવીરો હતા.

૪૫તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા. અને રિમ્મોન ગઢમાં જતા રહ્યા. ઇઝરાયલીઓએ રાજમાર્ગોમાં વિખૂટા પડેલા પાંચ હજારની કતલ કરી. તેઓએ તેઓનો પીછો કરવાનું ચાલુ રાખ્યું અને ગિદોમ સુધી તેનો પીછો કરીને બીજા બે હજાર માણસોનો સંહાર કર્યો.

૪૬તે દિવસે બિન્યામીનના સૈનિકોમાંના તાલીમ પામેલા અને તલવાર ચલાવવામાં કુશળ એવા પચીસ હજાર સૈનિકોને મારી નાખવામાં આવ્યા; તેઓ સર્વ યુદ્ધમાં પ્રવીણ હતા.

૪૭પણ છસો માણસો પાછા ફરીને અરણ્ય તરફ રિમ્મોનનાં ગઢમાં ભાગી ગયા. ત્યાં ગઢમાં ચાર મહિના સુધી રહ્યા.

૪૮ઇઝરાયલના સૈનિકોએ બિન્યામીનના લોકો તરફ પાછા ફરીને તેઓ પર હુમલો કર્યો. મારી નાખ્યા. તેઓએ સંપૂર્ણ નગરનો, જાનવરોનો તથા જે સર્વ નજરે પડ્યાં તેઓનો તલવારથી નાશ કર્યો. અને જે નગરો તેઓના જોવામાં આવ્યાં તે બધાં નગરોને બાળી નાખ્યાં.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.