ન્યાયાધીશો ૬
૧ઇઝરાયલના લોકોએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું; અને સાત વર્ષ સુધી ઈશ્વરે તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યાં.
૨મિદ્યાનનો હાથ ઇઝરાયલ વિરુદ્ધ પ્રબળ થયો. મિદ્યાનીઓને લીધે ઇઝરાયલના લોકોએ પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ગઢો છે તે પોતાને માટે બનાવ્યાં.
૩અને જે સમયે ઇઝરાયલીઓ વાવણી કરતા, ત્યારે એમ થતું કે, મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના લોકો તેઓ પર ચઢી આવતા.
૪તેઓ તેઓની સામે છાવણી કરીને છેક ગાઝા સુધી જમીનની ઉપજનો નાશ કરતા. તેઓ ઇઝરાયલમાં અન્ન, ઘેટું, બળદ અથવા ગધેડું એવું કંઈ પણ રહેવા દેતા નહિ.
૫તેઓ પોતાનાં જાનવર તથા તંબુઓ લઈને તીડની માફક સંખ્યાબંધ પ્રમાણમાં ચઢી આવતા. તેઓ તથા તેઓનાં ઊંટો અસંખ્ય હતાં. દેશનો વિનાશ કરવાને તેઓ તેમાં પેસતાં.
૬મિદ્યાનીઓએ ઇઝરાયલીઓને કંગાલ બનાવી દીધા, તેથી ઇઝરાયલી લોકોએ ઈશ્વરની આગળ પોકાર કર્યો.
૭જયારે ઇઝરાયલી લોકોએ મિદ્યાનીઓના ત્રાસ ને કારણે ઈશ્વરની આગળ પોકાર કર્યો ત્યારે,
૮ઈશ્વરે ઇઝરાયલી લોકો માટે પ્રબોધક મોકલ્યો. તેણે તેઓને કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે: ‘હું તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો અને ગુલામીમાંથી મુક્ત કર્યા.
૯મેં તમને મિસરીઓના હાથમાંથી અને તમારા પર જુલમ ગુજારનારાઓના હાથમાંથી છોડાવ્યાં. મેં તેઓને તમારી આગળથી કાઢી મૂકીને તેઓનો દેશ તમને આપ્યો.
૧૦મેં તમને કહ્યું, “હું ઈશ્વર તમારો પ્રભુ છું; મેં તમને આજ્ઞા કરી હતી, જે કોઈ દેશમાં તમે રહો ત્યાં અમોરીઓના દેવોની પૂજા કરવી નહિ.” પણ તમે મારી વાણીનું પાલન કર્યું નથી.’”
૧૧પછી ઈશ્વરનો દૂત આવીને ઓફ્રામાં અબીએઝેરી યોઆશનું જે એલોન વૃક્ષ હતું તેની નીચે બેઠો, ત્યાં યોઆશનો દીકરો, ગિદિયોન, મિદ્યાનીઓથી સંતાઈને દ્રાક્ષચક્કીની અંદર ઘઉં ઝૂડતો હતો.
૧૨ઈશ્વરના દૂતે તેને દર્શન આપીને તેને કહ્યું, “પરાક્રમી શૂરવીર, ઈશ્વર તારી સાથે છે!”
૧૩ગિદિયોને તેને કહ્યું, “મારા માલિક, જો ઈશ્વર અમારી સાથે હોય, તો શા માટે આ બધું અમારી પર આવી પડે છે? તેમનાં અદ્દભુત કાર્યો વિષે અમારા પિતૃઓએ અમને જણાવ્યું છે, તેઓએ કહ્યું ‘શું ઈશ્વર અમને મિસરમાંથી કાઢી લાવ્યા નથી?’ તોપણ તેમણે તો અમને તજી દીધા છે અને અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે.”
૧૪ઈશ્વરે તેના તરફ કૃપાદ્રષ્ટિ કરીને કહ્યું, “તું તારા આ સામર્થ્ય દ્વારા આગળ વધ. ઇઝરાયલીઓને મિદ્યાનીઓના હાથમાંથી બચાવ. મેં તને મોકલ્યો નથી શું?”
૧૫ગિદિયોને તેને કહ્યું, “કૃપા કરી, પ્રભુ, હું કેવી રીતે ઇઝરાયલને બચાવું? જુઓ, મનાશ્શામાં મારું કુટુંબ કમજોર છે અને હું મારા પિતાના ઘરમાં સૌથી નાનો છું.”
૧૬ઈશ્વરે તેને કહ્યું, “હું તારી સાથે રહીશ અને તું મિદ્યાનીઓના સમગ્ર સૈન્યને એકલો મારશે.”
૧૭ગિદિયોને તેમને કહ્યું, “જો તમે મારી પર કૃપા કરી હોય, તો મને કોઈ ચિહ્ન આપો કે જે મારી સાથે વાત કરે છે તે તમે જ છો.
૧૮જ્યાં સુધી હું તમારી પાસે આવું અને અર્પણ લઈને તમારી આગળ મૂકું, ત્યાં સુધી કૃપા કરીને અહીંથી જશો નહિ.” ઈશ્વરે કહ્યું, “જ્યાં સુધી તું પાછો આવે ત્યાં સુધી હું રાહ જોઈશ.”
૧૯ગિદિયોને ઘરમાં જઈને લવારું તથા એફાહ લોટમાંની બેખમીરી રોટલી તૈયાર કરી. તેણે ટોપલીમાં માંસ ભર્યું તથા એક ઘડામાં માંસનો રસો લઈને, એલોન વૃક્ષની નીચે લાવ્યો અને અર્પણ કર્યા.
૨૦ઈશ્વરના દૂતે તેને કહ્યું, “માંસ તથા બેખમીર રોટલી લઈને તેને આ ખડક પર મૂક અને તેઓ પર રસો રેડી દે.” ગિદિયોને એ મુજબ કર્યું.
૨૧ત્યારે ઈશ્વરના દૂતે પોતાના હાથમાંથી લાકડીના છડાથી માંસ અને બેખમીર રોટલીને સ્પર્શ કર્યો; ખડકમાંથી અગ્નિ નીકળ્યો અને માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. પછી ઈશ્વરનો દૂત અદ્રશ્ય થઈ ગયો પછી ગિદિયોન તેને જોઈ શક્યો નહિ.
૨૨ગિદિયોન સમજ્યો કે આ ઈશ્વરનો દૂત હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈશ્વર, મને અફસોસ! કેમ કે મેં ઈશ્વરના દૂતને મારી સમક્ષ જોયો!”
૨૩ઈશ્વરે તેને કહ્યું, “તને શાંતિ હો! ગભરાઈશ નહિ, તું મૃત્યુ પામશે નહિ.”
૨૪તેથી ગિદિયોને ઈશ્વરને સારુ ત્યાં એક વેદી બનાવી. તેનું નામ ઈશ્વર-શાલોમ પાડ્યું. તે આજ દિવસ સુધી અબીએઝેરીઓના ઓફ્રામાં છે.
૨૫તે રાત્રે ઈશ્વરે તેને કહ્યું, “તારા પિતાનો બળદ તથા બીજો સાત વર્ષનો શ્રેષ્ઠ બળદ લે અને બઆલની જે યજ્ઞવેદી તારા પિતાની પોતાની છે તે તોડી પાડ, તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખ.
૨૬તું પ્રભુ તારા ઈશ્વરને માટે આ જગ્યાના શિખર પર યોગ્ય બાંધકામ કરીને યજ્ઞવેદી બનાવ. જે અશેરા મૂર્તિને તું કાપી નાખશે તેના લાકડાથી, પેલો બીજો શ્રેષ્ઠ બળદ લઈને તેનું દહનીયાર્પણ કર.”
૨૭તેથી ગિદિયોને પોતાના દસ સેવકોને લઈને, ઈશ્વરે તેને જે કરવાનું કહ્યું હતું તે કર્યું. તે દિવસે પોતાના પિતાના ઘરનાંથી તથા નગરના પુરુષોથી ગભરાતો હતો, તેથી તેણે રાત્રે યજ્ઞવદી બનાવી.
૨૮સવારમાં જયારે નગરના પુરુષો ઊઠ્યા ત્યારે તેઓએ જોયું કે, બઆલની યજ્ઞવેદી તોડી પાડેલી હતી તેની પાસેની અશેરા મૂર્તિ કાપી નાખેલી હતી તથા બાંધેલી નવી યજ્ઞવેદી પર બીજા શ્રેષ્ઠ બળદનું દહનીયાપર્ણ કરેલું હતું.
૨૯નગરના પુરુષોએ એકબીજાને કહ્યું, “આ કામ કોણે કર્યું છે?” પછી તપાસ કરીને તેઓએ કહ્યું, “યોઆશના દીકરા ગિદિયોને આ કૃત્ય કર્યું છે.”
૩૦ત્યારે નગરના લોકોએ યોઆશને કહ્યું, “તારા દીકરાને બહાર લાવ કે જેથી તે માર્યો જાય, કેમ કે તેણે બઆલની યજ્ઞવેદી તોડી પાડી છે અને અશેરા મૂર્તિ કાપી નાખી છે.”
૩૧યોઆશે તેની સામે ઊભા રહેલા સર્વ લોકોને કહ્યું, “શું તમે બઆલના પક્ષમાં બોલશો? કે શું તમે તેને બચાવશો? જે માણસ તેના પક્ષમાં વિવાદ કરે તે સવાર થતાં પહેલાં માર્યો જાય; જો બાલ દેવ હોય તો તે પોતે પોતાના પક્ષમાં બોલે, કેમ કે કોઈ એકે તેની વેદી તોડી પાડી છે.”
૩૨તે માટે તે દિવસે તેણે દીકરાનું નામ “યરુબાલ” પાડીને કહ્યું, “બઆલ તેની સામે વિવાદ કરે,” કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે.
૩૩ત્યારે સર્વ મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકત્ર થયા. તેઓએ પેલે પાર જઈને યિઝ્રએલની ખીણમાં છાવણી કરી.
૩૪પણ ઈશ્વરનો આત્મા ગિદિયોન પર આવ્યો તેણે રણશિગડું વગાડ્યું. તેથી અબીએઝેરના માણસો તેની પાછળ જવાને એકત્ર થયા.
૩૫તેણે મનાશ્શામાં સર્વત્ર સંદેશવાહકો મોકલ્યા અને તેઓ પણ તેની પાછળ એકત્ર થયા. તેણે આશેરમાં, ઝબુલોનમાં તથા નફતાલીમાં સંદેશવાહકો મોકલ્યા અને તેઓ તેને મળવા સામા ગયા.
૩૬ગિદિયોને ઈશ્વરને કહ્યું, “જો તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના હોય,
૩૭તો જુઓ, હું ખળીમાં ઊન મૂકીશ. જો એકલા ઊન પર ફક્ત ઝાકળ પડે અને બાકીની ભૂમિ સૂકી રહે, તો હું જાણીશ કે તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના છો.”
૩૮બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઊઠીને ઊન દબાવ્યું, ત્યારે તે જ પ્રમાણે થયું, ઊનને નિચોવતાં એક વાટકો ભરાય તેટલું ઝાકળનું પાણી નીકળ્યું.
૩૯પછી ફરીથી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારો કોપ મારા પર ન સળગાવો, હું માત્ર હજુ એકવાર બોલીશ, હવે કૃપા કરીને એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો, હવે એકલું ઊન કોરું રહે અને બાકીની ભૂમિ પર ફક્ત ઝાકળ પડે.”
૪૦તે રાત્રે તેણે જેવું માગ્યું તેવું ઈશ્વરે કર્યું. કેમ કે એકલું ઊન કોરું હતું અને બાકીની જમીન પર ફક્ત ઝાકળ હતું.
