ગણના ૮
૧યહોવાહે મૂસાને કહ્યું કે,
૨“તું હારુનને કહે કે જ્યારે તું દીવા સળગાવે ત્યારે દીવા દીપવૃક્ષની આગળ તેનો પ્રકાશ પાડે.’”
૩હારુને તે પ્રમાણે કર્યુ. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે દીપવૃક્ષની આગળ દીવા સળગાવ્યા.
૪દીપવૃક્ષ આ મુજબ બનાવવામાં આવ્યુ હતું; એટલે દીપવૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું. તેના પાયાથી તેનાં ફૂલો સુધી તે ઘડતર કામનું હતું. જે નમૂનો યહોવાહે મૂસાને બતાવ્યો હતો. તે પ્રમાણે તેણે દીપવૃક્ષ બનાવ્યું.
૫પછી, યહોવાહે મૂસાને કહ્યું કે,
૬“ઇઝરાયલ લોકોમાંથી લેવીઓને અલગ કરીને તેઓને શુદ્ધ કર.
૭તેઓને શુદ્ધ કરવા તું આ મુજબ કર; તેઓના પર શુધ્ધિકરણના પાણીનો છંટકાવ કરવો. ત્યારબાદ તેઓ આખું શરીર મૂંડાવે અને પોતાના વસ્ત્ર ધોઈ નાખે તથા પોતાને સ્વચ્છ કરે.
૮ત્યારબાદ તેઓ એક વાછરડો તથા તેનું ખાદ્યાર્પણ એટલે તેલમિશ્રિત મેંદો લે. અને એક બીજો વાછરડો પાપાર્થાર્પણ માટે લે.
૯પછી બધા લેવીઓને મુલાકાતમંડપ આગળ રજૂ કર; અને ઇઝરાયલ લોકોની આખી જમાતને તું ભેગી કર.
૧૦અને તું લેવીઓને યહોવાહની સમક્ષ લાવે ત્યારે ઇઝરાયલી લોકો પોતાના હાથ લેવીઓ પર મૂકે.
૧૧પછી લેવીઓને તું યહોવાહ સમક્ષ રજૂ કર. અને લેવીઓ પર ઇઝરાયલપુત્રો પોતાના હાથ મૂકે.
૧૨અને લેવીઓ પોતાના હાથ વાછરડાઓનાં માથાં પર મૂકે અને લેવીઓના પ્રાયશ્ચિત અર્થે એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને બીજો દહનીયાર્પણ તરીકે યહોવાહને તું ચઢાવ.
૧૩પછી હારુનની સામે તથા તેના દીકરાઓ સમક્ષ તું લેવીઓને ઊભા કર અને યહોવાહને સ્તુતિના અર્પણ તરીકે ચઢાવ.
૧૪આ રીતે તું ઇઝરાયલપ્રજામાંથી લેવીઓને અલગ કર, જેથી લેવીઓ મારા પોતાના થાય.
૧૫અને ત્યારપછી, લેવીઓ મુલાકાતમંડપની સેવાને લગતું કામ કરવા અંદર જાય. અને તારે લેવીઓને શુદ્ધ કરીને સ્તુત્યાર્પણ તરીકે મને અર્પણ કરવા.
૧૬આ મુજબ કર, કેમ કે ઇઝરાયલપ્રજામાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. ઇઝરાયલમાંથી સર્વ પ્રથમજનિતો એટલે ગર્ભ ઊઘાડનારનાં બદલે મેં લેવીઓને મારા પોતાને માટે લીધા છે.
૧૭કેમ કે ઇઝરાયલમાંથી પ્રથમજનિત માણસ તથા પશુ મારાં છે. જે દિવસે મેં મિસરના સર્વ પ્રથમજનિતનો નાશ કર્યો ત્યારે તે સર્વને મેં મારા માટે અલગ કર્યાં હતાં.
૧૮અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિતને બદલે મેં લેવીઓને લીધાં છે.
૧૯ઇઝરાયલ લોકોમાંથી લેવીઓને મુલાકાતમંડપની સેવા કરવાં માટે તથા ઇઝરાયલ લોકોને પ્રાયશ્ચિત કરવા માટે મેં હારુનના તથા તેના દીકરાઓના હાથમાં સોંપ્યા છે. જેથી ઇઝરાયલ લોકો પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે તેઓ મધ્યે કોઈ મરકી ન થાય.”
૨૦પછી મૂસા તથા હારુને તથા ઇઝરાયલ લોકોના સમગ્ર સભાએ આ મુજબ લેવીઓને કહ્યું; લેવીઓ વિષે જે સર્વ આજ્ઞા યહોવાહે મૂસાને આપી હતી તે મુજબ ઇઝરાયલના સમગ્ર સમાજે કર્યું.
૨૧લેવીઓએ પોતાને પાપથી શુદ્ધ કર્યા અને તેઓએ પોતાનાં વસ્ત્રો ધોયાં. અને હારુને તે સૌને અર્પણ તરીકે યહોવાહની આગળ રજૂ કર્યા. અને હારુને તેઓને શુદ્ધ કરવા માટે તેઓને સારુ પ્રાયશ્ચિત કર્યું.
૨૨ત્યારબાદ લેવીઓ મુલાકાતમંડપમાં હારુન અને તેના દીકરાઓના હાથ નીચે સેવા કરવા ગયા. જેમ યહોવાહે લેવીઓ અંગે જે આજ્ઞાઓ મૂસાને જણાવી હતી તેમ તેઓએ તેઓને કર્યું.
૨૩ફરીથી, યહોવાહે મૂસાને કહ્યું કે,
૨૪“લેવીઓની ફરજ આ છે. પચ્ચીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લેવીઓ મુલાકાતમંડપની અંદર જઈ સેવા શરૂ કરી શકે.
૨૫પચાસ વર્ષની ઉંમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે.
૨૬તેઓ મુલાકાતમંડપમાં કામ કરતા પોતાના ભાઈઓની સાથે સેવા કરે, પણ મુલાકાતમંડપની અંદર સેવા ન કરે, લેવીઓને સોંપેલી સેવા માટે આ વ્યવસ્થા વિષે તું તેઓને માહિતી આપ.”
