ગીતશાસ્ત્ર ૧૪
100%
૧મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી.
૨કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાહે આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી.
૩દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.
૪શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી? તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે, પણ યહોવાહને વિનંતિ કરતા નથી.
૫તેઓ બહુ ભયભીત થયા, કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.
૬તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો પણ યહોવાહ તો તેનો આશ્રય છે.
૭સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું! જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.
