Skip to content
Methodist Church Nadiad

પ્રકટીકરણ ૩

100%

સાર્દિસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જેમને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તેઓ આ વાતો કહે છે તારાં કામ હું જાણું છું કે “તું જીવંત તરીકે જાણીતો છે, પણ ખરેખર તું મૃત છે.”

તું જાગૃત થા અને બાકીના જે કાર્યો તારામાં બચી ગયો છે તે મરણ પામવાની તૈયારીમાં છે, તેઓને બળવાન કર; કેમ કે મેં તારાં કામ મારા ઈશ્વરની આગળ સંપૂર્ણ થયેલાં જોયાં નથી.

માટે તને જે મળ્યું, તેં જે સાંભળ્યું છે, તેને યાદ કર અને ધ્યાનમાં રાખ, અને પસ્તાવો કર. કેમ કે જો તું જાગૃત નહિ રહે તો હું ચોરની માફક આવીશ, અને કઈ ઘડીએ હું તારા પર આવીશ તેની તને ખબર નહિ પડે.

તોપણ જેઓએ પોતાનાં વસ્ત્રો અશુદ્ધ કર્યાં નથી, એવાં થોડા લોકો તારી પાસે સાર્દિસમાં છે; તેઓ સફેદ વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે; કેમ કે તેઓ લાયક છે.

જે જીતે છે તેને એ જ પ્રમાણે સફેદ વસ્ત્ર પહેરાવાશે; જીવનનાં પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના સ્વર્ગદૂતોની આગળ હું તેનું નામ સ્વીકારીશ.

આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે.

ફિલાડેલ્ફિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે, જે તે ઉઘાડે છે એને કોઈ બંધ કરશે નહિ, તથા જે તે બંધ કરશે એને કોઈ ઉઘાડી શકશે નથી, તે આ વાતો કહે છે.

તારાં કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બારણું ખુલ્લું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. તારામાં થોડી શક્તિ છે, તોપણ તેં મારી વાત માની છે અને મારા નામનો ઇનકાર કર્યો નથી.

જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, તેઓ જૂઠું બોલે છે. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારા પગ આગળ નમશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે.

૧૦તેં ધીરજપૂર્વક મારા વચન પાળ્યું છે, તેથી પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારુ કસોટીનો જે સમય આખા માનવજગત પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ.

૧૧હું વહેલો આવું છું; તારું જે છે તેને તું વળગી રહે કે, કોઈ તારો મુગટ લઈ લે નહિ.

૧૨જે જીતે છે તેને હું મારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં સ્તંભ કરીશ, તે ફરી ત્યાંથી બહાર જશે નહિ; વળી તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.

૧૩આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.

૧૪લાઓદિકિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિના મૂળરૂપ છે, તે આ વાતો કહે છે.

૧૫તારાં કામ હું જાણું છું, કે તું ઠંડો નથી, તેમ જ ગરમ પણ નથી; તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું!

૧૬પણ તું હૂંફાળો છે, એટલે ગરમ નથી તેમ જ ઠંડો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.

૧૭તું કહે છે કે, હું શ્રીમંત છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ખોટ નથી; પણ તું જાણતો નથી કે, તું કંગાળ, દયાજનક, ગરીબ, અંધ તથા નિર્વસ્ત્ર છે.

૧૮માટે હું તને એવી સલાહ આપું છું કે તું શ્રીમંત થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; તું વસ્ત્ર પહેર, કે તારી નિર્વસ્ત્ર હોવાની શરમ પ્રગટ ન થાય, માટે સફેદ વસ્ત્ર વેચાતાં લે; તું દેખતો થાય, માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ.

૧૯હું જેટલાં પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શીખવવું છું; માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.

૨૦જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, તે પણ મારી સાથે જમશે.

૨૧જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી પાસે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની પાસે તેમના રાજ્યાસન પર બેઠેલો છું.

૨૨આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.