Skip to content
Methodist Church Nadiad

2 કાળવૃતાંત ૯

100%

જયારે શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ વિષે સાંભળ્યું ત્યારે તે તેની કસોટી કરવા માટે અટકટા પ્રશ્નો લઈને યરુશાલેમ આવી. તે મોટા રસાલા સહિત પોતાની સાથે સુગંધીઓથી લાદેલાં ઊંટો, પુષ્કળ સોનું, મૂલ્યવાન રત્નો લઈને યરુશાલેમમાં આવી. જયારે તે સુલેમાન પાસે આવી, ત્યારે તેણે પોતાના અંત:કરણમાં જે કંઈ હતું તે સર્વ તેને કહ્યું.

સુલેમાને તેના સર્વ પ્રશ્નોના જવાબ તેને આપ્યાં; સુલેમાન માટે કંઈ જ અઘરું હતું નહિ; જેનો જવાબ તેણે આપ્યો ના હોય એવો કોઈ જ પ્રશ્ન ન હતો.

જયારે શેબાની રાણીએ સુલેમાનનું જ્ઞાન અને તેણે બાંધેલો મહેલ,

તેના મેજ પરની વાનગીઓ, તેના ચાકરોનું બેસવું, તેના ચાકરોનું કામ, તેઓના વસ્ત્રો, તેના પાત્રવાહકો અને તેઓના વસ્ત્રો અને ઈશ્વરના ઘરમાં જે રીતથી તે દહનીયાર્પણ કરતો હતો તે સર્વ જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ.

તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તારા વિષે તથા તારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું છે.

અહીં આવીને મેં મારી આંખોએ આ જોયું નહોતું ત્યાં સુધી હું તે માનતી નહોતી. તારા જ્ઞાન અને સંપત્તિ વિષે મને અડધું પણ કહેવામાં આવ્યું નહોતું! મેં જે સાંભળ્યું હતું તેના કરતાં તારું જ્ઞાન અતિ વિશાળ છે.

તારા લોકો કેટલા બધા આશીર્વાદિત છે અને સદા તારી આગળ ઊભા રહેનારા તારા ચાકરો પણ કેટલા આશીર્વાદિત છે કેમ કે તેઓ તારું જ્ઞાન સાંભળે છે!

ઈશ્વર તારા પ્રભુની સ્તુતિ થાઓ કે જેમણે તારા પર પ્રસન્ન થઈને તારા પ્રભુ ઈશ્વરને માટે રાજા થવા સારુ તને સિંહાસન પર બેસાડ્યો છે. તેઓ ઇઝરાયલને પ્રેમ કરતા હોવાથી તેને કાયમ માટે સ્થાપિત કર્યું છે. તેથી તેમણે તને રાજા બનાવ્યો કે જેથી તું તેઓનો ન્યાય કરે.”

રાણીએ એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ માત્રામાં સુગંધીઓ અને કિંમતી રત્નો આપ્યાં. જે ભારે માત્રામાં શેબાની રાણીએ રાજા સુલેમાનને અત્તરો આપ્યાં હતા તેવાં અત્તર ફરી કદી કોઈએ તેને આપ્યાં નહોતાં.

૧૦હીરામ રાજાના ચાકરો અને સુલેમાન રાજાના ચાકરો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડાં અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા.

૧૧તે ચંદનના લાકડામાંથી રાજાએ ઈશ્વરના સભાસ્થાનના અને તેના મહેલના પગથિયાં અને સંગીતકારો માટે સિતાર તથા વીણા બનાવ્યાં. યહૂદિયાના દેશમાં અગાઉ આવાં લાકડાં કદી પણ જોવામાં આવ્યાં નહોતાં.

૧૨રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન રાજાને માટે જે ભેટસોગાદ તે લઈ આવી હતી તેટલી જ કિંમતની સમી ભેટ સુલેમાને પણ તેને આપી. વળી તેણે તેની સર્વ ઇચ્છા તૃપ્ત કરી. તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ગઈ.

૧૩હવે દર વર્ષે સુલેમાન રાજાની પાસે છસો છાસઠ તાલંત સોનું આવતું હતું.

૧૪આ સોના ઉપરાંત વેપારીઓ પાસેથી કરવેરા તરીકે મળતું. અરબસ્તાનના સર્વ રાજાઓ તથા દેશના રાજ્યપાલ તરફથી સુલેમાન રાજાને જે સોનું અને ચાંદી મળતાં હતાં તે તો વધારાના હતાં.

૧૫રાજા સુલેમાને સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં છ હજાર શેકેલ સોનું વપરાયું હતું.

૧૬વળી તેણે ઘડેલા સોનાની ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલ દસ તોલાના સોનાની બનેલી હતી; રાજાએ તેઓને લબાનોનના વનગૃહના મહેલમાં મૂકી.

૧૭પછી સુલેમાન રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું, તેને ચોખ્ખા સોનાથી મઢ્યું.

૧૮સિંહાસનને છ પગથિયાં તથા સોનાનું એક પાયાસન હતું. તેઓ સિંહાસનની સાથે જડેલાં હતાં તથા બેઠકની જગ્યા પાસે બન્ને બાજુએ હાથા હતા અને હાથાઓની બન્ને બાજુએ બે ઊભેલા સિંહોની પ્રતિકૃતિ હતી.

૧૯છ પગથિયાં પર દરેક બાજુએ બાર સિંહ ઊભા હતા. બીજા કોઈપણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું ન હતું.

૨૦સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો અને લબાનોન વનગૃહનાં સર્વ પાત્રો શુદ્ધ સોનાનાં હતાં. સુલેમાનના દિવસોમાં ચાંદીની કશી વિસાત ગણાતી ન હતી.

૨૧રાજાનાં વહાણો હીરામના નાવિકોની સાથે તાર્શીશ જતાં. દર ત્રણ વર્ષે વહાણો એકવાર તાર્શીશથી સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતાં હતાં.

૨૨તેથી દ્રવ્ય તથા ડહાપણમાં પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતાં સુલેમાન સૌથી શ્રેષ્ઠ રાજા હતો.

૨૩સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા તેની પાસે આવતા.

૨૪દર વર્ષે તેઓ પોતપોતાની ભેટ, એટલે સોનાચાંદીનાં પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્યો, ઘોડાઓ અને ખચ્ચરો ખંડણી તરીકે લાવતા હતા.

૨૫સુલેમાનની પાસે ઘોડા અને રથોને માટે ચાર હજાર તબેલા હતા અને બાર હજાર ઘોડેસવારો હતા, તેણે તેઓને રથોનાં નગરોમાં તેમ જ યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા.

૨૬નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજાઓ ઉપર તેની હકૂમત વિસ્તરેલી હતી.

૨૭સુલેમાને યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તેનું મૂલ્ય જમીન પરના પથ્થરના જેવું થઈ પડ્યું. તેણે દેવદારનાં લાકડાંનું પ્રમાણ એટલું બધું વધારી દીધું કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર વૃક્ષના લાકડાને તોલે થઈ પડ્યું.

૨૮લોકો સુલેમાનને માટે મિસરમાંથી તથા બીજા સર્વ દેશોમાંથી ઘોડા લાવતા હતા.

૨૯સુલેમાનનાં અન્ય કૃત્યો તથા બીજી બાબતો વિષે પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રબોધકનાં ઇતિહાસમાં, શીલોની અહિયાના ભવિષ્યના પુસ્તકમાં અને નબાટના દીકરા યરોબામ સંબંધીના ઇદ્દો પ્રેરકને થયેલાં દર્શનનોના પુસ્તકમાં લખવામાં આવેલું છે.

૩૦સુલેમાને યરુશાલેમમાં સમગ્ર ઇઝરાયલ ઉપર ચાળીસ વર્ષ રાજ કર્યુ.

૩૧તે પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; તેના પછી તેનો દીકરો રહાબામ રાજા થયો.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.