2 શમુએલ ૨
૧ત્યાર પછી એમ થયું કે દાઉદે ઈશ્વરને પૂછ્યું, “શું હું યહૂદિયાના કોઈ એક નગરમાં જાઉં?” ઈશ્વરે તેને જવાબ આપ્યો, “ઉપર જા.” દાઉદે કહ્યું, “હું કયા શહેરમાં જાઉં?” ઈશ્વરે જવાબ આપ્યો, “હેબ્રોનમાં જા.”
૨તેથી દાઉદ પોતાની બે સ્ત્રીઓ, યિઝ્રએલી અહિનોઆમ અને નાબાલ કાર્મેલીની વિધવા અબિગાઈલ સાથે ત્યાં ગયો.
૩દાઉદ તેની સાથેના માણસોને પણ ત્યાં લાવ્યો, દરેક પોતપોતાનાં કુટુંબને લઈને હેબ્રોનના નગરોમાં આવ્યા. ત્યાં તેમણે વસવાટ શરુ કર્યો.
૪યહૂદિયાના માણસો ત્યાં આવ્યા, તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ દાઉદને કહ્યું કે, “યાબેશ ગિલ્યાદના માણસોએ શાઉલને દફ્નાવ્યો.”
૫તેથી દાઉદે યાબેશ ગિલ્યાદ દેશના માણસો પાસે સંદેશાવાહકો મોકલીને તેમને કહ્યું, “તમે ઈશ્વરથી આશીર્વાદિત છો, કેમ કે તમે તમારા માલિક શાઉલ પ્રત્યે વફાદારી દર્શાવીને તેને દફ્નાવ્યો.
૬હવે ઈશ્વર તમારા પર કરારની વફાદારી તથા વિશ્વાસુપણું બતાવો. વળી તમે આ કામ કર્યું છે માટે હું પણ તમારા પ્રત્યે ભલાઈ દર્શાવીશ.
૭હવે પછી, તમારા હાથ બળવાન થાઓ; તમે હિંમતવાન થાઓ કેમ કે તમારો માલિક શાઉલ મરણ પામ્યો છે; પણ યહૂદાના કુળે મને તેઓના પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.
૮પણ શાઉલના સૈન્યનો સેનાપતિ, નેરનો દીકરો આબ્નેર, શાઉલના દીકરા ઈશ-બોશેથને માહનાઇમમાં લઈ આવ્યો;
૯તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ, આશેર, યિઝ્રએલ, એફ્રાઇમ, બિન્યામીન તથા સર્વ ઇઝરાયલ પર રાજા બનાવ્યો.
૧૦જયારે શાઉલનો દીકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, તેણે બે વર્ષ રાજ કર્યું. પણ યહૂદાનું કુળ દાઉદને આધીન રહેતું હતું.
૧૧દાઉદે સાત વર્ષ અને છ મહિના સુધી હેબ્રોનમાં યહૂદાના કુળ પર રાજ કર્યું.
૧૨નેરનો દીકરો આબ્નેર તથા શાઉલના દીકરા ઈશ-બોશેથના ચાકરો, માહનાઇમથી નીકળીને ગિબ્યોનમાં ગયા.
૧૩સરુયા નો દીકરો યોઆબ અને દાઉદના ચાકરો બહાર નીકળી જઈને તેઓને ગિબ્યોનના નાળાં પાસે મળ્યા. તેઓનું એક ટોળું તળાવની એક કિનારે અને બીજુ ટોળું તળાવની બીજી કિનારે એમ ત્યાં તેઓ બેઠા.
૧૪આબ્નેરે યોઆબને કહ્યું કે, “કૃપા કરી જુવાન માણસોને અમારી સમક્ષ આવીને હરીફાઈ કરવા દે.” પછી યોઆબે કહ્યું, “તેઓને આવવા દો.”
૧૫પછી જુવાન માણસો ઊઠ્યા અને એકત્ર થયા, બિન્યામીન તથા શાઉલના દીકરા ઈશ-બોશેથમાંથી બાર જણ અને દાઉદના ચાકરોમાંથી બાર.
૧૬તેઓમાંના પ્રત્યેક માણસે પોતાના વિરોધીને માથાથી પકડીને તેની તલવારની અણી તેના વિરોધીને ભોંકી અને તેઓ બધા એકસાથે નીચે ઢળી પડ્યા. માટે તે જગ્યાનું નામ હિબ્રૂ ભાષામાં, “હેલ્કાથ-હાસ્સુરીમ ” અથવા “તલવારોનું ખેતર” એવું પડ્યું, જે ગિબ્યોનમાં છે.
૧૭તે દિવસે ઘણું તીવ્ર યુદ્ધ થયું અને આબ્નેર તથા ઇઝરાયલી માણસોનો દાઉદના ચાકરો આગળ પરાજય થયો હતો.
૧૮સરુયાના ત્રણ દીકરાઓ: યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ વન્ય હરણની માફક ઝડપથી દોડી શકતો હતો.
૧૯અસાહેલ કોઈપણ દિશામાં વળ્યા વિના સીધો આબ્નેરની પાછળ ગયો.
૨૦આબ્નેરે પાછળ જોઈને તેને કહ્યું, “શું તું અસાહેલ છે?” તેણે જવાબ આપ્યો કે, “હું તે છું.”
૨૧આબ્નેરે તેને કહ્યું, “તારી જમણી કે ડાબી બાજુ તરફ વળી જા. અને એક જુવાન માણસને પકડીને તેનાં શસ્ત્ર લઈ લે.” પણ અસાહેલ કોઈ બાજુએ વળ્યો નહિ.
૨૨તેથી આબ્નેરે ફરીથી અસાહેલને કહ્યું કે, “મારો પીછો કરવાનું બંધ કર. શા માટે તું મારે હાથે જમીનદોસ્ત થવા માંગે છે? તને મારીને હું કેવી રીતે મારું મોં તારા ભાઈ યોઆબને દેખાડું?”
૨૩પણ અસાહેલે તે બાજુ તરફ વળવાનો ઇનકાર કર્યો, તેથી આબ્નેરે ભાલાનો ધારદાર હાથો તેના શરીરમાં ઘુસાડી દીધો, તે ભાલાનો હાથો શરીરની આરપાર નીકળ્યો. અસાહેલ નીચે પડ્યો અને ત્યાં જ મરણ પામ્યો. જ્યાં અસાહેલ મરણ પામ્યો હતો ત્યાં તેના શબ પાસે જેઓ આવ્યા હતા તેઓ ત્યાં જ ઊભા રહ્યા.
૨૪પણ યોઆબ તથા અબિશાય આબ્નેરની પાછળ લાગ્યા. સૂર્યાસ્ત થવાના સમયે, તેઓ આમ્મા પર્વત, જે ગિબ્યોનના અરણ્યના માર્ગ પર ગીયાહ આગળ છે ત્યાં આવી પહોંચ્યા.
૨૫બિન્યામીનના માણસો પોતે આબ્નેરની પાછળ એકત્ર થયા અને તેઓ પર્વતના શિખર ઉપર ઊભા રહ્યા.
૨૬ત્યારે આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, શું તલવાર હંમેશા સંહાર કર્યા કરશે? શું તું જાણતો નથી કે તેનો અંત તો કડવો થશે? તારા જે માણસો તેઓના ભાઈઓની પાછળ પડ્યા છે તેઓને ત્યાંથી પાછા વળી જવાનું કહેવાને તું ક્યાં સુધી રાહ જોઈશ?”
૨૭યોઆબે જવાબ આપ્યો, “જીવતા ઈશ્વરના સમ, જો તેં કહ્યું ન હોત તો નિશ્ચે સવાર સુધી મારા સૈનિકો તેઓના ભાઈઓની પાછળ પડ્યા ન હોત.”
૨૮પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, તેના સર્વ માણસોએ ઇઝરાયલની પાછળ પડવાનું અટકાવી દીધું. અને તેઓએ લડાઈ કરવાનું બંધ કર્યું.
૨૯આબ્નેર અને તેના માણસોએ તે આખી રાત અરાબામાં પસાર થઈને મુસાફરી કરી. તેઓ યર્દન ઓળંગીને, બીજી સવારે માહનાઇમમાં પહોંચ્યા.
૩૦યોઆબે આબ્નેરની પાછળ પડવાનું અટકાવી દીધું. તે પાછો ફર્યો. તેણે સર્વ માણસોને એકત્ર કર્યા. તો તેઓમાંથી અસાહેલ અને દાઉદના સૈનિકોમાંથી ઓગણીસ માણસો ઓછા થયેલા હતા.
૩૧પણ દાઉદના માણસોએ આબ્નેર તથા બિન્યામીનના ત્રણ સો સાઠ માણસોને માર્યા.
૩૨પછી તેઓએ અસાહેલને ઊંચકી જઈને તેને બેથલેહેમમાં તેના પિતાની કબરમાં દફ્નાવ્યો. યોઆબ અને તેના માણસો આખી રાત ચાલ્યા અને સૂર્યોદય થતાં હેબ્રોનમાં પહોંચ્યા.
