Skip to content
Methodist Church Nadiad

આમોસ ૭

100%

પ્રભુ યહોવાહે મને આ બતાવ્યું છે. જુઓ, વનસ્પતિની પાછલી ફૂટની શરૂઆતમાં તેમણે તીડો બનાવ્યાં, અને જુઓ, તે રાજાની કાપણી પછીનો ચારો હતો.

એ તીડો દેશનું ઘાસ ખાઈ રહ્યાં ત્યારે મેં કહ્યું કે, “હે પ્રભુ યહોવાહ કૃપા કરીને અમને માફ કરો; યાકૂબ કેવી રીતે જીવતો રહી શકે ? કેમ કે તે નાનો છે.”

તેથી યહોવાહને આ વિષે પશ્ચાત્તાપ થયો. તેમણે કહ્યું, “હું તે થવા દઈશ નહિ.”

પ્રભુ યહોવાહે મને આ પ્રમાણે બતાવ્યું કે; જુઓ પ્રભુ યહોવાહે અગ્નિને ન્યાય કરવા માટે પોકાર્યો, તેમણે મહા ઊંડાણને ભસ્મ કર્યું અને ભૂમિને પણ ભસ્મીભૂત કરત.

પણ મેં કહ્યું, હે પ્રભુ યહોવાહ, કૃપા કરીને તેમ થવા દેશો નહિ; યાકૂબ કેમ કરીને જીવતો રહી શકે કેમ કે તે નાનો છે.”

યહોવાહને એ વિષે પશ્ચાત્તાપ થયો, પ્રભુ યહોવાહ કહે છે, “એ પણ થશે નહિ.”

પછી યહોવાહે મને આમ દર્શાવ્યું; જુઓ, પ્રભુ પોતે હાથમાં ઓળંબો પકડીને ઓળંબે ચણેલી ભીંત પાસે ઊભા રહ્યા.

યહોવાહે મને કહ્યું કે, “આમોસ, તને શું દેખાય છે?” મેં કહ્યું, “એક ઓળંબો.” પછી પ્રભુએ કહ્યું, “જુઓ, હું મારા ઇઝરાયલ લોકોમાં આ ઓળંબો મૂકીશ. હું ફરીથી તેમને માફ કરીશ નહિ.

ઇસહાકનાં ઉચ્ચસ્થાનો ઉજ્જડ થઈ જશે, અને ઇઝરાયલના પવિત્રસ્થાનો વેરાન થઈ જશે, અને હું તલવાર લઈને યરોબામના વંશની વિરુદ્ધ ઊઠીશ.”

૧૦પછી બેથેલના યાજક અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબામને કહાવી મોકલ્યું કે,’ આમોસે ઇઝરાયલી લોકોમાં તારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે. આ સર્વ વચનો કદાચ દેશના લોક સહન કરી શકશે નહિ.”

૧૧કેમ કે આમોસ કહે છે કે; “યરોબામ તલવારથી માર્યો જશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ચિત પોતાના દેશમાંથી ગુલામ કરીને લઈ જશે.’”

૧૨અમાસ્યાએ આમોસને કહ્યું કે, “હે દ્રષ્ટા, જા, યહૂદિયાના દેશમાં નાસી જા અને ત્યાં રોટલી ખાજે તથા ત્યાં પ્રબોધ કરજે.

૧૩પણ હવે પછી કદી બેથેલમાં ભવિષ્ય ભાખતો નહિ, કેમ કે એ તો રાજાનું પવિત્રસ્થાન છે અને એ રાજાનું ભક્તિસ્થાન છે.”

૧૪પછી આમોસે અમાસ્યાને કહ્યું, “હું પ્રબોધક નથી કે પ્રબોધકનો દીકરો પણ નથી, હું તો માત્ર ભરવાડ અને ગુલ્લર વૃક્ષની સંભાળ રાખનાર છું.

૧૫હું ઘેટાનાં ટોળાં સાચવતો હતો ત્યારે યહોવાહે મને બોલાવ્યો અને વળી મને કહ્યું, ‘જા, મારા ઇઝરાયલ લોકોને પ્રબોધ કર.’”

૧૬એટલે હવે તું યહોવાહનું વચન સાંભળ. તું કહે છે કે, ઇઝરાયલ વિરુદ્ધ પ્રબોધ કરીશ નહિ અને ઇસહાકના વંશજો વિરુદ્ધ એક પણ શબ્દ બોલીશ નહિ.’

૧૭માટે યહોવાહ આમ કહે છે કે; તારી પત્ની નગરની ગણિકા બનશે; અને તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તલવારથી માર્યા જશે; તારી ભૂમિ દોરીથી માપીને બીજાઓને વહેંચાશે; તું પોતે અપવિત્ર ભૂમિમાં મૃત્યુ પામશે, અને નિશ્ચે ઇઝરાયલ લોકોને પોતાના દેશમાંથી ગુલામ બનાવીને લઈ જવામાં આવશે.’”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.