પુનર્નિયમ ૧૩
૧તમારી મધ્યે કોઈ પ્રબોધક કે સ્વપ્નદ્રષ્ટા ઊભો થાય અને જો તે તમને ચિહ્ન કે ચમત્કાર બતાવે,
૨જો કદાચ તેણે તમને કહેલા ચિહ્ન કે ચમત્કાર થાય અને જો તમને તે કહે “ચાલો આપણે અન્ય દેવદેવીઓની પૂજા કરીએ જેને તમે જાણતા નથી અને ચાલો આપણે તેમની સેવા કરીએ,”
૩તોપણ તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નદ્રષ્ટાને સાંભળશો નહિ, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમારી કસોટી કરે છે કે, તમે તમારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહિ તે જણાય.
૪તમે તમારા ઈશ્વર યહોવાહ પાછળ ચાલો અને તેમનો ડર રાખો અને તેમની આજ્ઞાઓ પાળો, તેમનું કહ્યું કરો તથા તમે તેમની સેવા કરો. અને તેમને વળગી રહો.
૫અને તે પ્રબોધક તથા તે સ્વપ્નદ્રષ્ટાને મારી નાખવો; કેમ કે તે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને ગુલામીમાંથી મુક્ત કર્યા તેમની સામે બળવો કરવાનું કહે છે, એ માટે કે રખેને જે માર્ગમાં ચાલવાની યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમાંથી તે તમને ભમાવી દે. એ રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.
૬જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારી દીકરી અથવા તારી પ્રિય પત્ની તથા તારો પ્રિય મિત્ર તને લલચાવતાં એમ કહે કે “ચાલો જે અન્ય દેવદેવીઓને તમે જાણતા નથી, તેમ તમારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે પૂજા કરીએ.
૭તથા જે દેશજાતિઓ તમારી ચોતરફ, તમારી આસપાસમાં કે તમારાથી દૂર પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી છે તેઓનાં દેવદેવીઓની સેવા કરીએ.”
૮તો તમારે તેઓની વાત સાંભળવી કે માનવી નહિ, તમારી આંખ તેની પર દયા ન લાવે. તમારે તેને જવા દેવો નહિ અને છુપાવવો પણ નહિ.
૯પરંતુ તેને નક્કી મારી નાખવો, તેને મારી નાખવા માટે તમારો હાથ પહેલો તેના પર પડે ત્યાર બાદ બીજા લોકો પણ તેમ કરે.
૧૦તમારે તેને પથ્થર વડે મારી નાખવો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી એટલે ગુલામીમાંથી બહાર લાવ્યા, તેમની પાસેથી તમને દૂર લઈ જવાનો પ્રયત્ન તેણે કર્યો છે.
૧૧સર્વ ઇઝરાયલ તે સાંભળીને બીશે. અને પછી ફરીથી એવી કોઈ દુષ્ટતા તમારી મધ્યે થશે નહિ.
૧૨જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને રહેવા માટે આપે છે તેઓમાંથી એક પણ વિષે તમે એવી વાત સાંભળો કે,
૧૩કેટલાક બલિયાલપુત્રો તમારી મધ્યેથી નીકળી જઈને તેઓના નગરના લોકોને એમ કહીને ખેંચી લીધા છે કે ચાલો આપણે જઈને અન્ય દેવદેવીઓ કે જેઓને તમે જાણતા નથી તેમની સેવા કરીએ.”
૧૪તેથી તારે તેની પૂરેપૂરી તપાસ કરવી, શોધ કરીને ખંતથી પૂછપૂરછ કરવી. જો તે વાત સાચી અને નક્કી હોય કે એ અમંગળ કર્મ તમારી મધ્યે કરવામાં આવેલું છે.
૧૫તો તમારે નગરના બધા રહેવાસીઓનો, તેમાં જે બધા લોકો રહે છે તે સર્વનો તેઓના પશુઓના ટોળાં સાથે તલવારની ધારથી સંપૂર્ણપણે નિશ્ચે હુમલો કરીને નાશ કરવો.
૧૬તેમાંની સર્વ લૂંટ તે નગરના ચોકની વચમાં એકઠી કરીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ.
૧૭લૂંટમાંથી કશું જ તમારે તમારા હાથમાં રાખવું નહિ. તેથી યહોવાહ તમારા પર ગુસ્સો કરવાથી પાછા વળશે અને બદલામાં તેઓ તમારા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમારા પ્રત્યે કરુણા દર્શાવશે અને જેમ તમારા પિતૃઓને વચન આપેલું હતું તે પ્રમાણે તમને સંખ્યામાં વધારશે.
૧૮યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે તમે તેમની વાણી સંભાળીને પાળશો, યહોવાહ તમારા ઈશ્વરની દ્રષ્ટિમાં જે યોગ્ય છે તે કરશો ત્યારે ઈશ્વર તે પ્રમાણે કરશે.
