પુનર્નિયમ ૬
૧હવે જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો ઈશ્વર તમારા યહોવાહે તમને શીખવવા માટે મને કહ્યું છે એ સારુ કે જે દેશનું વતન પામવા માટે તમે યર્દન ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો. તે આ છે:
૨તેથી તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા જીવનભર યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખીને તેમના સર્વ નિયમો અને આજ્ઞાઓ જે હું તમને કહું છું તે પાળો; જેથી તમારું આયુષ્ય લાંબું થાય.
૩માટે હે ઇઝરાયલ સાંભળ અને કાળજીપૂર્વક એનું પાલન કર; એ માટે કે, જેમ યહોવાહ તારા પિતૃઓના ઈશ્વરે આપેલા વચન પ્રમાણે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં તારું ભલું થાય અને તમે ખૂબ વૃદ્ધિ પામો.
૪હે ઇઝરાયલ સાંભળ: યહોવાહ આપણા ઈશ્વર તે એકલા જ યહોવાહ છે.
૫અને યહોવાહ તારા ઈશ્વર પર તું તારા પૂર્ણ મનથી તથા પૂર્ણ જીવથી તથા પૂર્ણ બળથી પ્રેમ રાખ.
૬આ વચનો જે હું તમને ફરમાવું છું તેને તારા અંત:કરણમાં રાખ.
૭અને ખંતથી તું તારા સંતાનોને તે શીખવ અને જયારે તું ઘરમાં બેઠો હોય કે રસ્તે ચાલતો હોય, જયારે તું સૂઈ જાય કે ઊઠે તેના વિષે વાત કર.
૮તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ અને તારી આંખોમાં તેમને કપાળભૂષણ તરીકે રાખ.
૯અને તું તેમને તારા ઘરની બારસાખ ઉપર તથા દરવાજા ઉપર તે લખ.
૧૦અને એમ થશે કે જયારે યહોવાહ તારા ઈશ્વરે જે દેશ તારા પિતૃઓની સમક્ષ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબની સમક્ષ સમ ખાધા હતા તે દેશમાં તમને લઈ જશે એટલે જે મોટાં અને ઉત્તમ નગરો તમે બાંધ્યાં નથી.
૧૧અને સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલાં ઘર જે તમે ભર્યાં નથી, ખોદી કાઢેલા કૂવા જે તમે ખોઘ્યા નથી તથા દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવૃક્ષો જે તમે વાવ્યાં નથી તેમાં લાવે અને તે તમે ખાઈને તૃપ્ત થાઓ.
૧૨ત્યારે સાવધાન રહેજો, રખેને મિસર એટલે કે ગુલામીના ઘરમાંથી તમને કાઢી લાવનાર યહોવાહ તમારા ઈશ્વરને તમે ભૂલી જાઓ.
૧૩યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો; અને તેમની જ સેવા કરો અને તેમના જ નામના સમ ખાઓ.
૧૪તમારી આસપાસના અન્ય દેવદેવીઓની સેવા તમારે કરવી નહિ.
૧૫કારણ કે, તમારી મધ્યે રહેનાર યહોવાહ તમારા ઈશ્વર ઈર્ષ્યાળુ ઈશ્વર છે. રખેને યહોવાહ તમારા ઈશ્વરનો કોપ તમારા પર સળગી ઊઠે અને પૃથ્વીના પટ પરથી તમારો સંહાર કરે.
૧૬જેમ તમે માસ્સામાં તેમની કસોટી કરી, તેમ યહોવાહ તમારા ઈશ્વરની કસોટી કરશો નહિ.
૧૭તમારા ઈશ્વર યહોવાહના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓ જે તેમણે ફરમાવ્યાં છે તેનું ખંતથી પાલન કરો.
૧૮અને યહોવાહની નજરમાં જે યોગ્ય અને સારું છે તે તું કર, એ માટે કે તારું ભલું થાય. અને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને આપવાના યહોવાહે સમ ખાધા છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે અને
૧૯જેમ યહોવાહે કહ્યું તેમ તે તારી આગળથી તારા બધા દુશ્મનોને નસાડી મૂકે.
૨૦ભવિષ્યકાળમાં જયારે તારો દીકરો તને પૂછે કે; “યહોવાહ આપણા ઈશ્વરે તમને જે કરારો, નિયમો અને કાનૂનો ફરમાવ્યા છે તેનો અર્થ શો છે?”
૨૧ત્યારે તું તારા દીકરાને કહેજે કે, “અમે મિસરમાં ફારુનના ગુલામ હતા; ત્યારે યહોવાહ તેમના મહાન પરાક્રમી હાથ વડે અમને મિસરમાંથી બહાર લાવ્યા,
૨૨અને તેમણે અમારા દેખતાં મિસર પર, ફારુન પર તથા તેના આખા ઘર પર મોટાં અને દુઃખ ભર્યાં ચિહ્નો તથા ચમત્કારો બતાવ્યા;
૨૩તેઓ અમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા, કે જેથી આપણા પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે આપવા માટે તેઓ આપણને તેમાં લઈ જઈ શકે.
૨૪આપણા ભલાને માટે હંમેશા આ બધા નિયમો પાળવાની તથા ઈશ્વરનો ભય રાખવાની તેમણે આપણને આજ્ઞા આપી કે, જેથી તેઓ આપણને જીવતા રાખે, જેમ આજે જીવતા છીએ તેમ.
૨૫યહોવાહ આપણા ઈશ્વરે આપણને જે આજ્ઞાઓ આપી છે, તે પ્રમાણે જો આપણે બધી આજ્ઞાઓ કાળજીથી પાળીએ તો તે આપણા હિતમાં ન્યાયીપણાને અર્થે ગણાશે.”
