સભાશિક્ષક ૧૨
૧તારી યુવાવસ્થાના દિવસોમાં તું તારા સર્જનહારનું સ્મરણ કર. ખરાબ દિવસો આવ્યા પહેલાં, એટલે જે વર્ષો વિષે તું એમ કહેશે કે “તેમાં મને કંઈ આનંદ નથી” તે પાસે આવ્યા પહેલાં તેમનું સ્મરણ કર,
૨પછી ચંદ્ર, સૂર્ય અને તારાઓ અંધકારમાં જતા રહેશે, અને વરસાદ પછી વાદળાં પાછાં ફરશે.
૩તે દિવસે તો ઘરના રખેવાળો ધ્રૂજશે, અને બળવાન માણસો વાંકા વળી જશે, દળનારી સ્ત્રીઓ થોડી હોવાથી તેમની ખોટ પડશે, અને બારીઓમાંથી બહાર જોનારની દ્રષ્ટિ ઝાંખી થઈ જશે.
૪તે સમયે રસ્તા તરફનાં બારણા બંધ કરી દેવામાં આવશે, અને ત્યારે દળવાનો અવાજ ધીમો થશે . માણસ પક્ષીના અવાજથી જાગી ઊઠશે, અને સર્વ ગાનારી સ્ત્રીઓનું માન ઉતારાશે.
૫તે સમયે તેઓ ઊંચાણથી બીશે, બીક લાગશે. તેઓને રસ્તા પર ચાલતાં ડર લાગશે, બદામના ઝાડ પર ફૂલો ખીલશે, તીડ બોજારૂપ થઈ પડશે, અને ઇચ્છાઓ મરી પરવારશે. કેમ કે માણસ પોતાના અનંતકાલિક ઘરે જાય છે. અને વિલાપ કરનારાઓ શેરીઓમાં ફરે છે.
૬તે દિવસે રૂપેરી દોરી તૂટી જશે, સોનેરી પ્યાલો ભાંગી જશે, ગાગર ઝરા આગળ ફૂટી જશે, અને ચાકડો ટાંકી આગળ ભાંગી જશે. તે અગાઉ તું તારા સર્જનહારનું સ્મરણ કર.
૭જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપેલો હશે તે તેમની પાસે પાછો જશે.
૮તેથી સભાશિક્ષક કહે છે કે, “વ્યર્થતાની વ્યર્થતા” “સઘળું વ્યર્થ છે.”
૯વળી સભાશિક્ષક સમજુ હતો તેથી તે લોકોને જ્ઞાન શીખવતો હતો. હા, તે વિચાર કરીને ઘણાં નીતિવચનો શોધી કાઢતો અને તેમને નિયમસર ગોઠવતો.
૧૦સભાશિક્ષક દિલચસ્પ વચનો તથા પ્રામાણિક લખાણો એટલે સત્યનાં વચનો શોધી કાઢવાનો પ્રયત્ન કરતો.
૧૧જ્ઞાની માણસનાં વચનો આર જેવાં છે અને સભાશિક્ષકોનાં વચનો કે જે એક પાળક દ્વારા આપવામાં આવેલાં છે, તે સજ્જડ જડેલા ખીલાના જવાં છે.
૧૨પણ મારા દીકરા, મારી શિખામણ માન; ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી, તેમ જ અતિ અભ્યાસ કરવાથી શરીર થાકી જાય છે.
૧૩વાતનું પરિણામ, આપણે સાંભળીએ તે આ છે; ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે.
૧૪કેમ કે દરેક ભલી કે ભૂંડી, પ્રત્યેક ગુપ્ત બાબત સહિતનાં કામોનો, ન્યાય ઈશ્વર કરશે.
