નિર્ગમન ૪૦
૧પછી યહોવાહે મૂસાને કહ્યું,
૨“પ્રથમ માસના પ્રથમ દિવસે તું મુલાકાતમંડપ ઊભો કરજે.
૩તેની અંદર દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે કરારકોશ મંડપમાં મૂકજે; અને કરારકોશને પડદાથી ઢાંકી દેજે.
૪મેજને અંદર લાવીને તેના પર પાત્રો ગોઠવજે અને દીવી લાવીને તેના પર દીવાઓ સળગાવજે.
૫તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂકજે અને મંડપના દ્વારને પડદો લગાડજે.
૬તું દહનીયાર્પણની વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.
૭તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂકજે અને તેમાં પાણી ભરજે.
૮તું મુલાકાતમંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરીને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે.
૯તું અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરીને તેની તથા તેમાંના બધાં સાધનોની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે.
૧૦તું દહનીયાર્પણની વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરીને તેમને શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે.
૧૧તું હોજનો અને તેના તળિયાંનો અભિષેક કરીને તેને પવિત્ર કરજે.
૧૨તું હારુનને તથા તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેઓને પાણીથી સ્નાન કરાવજે.
૧૩તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવીને તેનો અભિષેક કરજે અને યાજક તરીકે મારી સેવા કરવા માટે તેને પવિત્ર કરજે.
૧૪તું તેના પુત્રોને લાવીને અંગરખાં પહેરાવજે.
૧૫જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો હતો તેમ તેઓનો અભિષેક કર. તેઓનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માટે યાજકો બનશે.”
૧૬યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યું.
૧૭બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો.
૧૮મૂસાએ કૂંભીઓ ગોઠવી, પાટિયાં બેસાડ્યાં, વળીઓ જડી દીધી, ભૂંગળો નાખી તથા તેના સ્તંભો રોપ્યા.
૧૯યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું.
૨૦તેણે સાક્ષ્યલેખ લઈને કરારકોશમાં મૂક્યો અને કોશ પર દાંડા ગોઠવ્યા અને કોશ પર દયાસન મૂક્યું.
૨૧કરારકોશને મૂસાએ પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાહની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો.
૨૨મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂક્યું.
૨૩તેના ઉપર મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર યહોવાહને અર્પેલી રોટલી મૂકી.
૨૪મુલાકાતમંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેણે દીવી મૂકી.
૨૫યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ તેના ઉપર યહોવાહ સમક્ષ દીવા સળગાવ્યાં.
૨૬મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી.
૨૭મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો.
૨૮પવિત્રમંડપના પ્રવેશદ્વારે તેણે પડદો લટકાવ્યો.
૨૯મૂસાએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માટે દહનીયાર્પણની વેદી ગોઠવી અને તેના ઉપર બળેલાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ અર્પણ કરવા આ બધું તેણે યહોવાહની આજ્ઞા મુજબ કર્યું.
૩૦તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે હોજ ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માટે પાણી રેડ્યું.
૩૧મૂસા, હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા માટે ત્યાં હાથ પગ ધોતા.
૩૨જયારે તેઓ મુલાકાતમંડપમાં જતા અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા, ત્યારે તેઓ સ્નાન કરતા, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
૩૩મૂસાએ પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભુ કર્યું. તેણે આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.
૩૪પછી મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાહનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું.
૩૫મૂસા મુલાકાતમંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે વાદળ તેના પર સ્થિર થયું હતું અને યહોવાહનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.
૩૬જયારે મેઘને મંડપ ઉપરથી ઊઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલીઓ પોતાની મુસાફરીમાં આગળ આવતા.
૩૭પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ પામતા નહિ.
૩૮યહોવાહ દિવસ દરમિયાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇઝરાયલી લોકો સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.
