હઝકિયેલ ૧૧
૧પછી આત્મા મને ઊંચકીને યહોવાહના સભાસ્થાનના પૂર્વ દરવાજે લઈ ગયો, પૂર્વ તરફ, જુઓ, આ દરવાજાના બારણા આગળ પચ્ચીસ માણસો હતાં. મેં તેઓની મધ્યે લોકોના સરદાર આઝઝુરના દીકરા યાઝનિયાને તથા બનાયાના દીકરા પલાટયાને જોયા.
૨ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, દુષ્ટ કર્મો કરવાની યોજના ઘડનાર તથા આખા નગરમાં દુષ્ટ સલાહ આપનાર માણસો પણ આ જ છે.
૩તેઓ કહે છે કે, ‘હમણાં ઘરો બાંધવાનો સમય નથી, આ નગર કઢાઈ છે, આપણે માંસ છીએ.’
૪માટે, તેઓની વિરુદ્ધ ભવિષ્યવાણી કર, હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કર!”
૫ત્યારે યહોવાહનો આત્મા મારા પર આવ્યો અને તેમણે મને કહ્યું; “બોલ, યહોવાહ આમ કહે છે; હે ઇઝરાયલી લોકો, તમે આ પ્રમાણે કહો છો, તમારા મનમાં જે વિચારો આવે છે તે હું જાણું છું.
૬તમે આ નગરમાં મારી નંખાયેલા લોકોની સંખ્યા વધારી છે, તેની શેરીઓ મૃતદેહોથી ભરી દીધી છે.
૭તેથી, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, મારી નંખાયેલા લોકોને યરુશાલેમની મધ્યે નાખ્યા છે, તેઓ માંસ છે, આ નગર કઢાઈ છે. પણ તમને આ નગરમાંથી બહાર લાવવામાં આવશે.
૮તમે તલવારથી ભય રાખતા હતા, તેથી પ્રભુ યહોવાહ કહે છે, હું તમારા ઉપર તલવાર લાવીશ”
૯“હું તમને નગરમાંથી બહાર કાઢી લાવીને તમને પરદેશીઓના હાથમાં સોંપી દઈશ, કેમ કે હું તમારી વિરુદ્ધ ન્યાય લાવીશ.
૧૦તમે તલવારથી પડશો. ઇઝરાયલની સરહદથી તમારો ન્યાય કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!
૧૧આ નગર તમારી કઢાઈરૂપ થશે નહિ અને તમે તેની અંદર માંસરૂપ થશો નહિ. ઇઝરાયલની સરહદમાં હું તમારો ન્યાય કરીશ.
૧૨ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું, જેના વિધિઓ પ્રમાણે તમે ચાલ્યા નથી અને જેના હુકમોનું તમે પાલન કર્યું નથી. પણ તેને બદલે તમે તમારી આસપાસ રહેતી પ્રજાઓના હુકમોનુ પાલન કર્યું છે.
૧૩હું ભવિષ્યવાણી કરતો હતો ત્યારે એવું બન્યું કે બનાયાનો દીકરો પલાટયા મરી ગયો. હું ઊંધો પડ્યો અને મેં મોટે અવાજે પોકારીને કહ્યું કે, “અરેરે, પ્રભુ યહોવાહ, શું તમે ઇઝરાયલના બાકી રહેલાઓનો પૂરેપૂરો નાશ કરશો?”
૧૪યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૧૫“હે મનુષ્યપુત્ર, તારા ભાઈઓને એટલે તારા ભાઈઓને, તારા કુળના માણસોને તથા સર્વ ઇઝરાયલી લોકોને યરુશાલેમના રહેવાસીઓએ કહ્યું છે કે, તેઓને યહોવાહથી દૂર કાઢવામાં આવ્યા છે; આ દેશ તો અમને અમારી મિલકત તરીકે સોંપવામાં આવ્યો છે.’”
૧૬તેથી કહે કે, પ્રભુ યહોવાહ કહે છે: ‘જો કે મેં તેઓને દૂરની પ્રજાઓમાં કાઢી મૂક્યા છે, જો કે મેં તેઓને દેશો મધ્યે વિખેરી નાખ્યા છે, તોપણ જે જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું થોડા સમય સુધી તેઓને માટે પવિત્રસ્થાનરૂપ થઈશ.
૧૭તે માટે, પ્રભુ યહોવાહ કહે છે કે, ‘હું લોકોમાંથી તમને ભેગા કરીશ, જે જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી હું તમને એકત્ર કરીશ, હું તમને ઇઝરાયલનો દેશ આપીશ.’
૧૮તેઓ ત્યાં આવીને સર્વ ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તેમાંથી દૂર કરશે.
૧૯હું તેઓને એક હૃદય આપીશ, જયારે તેઓ મારી પાસે આવશે ત્યારે હું તેઓમાં નવો આત્મા મૂકીશ, હું તેઓના દેહમાંથી પથ્થરનું હૃદય લઈને, તેઓને માંસનું હૃદય આપીશ,
૨૦જેથી તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલે, તેઓ મારા નિયમોનું પાલન કરે અને તેનો અમલ કરે. ત્યારે તેઓ મારા લોક થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.
૨૧પણ જેઓ પોતાની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ ચાલે છે, તેઓની કરણીઓનો બદલો હું તેઓને માથે લાવીશ. આ પ્રભુ યહોવાહનું વચન છે.”
૨૨ત્યારે કરુબોએ પોતાની પાંખો પ્રસારી અને પૈડાં પણ તેઓની સાથે હતાં. ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ ઊંચે તેઓના પર હતું.
૨૩યહોવાહનું ગૌરવ નગરમાંથી ઉપડીને પૂર્વ બાજુએ આવેલા પર્વત પર ઊભું રહ્યું.
૨૪અને ઈશ્વરનો આત્મા મને ઊંચકીને સંદર્શનમાં ખાલદીઓના દેશમાં બંદીવાનોની પાસે લાવ્યો. અને જે સંદર્શન મેં જોયું હતું તે મારી પાસેથી જતું રહ્યું.
૨૫પછી જે બાબતો યહોવાહે મને બતાવી હતી તે મેં બંદીવાનોને કહી સંભળાવી.
