હઝકિયેલ ૧૨
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“હે મનુષ્યપુત્ર, તું બંડખોર લોકો મધ્યે રહે છે. જોવાને માટે તેઓને આંખો હોવા છતાં પણ તેઓ દેખતા નથી અને કાન હોવા છતાં પણ સાંભળતા નથી, કેમ કે તેઓ બંડખોર લોકો છે.
૩તેથી, હે મનુષ્યપુત્ર, તું દેશવટે જવાને માટે સામાન તૈયાર કર, તેઓના દેખતાં દિવસે ચાલી નીકળ, કેમ કે તેઓના દેખતાં તું તારી જગ્યાએથી બીજે જગ્યાએ જા. જોકે તેઓ બંડખોર લોક છે પણ કદાચ તેઓ જુએ.
૪તું દિવસે તેઓના દેખતાં તારી મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ. લોકો બંદીવાનની જેમ બહાર આવે તેમ સાંજે તેઓના દેખતાં ચાલી નીકળ.
૫તેઓના દેખતા દીવાલમાં કાણું પાડ, તેમાંથી બહાર નીકળ.
૬તેઓના દેખતાં તું તારો સામાન ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જા. તારે તારું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલી લોકોમાં ચિહ્ન તરીકે ઠરાવ્યો છે.
૭તેથી મને જેમ આજ્ઞા આપવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું. મેં દેશવટે લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢયો, સાંજે મેં મારા હાથથી દીવાલમાં કાણું પાડ્યું. મેં મારો સામાન અંધારામાંથી બહાર કાઢ્યો. તેઓના દેખતાં તેને મારા ખભા પર મૂક્યો.
૮સવારમાં યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૯“હે મનુષ્યપુત્ર, આ ઇઝરાયલી લોકો, એટલે બંડખોર લોકોએ, તને પૂછ્યું નથી કે, ‘તું શું કરે છે?’
૧૦તું તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે કે: આ ભવિષ્યવાણી યરુશાલેમના સરદારને તથા તેમાં વસતા બધા ઇઝરાયલી લોકો માટે છે.’”
૧૧તું તેઓને કહે કે, ‘હું તમારે માટે ચિહ્નરૂપ છું. મેં જે કર્યું છે, તેમ જ કરવામાં આવશે, તેઓ પરદેશમાં તથા બંદીવાસમાં જશે.
૧૨તમારી મધ્યે જે સરદાર છે તે અંધારામાં પોતાના ખભા પર પોતાનો સામાન ઊંચકીને દીવાલમાંથી બહાર જશે. તેઓ દીવાલમાં કાણું પાડશે અને પોતાનો સામાન બહાર લાવશે. તે પોતાનું મુખ ઢાંકી દેશે જેથી તે પોતાની આંખોથી દેશ જોઈ શકે નહિ.
૧૩હું તેના પર મારી જાળ ફેલાવીશ અને તે મારી જાળમાં પકડાઈ જશે; ત્યારે હું તેને ખાલદીઓના દેશમાં બાબિલમાં લાવીશ, પણ તે તે જોશે નહિ. તે ત્યાં મૃત્યુ પામશે.
૧૪તેની આસપાસના સર્વ મદદગારોને અને તેના આખા સૈન્યને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, હું તેમની પાછળ તલવાર મોકલીશ.
૧૫હું તેઓને જ્યારે પ્રજાઓમાં તથા દેશોમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
૧૬પણ હું તેઓમાંના કેટલાક માણસને તલવાર, દુકાળ તથા મરકીના ઉપદ્રવથી જીવતા રહેવા દઈશ, જેથી તેઓ જે પ્રજાઓમાં હું તેઓને લઈ જઈશ ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.”
૧૭યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૧૮“હે મનુષ્યપુત્ર, ધ્રુજારીસહિત તારી રોટલી ખા. અને કંપારી તથા ચિંતાસહિત તારું પાણી પી.
૧૯દેશના લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ યરુશાલેમના રહેવાસીઓ તથા ઇઝરાયલના દેશ વિષે આમ કહે છે: તેઓ ધ્રુજારીસહિત પોતાની રોટલી ખાશે અને ચિંતાતુર થઈને પાણી પીશે, તેના દેશના સર્વ રહેવાસીઓની હિંસાને કારણે તેના દેશમાં જે બધું હશે તેનો નાશ થશે.
૨૦વસતિવાળાં નગરો વેરાન કરવામાં આવશે, દેશ ઉજ્જડ થઈ જશે; ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.’”
૨૧ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨૨“હે મનુષ્યપુત્ર, ‘દિવસોને વિલંબ લાગે છે અને દરેક સંદર્શન નિષ્ફળ થાય છે’ એવી કહેવત ઇઝરાયલ દેશમાં વધારે ચાલે છે તે શું છે?
૨૩માટે, તું તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: ‘હું આ કહેવતનો અંત લાવીશ, જેથી ઇઝરાયલી લોકો તેનો ફરીથી ઉપયોગ કરે નહિ.’ તેઓને કહે કે, “સમય નજીક આવ્યો છે અને દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.”
૨૪કેમ કે હવે પછી ઇઝરાયલ લોકોમાં જૂઠાં સંદર્શન તથા ખુશકારક શકુન જોવામાં આવશે નહિ.
૨૫કેમ કે હું, યહોવાહ છું, હું બોલીશ, હું જે વચન બોલીશ તે ફળીભૂત થશે. તેનો વિલંબ કરવામાં આવશે નહિ. હે બંડખોર લોકો, હું તમારા દિવસોમાં આ વચનો બોલીશ, તેને હું ફળીભૂત કરીશ. આ પ્રભુ યહોવાહનાં વચનો છે.
૨૬ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું:
૨૭“હે મનુષ્યપુત્ર, જો! ઇઝરાયલી લોકો કહે છે કે, તને જે સંદર્શન થયું છે તે તો હમણાંથી ઘણા દિવસો પછીના વખતનું છે, તે ઘણા દૂરના સમયો વિષે ભવિષ્ય કહે છે.
૨૮તેથી તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: મારાં વચનો પૂરાં કરવામાં વિલંબ થશે નહિ, પણ દરેક વચન જે હું બોલ્યો છું તે ફળીભૂત થશે.’ આ પ્રભુ યહોવાહનું વચન છે.
