Skip to content
Methodist Church Nadiad

હઝકિયેલ ૧૩

100%

ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલમાં ભવિષ્યવાણી કરનાર પ્રબોધકો વિરુદ્ધ પ્રબોધ કરીને કહે, જેઓ પોતાના મનમાં કલ્પીને પ્રબોધ કરે છે તેઓને કહે, યહોવાહનું વચન સાંભળો.

પ્રભુ યહોવાહ કહે છે: જે મૂર્ખ પ્રબોધકો પોતાના મનમાં આવે છે તેમ પ્રબોધ કરે છે, પણ તેઓ કંઈ જોતા નથી તેઓને અફસોસ!

હે ઇઝરાયલ, તારા પ્રબોધકો ખંડેર જગ્યામાં વસતા શિયાળ જેવા છે.

યહોવાહને દિવસે યુદ્ધમાં સામનો કરવા સારુ તમે દીવાલમાં પડેલા કાણા આગળ ચઢી નથી ગયા. ઇઝરાયલી લોકને સારુ વાડ નથી કરી.

જેઓને યહોવાહે મોકલ્યા નથી તેમ છતાં તેઓ કહે છે કે ‘યહોવાહ આમ કહે છે તેવા લોકોને વ્યર્થતાનું તથા જૂઠા શકુનનું સંદર્શન થયું છે. તેઓએ લોકોમાં એવી આશા ઉત્પન્ન કરી છે કે તેઓનો સંદેશો ફળીભૂત થશે.

હું બોલ્યો નથી તોપણ તમે કહો છો કે, “યહોવાહ આમ કહે છે” તો શું તમને વ્યર્થ સંદર્શન થયું નથી તથા તમે જૂઠા શકુન જોયા નથી?

માટે પ્રભુ યહોવાહ કહે છે, કેમ કે તમને જૂઠાં સંદર્શન થયા છે તથા તમે જૂઠી વાતો બોલ્યા છો, આ તમારી વિરુદ્ધ પ્રભુ યહોવાહનું વચન છે.

“જે પ્રબોધકો જૂઠાં સંદર્શન જુએ છે તથા જૂઠા શકુન જુએ છે તે પ્રબોધકો વિરુદ્ધ મારો હાથ રહેશે. તેઓ મારા લોકોની સભામાં રહેશે નહિ, ઇઝરાયલ લોકોના અહેવાલમાં નોંધવામાં નહિ આવે, તેઓ ઇઝરાયલના દેશમાં જશે નહિ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું.

૧૦જોકે શાંતિ નથી તોપણ તેઓએ શાંતિ છે એમ કહીને મારા લોકોને ભમાવ્યા છે, તેઓ દીવાલ બાંધે છે કે તેઓ ચૂનાથી તેને ધોળે.’

૧૧ચૂનો ધોળનારાઓને કહે કે; ‘તે દીવાલ પડી જશે; ત્યાં મુશળધાર વરસાદ વરસશે; મોટા કરા વરસશે અને તોફાની વાવાઝોડું તેને પાડી નાખશે.

૧૨જો, દીવાલ પડી જશે. શું તમને બીજા લોકો પૂછશે નહિ કે, “તમે ધોળ્યો તે ચૂનો ક્યાં છે?”

૧૩એ માટે પ્રભુ યહોવાહ કહે છે: ‘હું મારા ક્રોધમાં તોફાની પવન લાવીશ, મારા ક્રોધમાં મુશળધાર વરસાદ થશે અને કરા તેઓનો સંપૂર્ણ નાશ કરશે.

૧૪જે દીવાલને તમે ધોળો છો તેને હું તોડી પાડીશ, હું તેને જમીનદોસ્ત કરી નાખીશ અને તેના પાયા ખુલ્લા થઈ જશે. તે પડી જશે અને તમે બધા તેની નીચે કચડાઈને મરી જશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.

૧૫દીવાલ તથા તે પર ચૂનો કરનારાઓનો હું મારા ક્રોધમાં નાશ કરીશ. હું તમને કહીશ કે, “દીવાલ તથા તેના પર ધોળનારાઓને પણ ટકશે નહિ.

૧૬ઇઝરાયલના જે પ્રબોધકો યરુશાલેમ વિષે પ્રબોધ કરે છે અને શાંતિ ન હોવા છતાં શાંતિના સંદર્શન જુએ છે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.

૧૭હે મનુષ્યપુત્ર, તારા લોકની જે દીકરીઓ મન કલ્પિત પ્રબોધ કરે છે તેઓની વિરુદ્ધ તારું મુખ રાખ, તેઓની વિરુદ્ધ પ્રબોધ કર.

૧૮તેઓને કહે કે ‘પ્રભુ યહોવાહ કહે છે: જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર તાવીજ બાંધે છે, લોકોને ફસાવવા માટે દરેક કદના બુરખા બનાવે છે, તેઓને અફસોસ, શું તમે મારા લોકોના જીવનો શિકાર કરશો, તમારા પોતાના જીવ બચાવી રાખશો?

૧૯મારા લોકો જે તમારી જૂઠી વાતો સાંભળે છે તેઓની આગળ જૂઠું બોલીને, જે લોકોને મરવું ન હતું તેઓને તમે મારી નાખીને, જે લોકોને જીવવું નહોતું તેઓના જીવ બચાવી રાખવાને તમે મુઠ્ઠીભર જવ તથા ટુકડો રોટલી લઈને મને મારા લોકોમાં અપવિત્ર કર્યો છે.

૨૦તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: તમે તમારા દોરાધાગાથી લોકોના જીવોનો પક્ષીઓની માફક શિકાર કરો છો તેઓની વિરુદ્ધ હું છું. હું તેઓને તમારા હાથ પરથી ફાડી નાખીશ, જે લોકોને તમે પક્ષીઓની માફક શિકાર કરો છો તેઓને હું છોડી મૂકીશ.

૨૧તમારા બુરખાઓને હું ફાડી નાખીશ અને મારા લોકોને તમારામાંથી છોડાવીશ, હવે પછી તેઓ તમારા હાથમાં ફસાશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.

૨૨કેમ કે જે ન્યાયી માણસોને મેં દિલગીર કર્યા નથી તેઓનાં હૃદય તમે જૂઠાણાથી નિરાશ કર્યાં છે. દુષ્ટ માણસો પોતાનાં દુષ્ટ આચરણોથી પાછા ન ફરે અને પોતાના જીવન ન બચાવે, તે માટે તમે તેમના હાથ બળવાન કર્યા છે.

૨૩તેથી હવે પછી તમને વ્યર્થ સંદર્શન થશે નહિ અને તમે શકુન જોશો નહિ, હું મારા લોકોને તમારા હાથમાંથી છોડાવીશ. અને ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.’”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.