હોશિયા ૧
૧યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસન દરમ્યાન બેરીના દીકરા હોશિયાની પાસે યહોવાહનું વચન આવ્યું તે આ છે.
૨જ્યારે યહોવાહ પ્રથમ વખત હોશિયા મારફતે બોલ્યા, ત્યારે તેમણે તેને કહ્યું, “જા, ગણિકા સાથે લગ્ન કર. તેને બાળકો થશે અને તેને પોતાનાં કરી લે. કેમ કે મને તજીને દેશ વ્યભિચારનું મોટું પાપ કરે છે.”
૩તેથી હોશિયાએ જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે લગ્ન કર્યાં. તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
૪યહોવાહે હોશિયાને કહ્યું, “તેનું નામ યિઝ્રએલ રાખ. કેમ કે થોડા જ સમયમાં યિઝ્રએલના લોહીના બદલા માટે હું યેહૂના કુટુંબનો નાશ કરીશ, હું ઇઝરાયલના રાજ્યનો અંત લાવીશ.
૫તે દિવસે એવું થશે કે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ.”
૬ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું, તેનું નામ લો-રૂહામા પાડ, કેમ કે હવે પછી હું કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ તેઓને કદી માફ કરીશ નહિ.
૭પરંતુ હું યહૂદિયાના લોકો પર દયા કરીશ, યહોવાહ તેમનો ઈશ્વર થઈને હું તેઓનો ઉદ્ધાર કરીશ. ધનુષ્ય, તલવાર, યુદ્ધ, ઘોડા કે ઘોડેસવારોથી હું તેઓનો ઉદ્ધાર નહિ કરું.
૮લો-રૂહામાને સ્તનપાન છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
૯ત્યારે યહોવાહે કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ, કેમ કે તમે મારા લોકો નથી, હું તમારો ઈશ્વર નથી.”
૧૦તોપણ ઇઝરાયલ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાશે કે ન ગણી શકાશે. તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે, “તમે મારા લોકો નથી,” તેને બદલે એવું કહેવામાં આવશે કે, “તમે જીવંત ઈશ્વરના લોકો છો.”
૧૧યહૂદિયાના લોકો તથા ઇઝરાયલના લોકો એકત્ર થશે . તેઓ પોતાના માટે એક આગેવાન નીમીને, દેશમાંથી ચાલી નીકળશે, કેમ કે યિઝ્રએલનો દિવસ મોટો થશે.
