અયૂબ ૧૪
૧સ્ત્રીજન્ય મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, અને તે સંકટથી ભરપૂર છે.
૨તે ફૂલની જેમ ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે; વળી તે છાયાની જેમ જતું રહે છે અને સ્થિર રહેતું નથી.
૩શું એવા પર તમે લક્ષ આપો છો? શું મને તમારો પ્રતિવાદી બનાવો છો?
૪જો અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું? પણ એવું બનવું અશક્ય છે.
૫તેના આયુષ્યની મર્યાદા નક્કી કરેલી છે, તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે. તમે તેની હદ નક્કી કરી છે તેને તે ઓળંગી શકે નહિ.
૬તમારી નજર તેમની ઉપરથી ઉઠાવી લો, જેથી તેને નિરાંત રહે. જેથી મજૂરની જેમ તે પોતાનો દિવસ પૂરો ભરે ત્યારે તે આનંદ કરે.
૭ઝાડને માટે પણ આશા છે; જો કે તે કપાઈ ગયું હોય, પણ તે પાછું ફૂટી શકે છે, અને તેની કુમળી ડાળીઓનો અંત આવશે નહિ.
૮જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય, અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય.
૯છતાંપણ તેને પાણી મળવાથી તે ખીલશે, અને રોપાની જેમ તેને ડાળીઓ ફૂટશે.
૧૦પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તે ક્ષય પામે છે; હા, માણસ પ્રાણ છોડે છે અને તે ક્યાં છે?
૧૧જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે, અને નદી ક્ષીણ થઈને સુકાઈ જાય છે
૧૨તેમ માણસ સૂઈ જઈને પાછો ઊઠતો નથી આકાશોનું અસ્તિત્વ ન રહે ત્યાં સુધી તે જાગશે નહિ.
૧૩તમે મને સંકટોથી દૂર શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો; અને મને ઠરાવેલો સમય નક્કી કરી આપીને યાદ રાખો તો કેવું સારું!
૧૪જો માણસ મૃત્યુ પામે, તો પછી શું તે ફરીથી સજીવન થશે? જો એમ હોય તો, મારો છૂટકો થાય ત્યાં સુધી હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યંત રાહ જોઈશ.
૧૫તમે મને બોલાવો અને હું તમને ઉત્તર આપીશ. તમારા હાથનાં કામો પર તમે મમતા રાખત.
૧૬તમે મારાં પગલાંને ગણો છો; શું તમે મારા પાપની તપાસ નથી રાખતા?
૧૭મારાં પાપોને એક કોથળીમાં બંધ કરીને ઉપર મહોર મારવામાં આવી છે. તમે મારા અન્યાયને ઢાંકી દો છો.
૧૮નિશ્ચે પર્વતો પડીને નષ્ટ થાય છે, અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે.
૧૯પાણી પથ્થરોને ઘસી નાખે છે; પાણીના પૂર જમીન પરની ધૂળ ઘસડી જાય છે. અને તેવી જ રીતે તમે મનુષ્યની આશાનો નાશ કરો છો.
૨૦તમે હમેશાં તેઓની પર જય મેળવો છો. અને પછી તે મૃત્યુ પામે છે; તમે તેને ઉદાસ ચહેરે મોકલી દો છો.
૨૧તેના દીકરાઓ માનવંત પદે ચઢે છે, પણ તે પોતે જાણતો નથી; તેઓ દીનાવસ્થામાં આવી પડે એ વિષે પણ તે અજાણ છે.
૨૨તેના શરીરમાં વેદના થાય છે; તેનો અંતરઆત્મા તેને સારુ શોક કરે છે.”
