યોહાન ૧૨
૧પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા, લાજરસ, જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યો હતો તે ત્યાં હતો.
૨માટે તેઓએ તેને માટે ખોરાક તૈયાર કર્યો હતો અને માર્થા ભોજન પીરસતી હતી, લાજરસ ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંનો એક હતો.
૩તે વેળા મરિયમે અતિ મૂલ્યવાન શુદ્ધ જટામાંસીનું અડધો કિલો અત્તર લઈને ઈસુને પગે લગાવ્યું અને તેના વાળથી તેમના પગ લૂછ્યા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ.
૪તેમના શિષ્યોમાંનો એક, યહૂદા ઇશ્કારિયોત, જે તેમને પરસ્વાધીન કરનાર હતો, તેણે કહ્યું કે,
૫‘એ અત્તર ત્રણસો દીનારે ઇઝરાયલનું નાણું વેચીને ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?’”
૬હવે આ જે તેણે કહ્યું તેનું કારણ એ નહોતું કે તેને ગરીબોને માટે લાગણી હતી; પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો. તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.
૭ત્યારે ઈસુએ કહ્યું કે, ‘મારા દફનાવવાનાં દિવસને માટે મરિયમને એવું કરવા દે.
૮કેમ કે ગરીબો હંમેશા તમારી સાથે છે; પણ હું સદા તમારી સાથે નથી.’”
૯ત્યારે યહૂદીઓમાંના ઘણાં લોકોએ જાણ્યું કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરણમાંથી જીવિત કર્યો હતો, તેને પણ જોવા માટે આવ્યા.
૧૦મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી.
૧૧કેમ કે તેના કારણથી ઘણાં યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો.
૧૨બીજે દિવસે પર્વમાં આવેલા ઘણાં લોકોએ એવું સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે;
૧૩ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર ગયા; અને ઊંચા અવાજે કહ્યું કે, ‘હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે.
૧૪ઈસુને ગધેડાનો એક વછેરો મળ્યો ત્યારે તેના પર તેઓ બેઠા, જેમ લખેલું છે તેમ કે,
૧૫‘ઓ સિયોનની દીકરી, બીશ નહિ; જો, તારા રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે.’”
૧૬પ્રથમ તેના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, ઈસુના સંબંધી એ વાતો લખેલી છે, તે જ પ્રમાણે તેઓએ તેમને કર્યું છે.
૧૭તેમણે લાજરસને કબરમાંથી બોલાવ્યો અને મરેલાઓમાંથી જીવિત કર્યો, તે વખતે જે લોક તેમની સાથે હતા, તેઓએ આ બીનાને સમર્થન આપ્યું.
૧૮તે કારણથી પણ લોકો તેમને મળવા ગયા; કેમ કે તેમણે એ ચમત્કારિક ચિહ્ન કર્યું હતું એવું તેઓએ સાંભળ્યું હતું.
૧૯તે માટે ફરોશીઓએ પરસ્પર કહ્યું કે, ‘જુઓ, આપણું તો કંઈ વળતું નથી; જુઓ, આખું માનવજગત તેમની પાછળ ગયું છે.
૨૦હવે પર્વમાં ભજન કરવાને જેઓ આવ્યા હતા, તેઓમાંના કેટલાક લોકો ગ્રીક હતા;
૨૧માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, ‘ભાઈ, અમે ઈસુને જોવા ચાહીએ છીએ.’”
૨૨ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું; આન્દ્રિયા તથા ફિલિપે આવીને ઈસુને કહ્યું.
૨૩ત્યારે ઈસુએ તેઓને જવાબ કહ્યું કે, ‘માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે.
૨૪હું તમને નિશ્ચે કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરતો નથી, તો તે એકલો રહે છે; પણ જો તે મરે, તો તે ઘણાં ફળ આપે છે.
૨૫જે પોતાનો જીવ સાચવે છે, તે તેને ગુમાવે છે; જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને સારુ તેને બચાવી રાખશે.
૨૬જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ રહેશે; જો કોઈ મારી સેવા કરતો હોય, તો બાપ તેને માન આપશે.
૨૭હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? ઓ બાપ, મને આ ઘડીથી બચાવ. પણ આને લીધે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું.
૨૮ઓ બાપ, તમારા નામનો મહિમા થાઓ, ત્યારે સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘મેં તેનો મહિમા કર્યો છે અને ફરી કરીશ.’”
૨૯ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું, તેઓએ કહ્યું કે, ‘ગર્જના થઈ;’ બીજાઓએ કહ્યું કે, ‘સ્વર્ગદૂતે તેમની સાથે વાત કરી.’”
૩૦ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે.’”
૩૧હવે આ માનવજગતનો ન્યાય કરવામાં આવે છે; હવે આ જગતના અધિકારીને બહાર કાઢી મૂકવામાં આવશે.
૩૨અને જો હું પૃથ્વી પરથી ઊંચો કરાઈશ, તો હું સર્વને મારી પોતાની તરફ ખેંચીશ.
૩૩પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવતાં તેમણે એ પ્રમાણે કહ્યું.
૩૪એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો કે, ‘ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?’”
૩૫ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હજી થોડીવાર તમારી મધ્યે પ્રકાશ છે; જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને અંધકાર તમારા પર આવી પડે; અને જે અંધકારમાં ચાલે છે તે જાણતો નથી કે તે પોતે ક્યાં જાય છે.
૩૬જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ કરો, એ માટે કે તમે અજવાળાનાં બાળકો થાઓ. એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓથી સંતાઈ રહ્યા.
૩૭ઈસુએ આટલાં બધાં ચમત્કારિક ચિહ્નો તેઓના દેખતા કર્યાં હતાં, તોપણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ.
૩૮એ માટે કે યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે, ‘પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું તે પર કોણે વિશ્વાસ કર્યો છે? પ્રભુનો હાથ કોની સમક્ષ પ્રગટ થયો છે?’”
૩૯તે માટે તેઓ વિશ્વાસ કરી ન શક્યા, કેમ કે વળીપાછું યશાયા પ્રબોધકે કહ્યું હતું કે,
૪૦‘તેઓ આંખોથી દેખે નહિ, મનથી સમજે નહિ, પાછા ફરે નહિ, હું તેઓને સારા કરું નહિ, એ માટે તેમણે તેઓની આંખો અંધ કરી છે. અને તેઓનાં મન કઠોર થઈ ગયા છે.’”
૪૧યશાયાએ તેમનો મહિમા જોયો હતો તેણે એ વાતો જણાવી; અને તે તેમના વિષે બોલ્યો.
૪૨તોપણ અધિકારીઓમાંના પણ ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે, એ બીકથી તેઓએ તેમને જાહેરમાં કબૂલ કર્યા નહિ.
૪૩કેમ કે ઈશ્વરના તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસો તરફથી થતી પ્રશંસા વધારે ચાહતા હતા.
૪૪ત્યારે ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, ‘મારા પર જે વિશ્વાસ કરે છે, તે એકલો મારા પર નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમના પર પણ વિશ્વાસ રાખે છે.
૪૫જે મને જુએ છે, તે જેણે મને મોકલ્યો છે તેમને પણ જુએ છે.
૪૬જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે, તે અંધકારમાં રહે નહિ માટે દુનિયામાં હું પ્રકાશરૂપે આવ્યો છું.
૪૭જો કોઈ મારી વાતો સાંભળીને તેને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું માનવજગતનો ન્યાય કરવા માટે નહીં, પણ માનવ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું.
૪૮જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો સ્વીકારતો નથી, તેનો ન્યાય કરનાર એક છે; જે વાત મેં કહી છે, તે જ અંતિમ દિવસે તેનો ન્યાય કરશે.
૪૯કેમ કે મેં પોતાના તરફથી નથી કહ્યું, પણ મારે શું કહેવું, તથા મારે શું બોલવું, એ વિષે પિતા જેમણે મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે.
૫૦તેમની આજ્ઞામાં અનંતજીવન છે, એ હું જાણું છું; તે માટે હું જે કંઈ બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ બોલું છું.
