લેવી ૧૬
૧હારુનના બે દીકરા જ્યારે યહોવાહની સમક્ષ ગયા ત્યારે મૃત્યુ પામ્યા અને તેઓના મૃત્યુ પછી યહોવાહે મૂસાની સાથે વાત કરી.
૨પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે, પરમપવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના દયાસન સમક્ષ કોઈ પણ સમયે આવે નહિ. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે. કારણ કે તે દયાસન પર વાદળરૂપે હું દેખાઈશ.
૩તેથી અહીં હારુન આ રીતે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે. પાપાર્થાર્પણ માટે એક બળદ તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લઈને તે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે.
૪તે શણનું પવિત્ર ઉપવસ્ત્ર અને શણની ઈજાર પહેરે. કમરે શણનો કમરપટો અને માથે શણની પાઘડી બાંધે. આ પવિત્ર વસ્ત્રો છે. એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું.
૫તે ઇઝરાયલી પ્રજા પાસેથી પાપાર્થાર્પણ માટે બે બકરા તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લે.
૬પછી હારુન પોતાને માટે પાપાર્થાર્પણના બળદને રજૂ કરે અને પોતાના માટે તેમ જ પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે.
૭ત્યારપછી તે બે બકરાઓ લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ લાવે.
૮પછી હારુન તે બે બકરા માટે ચિઠ્ઠીઓ નાખે, એટલે એક ચિઠ્ઠી યહોવાહને માટે અને બીજી અઝાઝેલને માટે નક્કી કરે.
૯જે બકરા પર યહોવાહના નામની ચિઠ્ઠી પડે, તેને હારુન પાપાર્થાર્પણને માટે અર્પણ કરે.
૧૦પરંતુ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવાહ સમક્ષ તેને જીવતો રજૂ કરે.
૧૧પછી હારુન પોતાના અને પોતાના પરિવાર માટે પાપાર્થાર્પણને સારુ બળદ રજૂ કરે. પોતાને માટે તથા પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે અને પાપાર્થાર્પણનો જે બળદ પોતાના માટે હોય તેને કાપે.
૧૨પછી હારુન એક ધૂપદાનીમાં યહોવાહ આગળની વેદીમાંથી સળગતા અંગારા અને બે મુઠ્ઠી બારીક દળેલો ધૂપ લઈને તેને પડદાની અંદરની બાજુએ લાવે.
૧૩પછી યહોવાહ સમક્ષ અંગારા ઉપર તે ધૂપ તે નાખે જેથી કરારકોશ પરના દયાસન ઉપરનું વાદળ ધુમાડાથી ઢંકાઈ જાય. અને આમ કરવાથી તે મૃત્યુ પામશે નહિ.
૧૪ત્યારપછી તે બળદના રક્તમાંથી થોડું રક્ત પૂર્વ તરફ પોતાની આંગળી વડે દયાસન પર છાંટે. અને તેમાંનુ થોડું રક્ત દયાસનની સામે આંગળી વડે સાત વાર છાંટે.
૧૫ત્યારપછી તે લોકોના પાપાર્થાર્પણનો બકરો કાપે અને તેનું રક્ત પડદાની અંદરની બાજુ લાવે. બળદના રક્તની જેમ તે તેના રક્તનું પણ કરે; તે દયાસન પર તેને છાંટે ત્યારપછી દયાસનની સામે તેને છાંટે.
૧૬તે ઇઝરાયલના લોકોની અશુદ્ધતાના લીધે, તેઓના પાપો અને વિદ્રોહના કારણે પવિત્રસ્થાનને માટે પ્રાયશ્ચિત કરે. એ જ રીતે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહેનાર મુલાકાતમંડપને સારુ કરે, જેમાં યહોવાહ વસે છે.
૧૭હારુન પ્રાયશ્ચિત કરવા માટે પરમપવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પોતાને સારુ, પોતાના પરિવારને સારુ તથા સર્વ ઇઝરાયલીઓને સારું પ્રાયશ્ચિત કરીને બહાર ન આવે, ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો.
૧૮બહાર આવીને યહોવાહની સમક્ષ વેદી પાસે જઈને તેને સારુ તે પ્રાયશ્ચિત કરે. તેણે બળદના અને બકરાના રક્તમાંથી થોડું થોડું લઈને વેદીનાં શિંગો પર ચોપડવું.
૧૯એ રક્તમાંથી આંગળી વડે તે વેદી ઉપર સાત વખત છાંટીને તેને શુદ્ધ કરે અને ઇઝરાયલીઓની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે.
૨૦પરમ પવિત્રસ્થાન, મુલાકાતમંડપ અને વેદીને માટે પ્રાયશ્ચિત કરી રહે ત્યારે જીવિત બકરાંને તે હાજર કરે.
૨૧અને પછી હારુન તે જીવતા બકરાના માથા પર બન્ને હાથ મૂકીને ઇઝરાયલીઓની સર્વ દુષ્ટતા, સર્વ પાપો અને તેઓનો વિદ્રોહ કબૂલ કરીને તે સર્વ એ બકરાના શિર પર મૂકે. તે પછી તેણે આ કામ માટે નક્કી કરેલા માણસ સાથે તે બકરાંને રણમાં મોકલી આપવો.
૨૨પછી તે બકરો લોકોની સર્વ દુષ્ટતા જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે. અને આ માણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે.
૨૩ત્યારપછી હારુન મુલાકાતમંડપમાં પાછો આવે. પવિત્રસ્થાનમાં દાખલ થતી વખતે પહેરેલા શણનાં વસ્ત્રો ઉતારીને ત્યાં રાખી મૂકે.
૨૪પવિત્રસ્થાનમાં સ્નાન કરીને તે પોતાના વસ્ત્રો પહેરે અને બહાર જઈને પોતાનું અને લોકોનું દહનીયાર્પણ અર્પણ કરે અને આ રીતે પોતાને સારુ અને લોકોને સારુ પ્રાયશ્ચિત કરે.
૨૫પાપાર્થાર્પણની ચરબીનું દહન તે વેદી પર કરે.
૨૬અઝાઝેલ માટેના બકરાંને લઈ જનાર માણસે પોતાના વસ્ત્ર ધોઈ નાખવા અને સ્નાન કરવું; ત્યારપછી જ તે છાવણીમાં પાછો આવે.
૨૭પછી પાપાર્થાર્પણને સારુ ચઢાવેલા બળદ અને બકરાંને એટલે જેઓનું રક્ત પ્રાયશ્ચિતને માટે પવિત્રસ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું તેઓને છાવણી બહાર લઈ જવા અને ચામડાં, માંસ અને આંતરડાં સહિત બાળી નાખવા.
૨૮આ બધું બાળનાર માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, સ્નાન કરવું અને પછી છાવણીમાં પાછા ફરવું.
૨૯એ સદાને માટે તમારો વિધિ થાય; દેશનાં વતનીઓ તથા તમારી મધ્યે વસતા વિદેશીઓએ સાતમા મહિનાના દશમા દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.
૩૦કેમ કે તે દિવસે તમને શુદ્ધ કરવા માટે તમારા માટે પ્રાયશ્ચિત કરવામાં આવશે; તમે તમારા પાપોથી યહોવાહની આગળ શુદ્ધ થશો.
૩૧તમારા માટે તે પવિત્ર વિશ્રામવારનો દિવસ છે. તમારે ઉપવાસ કરવો અને કંઈ કામ કરવું નહિ. આ સદાને માટેનો નિયમ છે.
૩૨આ પ્રાયશ્ચિત મુખ્ય યાજકે એટલે જે તેના પિતાના સ્થાને યાજકપદને સારુ અભિષિક્ત અને પવિત્ર કરવામાં આવ્યો હોય તેણે કરવું. તે પ્રાયશ્ચિત કરે, તે યાજકે શણના પવિત્ર વસ્ત્ર પહેરવા.
૩૩અને પરમ પવિત્રસ્થાનને માટે, મુલાકાતમંડપને માટે, વેદીને માટે, યાજકોને માટે તથા સભાના સમગ્ર લોકોને માટે તેણે પ્રાયશ્ચિત કરવું.
૩૪આ તમારે સારુ સદાનો વિધિ થાય; આ રીતે પ્રતિવર્ષ એક વાર ઇઝરાયલીઓના પાપો માટે પ્રાયશ્ચિત કરવું. યહોવાહે મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે તેણે કર્યું.
