લેવી ૧૭
૧યહોવાહે મૂસાને કહ્યું,
૨“તું હારુનને, તેના પુત્રોને તેમ જ બધા ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે, યહોવાહે જે આજ્ઞા આપી છે તે તેઓને કહે,
૩‘જો કોઈ ઇઝરાયલી છાવણીમાં અથવા છાવણીની બહાર બળદ, હલવાન કે બકરાંને કાપે,
૪પરંતુ યહોવાહના મંડપની સામે યહોવાહને સારુ અર્પણ ચઢાવવા માટે મુલાકાતમંડપના દ્વારની પાસે તેને ન લાવે, તે પુરુષને માથે રક્તનો દોષ બેસે; તેણે તો રક્ત વહેવડાવ્યું છે; તે પુરુષ પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.
૫આ આજ્ઞા એ ઉદ્દેશથી આપવામાં આવી છે કે જેથી ઇઝરાયલી લોકો એક ખુલ્લાં મેદાનમાં બલિદાન કરવાના બદલે તે યહોવાહને માટે મુલાકાતમંડપના દ્વાર આગળ યાજક પાસે લાવે અને તે વડે તેઓ યહોવાહને માટે શાંત્યર્પણો કરે.
૬યાજકે અર્પણનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહની વેદી પર છાંટવું. તેણે ચરબીનું દહન કરવું કેમ કે તે યહોવાહને માટે સુવાસ ઉત્પન્ન કરે છે.
૭લોકો બકરાનો મૂર્તિઓને તેઓના અર્પણ ચઢાવવાની ઇચ્છા રાખે નહિ, કેમ કે આ રીતે તેઓ ગણિકાઓ માફક વર્ત્યા છે. ઇઝરાયલીઓ અને તેઓના વંશજો માટે આ હંમેશનો વિધિ થાય.’”
૮તારે તેઓને કહેવું કે, જો કોઈ ઇઝરાયલી અથવા તેઓની વચ્ચે રહેતો પરદેશી દહનીયાર્પણ કે યજ્ઞ ચઢાવે,
૯અને યહોવાહ સમક્ષ તેનો યજ્ઞ કરવાને તેને મુલાકાતમંડપના દ્વાર પાસે ના લાવે તો તે માણસ તેના લોકો મધ્યેથી અલગ કરાય.
૧૦અને કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલીઓ વચ્ચે વસતો કોઈપણ પરદેશી માણસ જો રક્ત ખાય તો હું તે માણસની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી અલગ કરીશ.
૧૧કારણ કે શરીરનો જીવ રક્તમાં છે. અને વેદી પર તે રક્ત તમારા માટે પ્રાયશ્ચિત કરે તે માટે મેં તમને આપ્યું છે. કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે.
૧૨તે માટે મેં ઇઝરાયલના લોકોને કહ્યું કે, તમારામાંનો કોઈપણ માણસ તેમ જ તમારી મધ્યે વસતો કોઈપણ પરદેશી રક્ત ના ખાય.
૧૩અને કોઈપણ ઇઝરાયલી કે તેઓની વચ્ચે વસતો પરદેશી ખાદ્ય પક્ષીનો કે પશુનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને તેના પર માટી ઢાંકી દેવી.
૧૪કેમ કે સર્વ દેહધારીઓના જીવ વિષે એવું જાણવું કે રક્તમાં તેઓનો જીવ છે, તેથી જ મેં ઇઝરાયલના લોકોને કહ્યું છે કે, “તમારે કોઈપણ દેહધારીનું રક્ત પીવું નહિ, કેમ કે સર્વ દેહધારીઓનો જીવ તેઓના રક્તમાં છે. જે કોઈ તે ખાય તે અલગ કરાય.”
૧૫દરેક વ્યક્તિ દેશનાં વતનીઓ કે પરદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલુ અથવા જંગલી પશુઓએ ફાડી નાખેલું પશુ ખાય તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. ત્યારપછી તે શુદ્ધ ગણાય.
૧૬પરંતુ જો તે પોતાના વસ્ત્રો ન ધુએ કે સ્નાન ન કરે, તો પછી તેનો દોષ તેને માથે.’”
