માર્ક ૭
૧ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરુશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા.
૨અને તેમના શિષ્યોમાંના અમુકને ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં.
૩કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના રિવાજ પ્રમાણે હાથ ધોયા વિના ખાતા ન હતા.
૪બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.
૫પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, ‘તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?’”
૬ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે.
૭પણ તેઓ પોતાના રિવાજો મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.
૮ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો.’”
૯તેણે તેઓને કહ્યું કે, ‘તમે પોતાના રિવાજોને પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરો છો.
૧૦કેમ કે મૂસાએ કહ્યું કે, “તારાં માતાપિતાને માન આપ” અને “જે કોઈ પોતાનાં માતાપિતાની નિંદા કરે તે માર્યો જાય.”
૧૧પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે.
૧૨તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી,
૧૩અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.’”
૧૪લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે બધા મારું સાંભળો તથા સમજો.
૧૫માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને ભ્રષ્ટ કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
૧૬જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે.
૧૭જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દ્રષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું.
૧૮ઈસુ તેઓને કહે છે કે, ‘તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી?
૧૯કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;’ એવું કહીને ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં.
૨૦વળી તેમણે કહ્યું કે, ‘માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
૨૧કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ,
૨૨વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, ભોગવિલાસ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ.
૨૩એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.
૨૪પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ.
૨૫કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી.
૨૬તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટાત્માને કાઢવાને તેમને વિનંતી કરી.
૨૭પણ ઈસુએ તેને કહ્યું કે, ‘છોકરાંને પહેલાં ખાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે સારું નથી.’”
૨૮પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, ‘હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે’.
૨૯ઈસુએ તેને કહ્યું કે, ‘આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.’”
૩૦તેણે પોતાને ઘરે આવીને જોયું કે, ‘છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.’”
૩૧ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા.
૩૨લોકો એક મૂક બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.
૩૩ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું;
૩૪અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, ‘એફફથા,’ એટલે ‘ઊઘડી જા.’”
૩૫તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો.
૩૬ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, ‘તમારે કોઈને કહેવું નહિ;’ પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.
૩૭લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, ‘તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે.
