Skip to content
Methodist Church Nadiad

માથ્થી ૧૯

100%

ઈસુએ એ વાતો પૂરી કર્યા પછી એમ થયું કે, તે ગાલીલથી નીકળીને યર્દન નદીને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં આવ્યા.

અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા અને ત્યાં તેમણે તેઓને સાજાં કર્યા.

ફરોશીઓએ તેમની પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં પૂછ્યું કે, “કોઈ પણ કારણને લીધે શું પુરુષે પત્નીને છોડી દેવી ઉચિત છે?”

ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, “શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા?

અને કહ્યું કે ‘તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક દેહ થશે?’

માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં.”

તેઓએ ઈસુને કહ્યું કે, “તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, ફારગતીનું પ્રમાણપત્ર આપીને તેને મૂકી દેવી?”

ઈસુએ તેઓને કહ્યું કે, “મૂસાએ તમારાં હૃદયની કઠોરતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું.

હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને ત્યજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.”

૧૦તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, “જો પુરુષની તેની પત્ની સંબંધી આ સ્થિતિ હોય, તો લગ્ન કરવું સારું નથી.”

૧૧ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “બધાથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ.

૧૨કેમ કે કેટલાક નપુંશક છે કે જેઓ પોતાની માતાઓથી જ એવા જન્મેલાં છે. કેટલાક એવા છે કે જેઓને માણસોએ નપુંશક બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ નપુંશક તરીકે કર્યા છે. જે સ્વીકારી શકે છે તે આ વાત સ્વીકારે.”

૧૩ત્યાર પછી તેઓ બાળકોને તેમની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.

૧૪પણ ઈસુએ કહ્યું કે, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું છે.”

૧૫તેઓ પર હાથ મૂક્યા પછી તે ત્યાંથી ગયા.

૧૬ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?”

૧૭ત્યારે તેમણે તે વ્યક્તિને કહ્યું, “તું મને સારાં વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનનાં માર્ગમાં પ્રવેશવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.”

૧૮તે વ્યક્તિએ ઈસુને કહ્યું કે, ‘કઈ આજ્ઞાઓ?’ ત્યારે ઈસુએ કહ્યું કે, “તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર,

૧૯પોતાનાં માતાપિતાને માન આપ, પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.”

૨૦તે જુવાને તેમને કહ્યું કે, “એ બધી આજ્ઞાઓ તો હું પાળતો આવ્યો છું; હજી મારામાં શું ખૂટે છે?”

૨૧ઈસુએ તે જુવાનને કહ્યું કે, “જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.”

૨૨પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

૨૩ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.

૨૪વળી હું તમને ફરી કહું છું કે ‘ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.”

૨૫ત્યારે તેમના શિષ્યોએ તે સાંભળીને ઘણાં અચરત થયા અને કહેવા લાગ્યા કે, “તો કોણ ઉદ્ધાર પામી શકે?”

૨૬પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.”

૨૭ત્યારે પિતરે ઈસુને જવાબ આપ્યો કે, “અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?”

૨૮ઈસુએ તેઓને કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.

૨૯જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે પાછળ મૂકી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે.

૩૦પણ ઘણાં જેઓ પ્રથમ તેઓ છેલ્લાં થશે; અને જેઓ છેલ્લાં તેઓ પ્રથમ થશે.”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.