મીખાહ ૪
૧પણ પાછલા દિવસોમાં, યહોવાહના સભાસ્થાનના પર્વતની સ્થાપના પર્વતોમાં સૌથી ઉન્નત કરાશે, તેને બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે, અને લોકોના ટોળેટોળાં ત્યાં ચાલ્યા આવશે.
૨ઘણાં પ્રજાઓ આવશે અને કહેશે કે, “ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર, યાકૂબના ઈશ્વરના ઘરમાં જઈએ; તે આપણને તેમના માર્ગો શીખવશે, અને આપણે તેમના માર્ગોમાં ચાલીશું.” કેમ કે સિયોનમાંથી નિયમશાસ્ત્ર અને યહોવાહના વચન યરુશાલેમમાંથી બહાર નીકળશે.
૩તે ઘણા લોકોની વચ્ચે ન્યાય કરશે, તે દૂરના બળવાન રાષ્ટ્રોનો ઇનસાફ કરશે. તેઓ પોતાની તલવારો ટીપીને હળની કોશો બનાવશે; પોતાના ભાલાઓનાં દાતરડાં બનાવશે. પ્રજાઓ એકબીજા વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ, તેઓ ફરીથી કદી યુદ્ધનું શિક્ષણ લેશે નહિ.
૪પણ, તેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે. કોઈ તેમને બીવડાવશે નહિ, કેમ કે સૈન્યોના યહોવાહના મુખમાંથી આ વચન બોલાયું છે.
૫કેમ કે બધા લોકો, એટલે પ્રત્યેક, પોતપોતાના દેવના નામ પર શ્રધ્ધા રાખીને ચાલશે. પણ અમે સદાસર્વકાળ, યહોવાહ અમારા ઈશ્વરના નામ પર ભરોસો રાખીને ચાલીશું.
૬યહોવાહ કહે છે કે, “તે દિવસે” “જે અપંગ છે તેવી પ્રજાને હું ભેગી કરીશ અને જેને મેં દુ:ખી કરીને કાઢી મૂકી છે, તે પ્રજાને હું એકત્ર કરીશ.
૭અપંગમાંથી હું શેષ ઉત્પન્ન કરીશ, દૂર કાઢી મૂકાયેલી પ્રજામાંથી એક શક્તિશાળી પ્રજા બનાવીશ, અને યહોવાહ, સિયોનના પર્વત ઉપરથી તેઓના પર, અત્યારથી તે સર્વકાળ સુધી રાજ કરશે.
૮હે, ટોળાંના બુરજ, સિયોનની દીકરીના શિખર, તે તારે ત્યાં આવશે, એટલે અગાઉનું રાજ્ય, યરુશાલેમની દીકરીનું રાજ્ય આવશે.
૯હવે તું શા માટે મોટેથી પોકારે છે? તારામાં રાજા નથી? શું તારો સલાહકાર નાશ પામ્યા છે કે, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તારા પર વેદના આવી પડી છે?
૧૦હે સિયોનની દીકરી, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર. કેમ કે હવે તું નગરમાંથી બહાર જશે, ખેતરમાં રહેશે, અને બાબિલમાં પણ જશે; ત્યાંથી તને મુક્ત કરવામાં આવશે; ત્યાં યહોવાહ તને તારા શત્રુઓના હાથમાંથી મુક્ત કરશે.
૧૧હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ ભેગી થઈ છે; તેઓ કહે છે કે, ‘તેને અશુદ્ધ કરીએ; સિયોન ઉપર આપણી આંખો લગાવીએ.’”
૧૨પ્રબોધક કહે છે, તેઓ યહોવાહના વિચારોને જાણતા નથી, અને તેઓ તેમની યોજનાઓને સમજતા નથી, કેમ કે તેમણે તેઓને ખળીઓમાં પૂળીઓની જેમ ભેગા કર્યા છે.
૧૩યહોવાહ કહે છે, “હે સિયોનની દીકરી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાંને લોખંડનાં, અને તારી ખરીઓ કાંસાની બનાવીશ; તું તેના વડે ઘણાં લોકોને કચડી નાખશે. તું તેઓના અનુચિત ધન યહોવાહને, અને તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.”
