નહેમ્યા ૪
૧હવે જયારે સાન્બાલ્લાટે સાંભળ્યું કે અમે કોટ બાંધીએ છીએ, ત્યારે તે ઉગ્ર થયો. અને રોષે ભરાયો. તેણે યહૂદીઓની હાંસી ઉડાવી.
૨તેના ભાઈઓ અને સમરુનના સૈન્યની હાજરીમાં તે બોલ્યો, “આ નિર્બળ યહૂદીઓ શું કરી રહ્યા છે? શું તેઓ પોતાને માટે ફરીથી નગર બાંધશે? શું તેઓ યજ્ઞ ચઢાવશે? શું તેઓ આ કામ એક દિવસમાં પૂરું કરી શકશે? શું બળી ગયેલી ઈમારતોના ધૂળઢેફાંના ઢગલામાંથી તેઓ પુન:નિર્માણ કરશે?
૩આમ્મોની ટોબિયા જે તેની સાથે હતો, તેણે કહ્યું, “તેઓ જે બાંધી રહ્યા છે તે પથ્થરના કોટ પર એક શિયાળ પણ ચઢે તોય તે તૂટી પડશે!”
૪અમારા ઈશ્વર, સાંભળો, કેમ કે અમારી મશ્કરી કરવામાં આવે છે. તેઓ અમારી જે નિંદા કરે છે તેનો બદલો તેઓને વાળી આપો. તેઓ બંદીવાસમાં જાઓ અને તેઓના ઘરબાર લૂંટાઈ જાઓ.
૫હે ઈશ્વર, તેઓના અન્યાય સંતાડશો નહિ અને તેઓનાં પાપ તમારી આગળથી ભૂંસી નાખશો નહિ, કારણ કે તેઓએ બાંધનારાઓને ખીજવીને ગુસ્સે કર્યા છે.”
૬એમ અમે તે કોટ બાંધ્યો અને લોકોનો ઉત્સાહ એટલો બધો હતો કે આખો કોટ તેની નિર્ધારિત ઊંચાઈથી અડધા ભાગનો કોટ તો તેઓએ જોતજોતામાં બાંધી દીધો.
૭પરંતુ જ્યારે સાન્બાલ્લાટે, ટોબિયાએ, આરબોએ, આમ્મોનીઓએ અને આશ્દોદીઓએ સાંભળ્યું કે, યરુશાલેમના કોટના મરામતનું કામ આગળ વધી રહ્યું છે અને પડેલા મોટાં ગાબડાં પુરાવા માંડ્યા છે, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા.
૮તેઓ બધા એકઠા થયા અને તેઓને તેઓના કામમાં ભંગાણ પાડવા માટે યોજના કરી. તેઓ યરુશાલેમ વિરુદ્ધ લડવા માટે આવ્યા.
૯પણ અમે અમારા ઈશ્વરને પ્રાર્થના કરી અને તેઓની સામે ચોકી કરવા રાતદિવસનો જાપ્તો ગોઠવી દીધો.
૧૦પછી યહૂદિયાના લોકોએ કહ્યું કે, “વજન ઊંચકનારા મજૂરો પોતાના સામર્થ્ય ગુમાવી દીધા છે અને ત્યાં એટલો બધો કચરો છે કે અમે આ કોટ બાંધી શકતા નથી.”
૧૧અમારા શત્રુઓએ એવું કહ્યું, “આપણે તેઓના પર તૂટી પડીને તેઓને ખબર પડે કે તેઓ આપણને જુએ તે પહેલાં તેઓને મારી નાખીશું અને કામ પણ અટકાવી દઈશું.”
૧૨તે સમયે તેઓની પડોશમાં રહેતા યહૂદીઓએ અમારી પાસે દસ વાર આવીને અમને ચેતવ્યા કે, “તેઓ સર્વ દિશાએથી આપણી વિરુદ્ધ ભેગા થઈ રહ્યા છે.”
૧૩તેથી મેં કોટની પાછળ ખુલ્લી જગ્યાઓમાં સૌથી નીચેના ભાગમાં લોકોને તેઓનાં કુટુંબો પ્રમાણે, તલવારો, ભાલાઓ તથા ધનુષ્યબાણ વડે સજ્જ કરીને બેસાડ્યા.
૧૪મેં અધિકારીઓને તથા બીજા લોકોને ઉદ્દેશીને કહ્યું, “તમારે તે લોકોથી ડરવું નહિ. આપણા પ્રભુ યહોવાહ કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, પત્નીઓ અને તમારા ઘર માટે લડો.”
૧૫જયારે અમારા શત્રુઓએ સાંભળ્યું કે અમને તેઓની યોજનાની જાણ થઈ ગઈ છે અને યહોવાહે તેઓની યોજના નિષ્ફળ બનાવી છે ત્યારે અમે સર્વ કોટ બાંધવા માટે પોતપોતાના કામ પર પાછા આવ્યા.
૧૬તે દિવસથી મારા અડધા ચાકરો બાંધકામ કરતા અને બાકીના ભાલા, ઢાલ, તીરકામઠાં અને બખ્તર ધારણ કરીને ચોકી કરવા માટે ઊભા રહેતા. અને યહૂદિયાના બધા લોકોને આગેવાનો તેઓની સાથે રહીને પીઠબળ પૂરું પાડતા હતા.
૧૭કોટ બાંધનારાઓ અને વજન ઉપાડનારાઓ એક હાથથી કામ કરતા હતા અને બીજા હાથમાં શસ્ત્ર ધારણ કરી રાખતા હતા.
૧૮બાંધકામ કરનારાઓ પણ કમરે તલવાર લટકાવીને કામ કરતા હતા. રણશિંગડું વગાડનાર મારી પાસે હતો.
૧૯મેં અમીરોને, અધિકારીઓને અને બાકીના લોકોને કહ્યું, “કામ વિશાળ અને મોટું છે. આપણે કોટની ફરતે અલગ અલગ પડી ગયેલાં છીએ.
૨૦તો તમે જ્યાં પણ હો, તે જગ્યાએ જ્યારે રણશિંગડાંનો અવાજ સાંભળો ત્યારે એકસાથે બધા લોકો દોડીને મારી પાસે ભેગા થઈ જજો, આપણા ઈશ્વર આપણા માટે યુદ્ધ કરશે.”
૨૧આ પ્રમાણે અમે પુન:નિર્માણનું કામ આગળ ચલાવતા હતા અને અમારામાંના અડધા સવારથી રાતે તારા દેખાય ત્યાં સુધી હાથમાં ભાલા લઈને ઊભા રહેતા હતા.
૨૨મેં તેઓને તે સમયે એમ કહ્યું કે, “દરેક માણસે તેના ચાકરસહિત યરુશાલેમમાં જ રહેવું, જેથી તેઓ રાત્રે અમારું રક્ષણ કરે અને દિવસે કામ કરે.”
૨૩આમ, હું, મારા ભાઈઓ, મારા ચાકરો કે મારી પાછળ ચાલતા રક્ષકો કોઈ કદી વસ્ત્રો ઉતારતા નહિ અને અમારા દરેક જણ પાસે શસ્ત્રો અને પાણી હતા .
