નીતિવચનો ૯
૧જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે;
૨તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે; તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે.
૩તેણે પોતાની દાસીઓને મોકલીને ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે:
૪“જો કોઈ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે!” અને વળી બુદ્ધિહીન લોકોને તે કહે છે કે,
૫આવો, મારી સાથે ભોજન લો અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ.
૬હે મૂર્ખો તમારી હઠ છોડી દો અને જીવો; બુદ્ધિને માર્ગે ચાલો.
૭જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે, જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તેને બટ્ટો લાગે છે.
૮ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તમારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે.
૯જો તમે જ્ઞાની વ્યક્તિને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે; અને ન્યાયી વ્યક્તિને શિક્ષણ આપશો તો તેના ડહાપણમાં વૃદ્ધિ થશે.
૧૦યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે, પવિત્ર ઈશ્વરની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે.
૧૧ડહાપણને લીધે તારું આયુષ્ય દીર્ઘ થશે, અને તારી આવરદાનાં વર્ષો વધશે.
૧૨જો તું જ્ઞાની હોય તો તે તારે પોતાને માટે જ્ઞાની છે, જો તું તિરસ્કાર કરીશ તો તારે એકલા એ જ તેનું ફળ ભોગવવાનું છે.”
૧૩મૂર્ખ સ્ત્રી ઝઘડાખોર છે તે સમજણ વગરની છે અને તદ્દન અજાણ છે.
૧૪તે પોતાના ઘરના બારણા આગળ બેસે છે, તે નગરના ઊંચાં સ્થાનોએ આસન વાળીને બેસે છે.
૧૫તેથી ત્યાંથી થઈને જનારાઓને એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે બોલાવે છે.
૧૬“જે કોઈ મૂર્ખ હોય, તે વળીને અહીં અંદર આવે!” અને બુદ્ધિહીનને તે કહે છે કે.
૧૭“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે.”
૧૮પરંતુ એ લોકોને ખબર નથી કે તે તો મૃત્યુની જગ્યા છે, અને તેના મહેમાનો મૃત્યુનાં ઊંડાણોમાં ઊતરનારા છે.
