રોમનોને પત્ર ૧૪
૧વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.
૨કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે.
૩જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો; અને જે ખાતો નથી તેણે ખાનારને અપરાધી ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો સ્વીકાર કર્યો છે.
૪તું કોણ છે કે બીજાના નોકરને અપરાધી ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.
૫કોઈ એક તો અમુક દિવસને અન્ય દિવસો કરતાં વધારે પવિત્ર માને છે અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે; દરેકે પોતપોતાનાં મનમાં સંપૂર્ણ ખાતરી કરવી.
૬અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુને માટે તેને પવિત્ર ગણે છે; જે ખાય છે તે પ્રભુને માટે ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે; અને જે નથી ખાતો તે પ્રભુને માટે નથી ખાતો અને ઈશ્વરનો આભાર માને છે.
૭કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી.
૮કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભુની ખાતર મરીએ છીએ; તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.
૯કેમ કે મૃત અને જીવંત બન્નેના તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા સજીવન થયા.
૧૦પણ તું પોતાના ભાઈને કેમ અપરાધી ઠરાવે છે? તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.
૧૧એવું લખેલું છે કે, પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ધૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.
૧૨એ માટે આપણ પ્રત્યેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.
૧૩તો હવેથી આપણે એકબીજા દોષારોપણ કરીએ નહિ; પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિયમ કરવો, તે સારું છે.
૧૪હું જાણું છું કે, પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને માટે તે અશુદ્ધ છે.
૧૫જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ તું તારા ભોજનથી ન કર.
૧૬તેથી તમારું જે સારું છે તે વિષે ખોટું બોલાય એવું થવા ન દો.
૧૭કેમ કે ઈશ્વરનું રાજ્ય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણામાં, શાંતિમાં અને પવિત્ર આત્માથી મળતા આનંદમાં, છે.
૧૮કેમ કે તે બાબત માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે.
૧૯તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો કરી શકીએ તેવી છે. તેની પાછળ આપણે લાગુ રહેવું.
૨૦ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી ન પાડો; બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને માટે તે ખોટું છે.
૨૧માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, તે ન કરવું તે તને ઉચિત છે.
૨૨જે વિશ્વાસ તને છે તે તારા પોતામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને અપરાધી ઠરાવતો નથી તે આશીર્વાદિત છે.
૨૩પણ જેને જે વિષે શંકા રહે છે તે જો તે ખાય છે તો તે અપરાધી ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી; અને જે વિશ્વાસથી નથી તે બધું તો પાપ છે.
