યોહાનનો પહેલો પત્ર ૫
૧ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે, તે ઈશ્વરથી જન્મેલો છે. અને પિતા પર જે પ્રેમ રાખે છે તે તેનાથી જન્મેલાં પર પણ પ્રેમ રાખે છે.
૨જયારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે એથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો પર પણ પ્રેમ રાખીએ છીએ.
૩કેમ કે ઈશ્વર પરનો પ્રેમ એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, કેમ કે તેમની આજ્ઞાઓ પાળવી એ ભારરૂપ નથી.
૪કેમ કે જે ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે વિજય જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે.
૫જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે વગર અન્ય કોણ જગતને જીતી શકે છે?
૬પાણીથી તથા રક્તથી જે આવ્યા તે એ છે; એટલે ઈસુ ખ્રિસ્ત. તેઓ કેવળ પાણીથી નહિ, પણ પાણી તથા રક્તથી આવ્યા છે.
૭જે સાક્ષી પૂરે છે તે તો પવિત્ર આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે.
૮સ્વર્ગમાં ત્રણ સાક્ષી આપે છે. પવિત્ર આત્મા, પાણી અને રક્ત આ ત્રણ એક સાથે સમંત છે.
૯જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ, તો એ કરતાં ઈશ્વરની સાક્ષી મહાન છે, કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે એ જ છે.
૧૦જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે, તેના પોતાનામાં તે સાક્ષી છે; જે ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી તેણે તેમને જૂઠા પાડ્યાં છે. કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી.
૧૧આ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું છે અને એ જીવન તેમના પુત્ર ઈસુમાં છે.
૧૨જેની પાસે ઈશ્વરના પુત્ર છે તેને જીવન છે. જેની પાસે ઈશ્વરના પુત્ર નથી, તેને જીવન નથી.
૧૩તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારાઓ ઉપર, મેં આ વાતો લખી છે.
૧૪તેના વિષે આપણને જે હિંમત છે તે એ છે કે જો આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કંઈ પણ માગીએ, તો તેઓ આપણું સાંભળે છે.
૧૫જો આપણે જાણીએ કે, આપણે જે કંઈ માગીએ તે સંબંધી ઈશ્વર આપણું સાંભળે છે, તો જે આપણે તેમની પાસે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ.
૧૬જો કોઈ પોતાના ભાઈને મરણકારક નથી એવું પાપ કરતો જુએ તો તેણે તેના માટે પ્રાર્થના કરવી, માટે ઈશ્વર તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે તમારે તે માટે પ્રાર્થના કરવી જોઈએ.
૧૭સર્વ અન્યાય પાપ છે, પણ મરણકારક નથી એવું પણ પાપ છે.
૧૮આપણે જાણીએ છીએ કે દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપમાં ચાલુ રહેતો નથી, પણ જે ઈશ્વરથી જનમ્યો છે તે તેને સંભાળે છે. તેથી દુષ્ટ તેને નુકસાન કરી શકતો નથી.
૧૯આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.
૨૦વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચા, સત્ય અને અનંતજીવન છે.
૨૧પ્રિય બાળકો, મૂર્તિઓથી સાવધ રહો.
