1 શમુએલ ૧૮
૧જયારે શાઉલ સાથે તેણે વાત પૂરી કરી ત્યાર પછી, યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, યોનાથાન પોતાના જીવના જેવો પ્રેમ તેના પર કરવા લાગ્યો.
૨શાઉલે તે દિવસથી દાઉદને પોતાની સેવા માટે રાખ્યો; તેને તેના પિતાને ઘરે જવા દીધો નહિ.
૩પછી યોનાથાને તથા દાઉદે મિત્રતાના કોલકરાર કર્યા. યોનાથાન તેના પર પોતાના જીવના જેવો પ્રેમ કરતો હતો.
૪જે ઝભ્ભો યોનાથાને પહેરેલો હતો તે તેણે પોતાના અંગ પરથી ઉતારીને દાઉદને આપ્યો. પોતાનું કવચ તથા, તલવાર, ધનુષ્ય, અને કમરબંધ પણ આપ્યાં.
૫જ્યાં કંઈ શાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે જતો અને તે સફળ થતો. શાઉલે તેને સૈનિકો પર સરદાર તરીકે નીમ્યો. એ સર્વ લોકની નજરમાં તથા શાઉલના ચાકરોની નજરમાં પણ સારુ લાગ્યું.
૬જયારે દાઉદ પલિસ્તીઓને હરાવ્યા પછી તેઓ પાછા આવતા હતા ત્યારે ઇઝરાયલનાં સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ગાતી તથા નાચતી, ખંજરી સાથે, આનંદથી, સંગીતનાં વાજિંત્રો વગાડતા શાઉલને મળવા માટે બહાર આવી.
૭તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતાં ગાતાં એકબીજીને કહેતી હતી કે: “શાઉલે સહસ્ત્રને અને દાઉદે દસ સહસ્ત્રને સંહાર્યા છે.”
૮તેથી શાઉલને ઘણો ક્રોધ ચઢયો અને આ ગીતથી તેને ખોટું લાગ્યું. તેણે કહ્યું કે, “તેઓએ દાઉદને દસ સહસ્ત્રનું માન આપ્યું છે, પણ તેઓએ મને તો માત્ર સહસ્ત્રનું જ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે?”
૯તે દિવસથી શાઉલ દાઉદને ઈર્ષ્યાની નજરે જોવા લાગ્યો.
૧૦બીજે દિવસે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો, તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. તેથી દાઉદ પોતાના નિત્યના ક્રમ મુજબ વાજિંત્ર વગાડતો હતો. તે વખતે શાઉલના હાથમાં પોતાનો ભાલો હતો.
૧૧શાઉલે તે ભાલો ફેંક્યો, તેનો ઇરાદો હતો કે, “તે દાઉદને ભાલો મારીને તેને ભીંત સાથે જડી દેશે.” પણ દાઉદ શાઉલની આગળથી બે વખત ખસી ગયો.
૧૨શાઉલ દાઉદથી બીતો હતો, કારણ કે ઈશ્વર તેની સાથે હતા, પણ શાઉલની પાસેથી તો તે દૂર થઈ ગયા હતા.
૧૩માટે શાઉલે તેને પોતાની અંગત સેવામાંથી દૂર કરીને તેને પોતાના લશ્કરમાં હજાર સૈનિકોનો સેનાપતિ બનાવ્યો. આ પ્રમાણે તે લોકોને બહાર લઈ જતો અને પાછા લાવતો.
૧૪દાઉદ પોતાના સર્વ કાર્યો ડહાપણપૂર્વક કરતો હતો. ઈશ્વર તેની સાથે હતા.
૧૫જયારે શાઉલે જોયું કે તે ઘણો સફળ થાય છે, એ જોઈને શાઉલને તેની બીક લાગતી હતી.
૧૬સર્વ ઇઝરાયલ અને યહૂદિયાના લોકો દાઉદ પર પ્રેમ રાખતા હતા, કેમ કે તે તેઓને બહાર લઈ જતો અને તેમને પાછા લાવતો હતો.
૧૭શાઉલે દાઉદને કહ્યું, “જો અહીં મારી મોટી દીકરી મેરાબ છે. તેના લગ્ન હું તારી સાથે કરાવીશ. એટલું જ કે તું મારે સારુ બળવાન થા, ઈશ્વરની લડાઈઓ લડ.” કેમ કે શાઉલે મનમાં વિચાર્યું, “મારો હાથ એના પર ન પડે, પણ પલિસ્તીઓનો હાથ એના પર ભલે પડે.”
૧૮દાઉદે શાઉલને કહ્યું, “હું કોણ છું, મારું જીવન શું છે, ઇઝરાયલમાં મારા પિતાનું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થાઉં?”
૧૯હવે શાઉલે પોતાની દીકરી મેરાબ, દાઉદને આપવાની હતી, તેને બદલે તેણે તેને આદ્રિયેલ મહોલાથીની પત્ની તરીકે આપી.
૨૦પણ શાઉલની દીકરી મિખાલ, દાઉદને પ્રેમ કરવા લાગી હતી. તેઓએ શાઉલને કહ્યું, ત્યારે તે વાત તેને સારી લાગી.
૨૧ત્યારે શાઉલે વિચાર્યું, “હું મિખાલ તેને આપીશ, કે તે તેને ફાંદારૂપ થાય, પલિસ્તીઓનો હાથ તેની વિરુદ્ધ થાય. “તે માટે શાઉલે દાઉદને બીજીવાર કહ્યું, “તું મારો જમાઈ થશે.”
૨૨શાઉલે પોતાના ચાકરોને આજ્ઞા કરી કે, ‘દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને, કહેવું, ‘જો, રાજા તારા ઉપર બહુ પ્રસન્ન છે, તેના સર્વ ચાકરો તને પ્રેમ કરે છે. માટે હવે, રાજાનો જમાઈ થા.’”
૨૩શાઉલના ચાકરોએ એ શબ્દો દાઉદના કાનમાં કહ્યા. દાઉદે કહ્યું, હું કંગાળ અને વિસાત વગરનો માણસ છું.” છતાં હું રાજાનો જમાઈ થાઉં એ વાત તમને નજીવી લાગે છે?’”
૨૪શાઉલના ચાકરોએ દાઉદ જે બોલ્યો હતો તે વિષે શાઉલને જાણ કરી.
૨૫અને શાઉલે કહ્યું કે, તમારે દાઉદને એમ કહેવું, ‘રાજાને કશા પલ્લાની જરૂર નથી. રાજાના શત્રુઓ પર વેર વાળવા માટે કેવળ પલિસ્તીઓનાં સો અગ્રચર્મ જોઈએ છે.’ આવું કહેવામાં શાઉલનો બદઈરાદો હતો કે દાઉદ પલિસ્તીઓના હાથથી માર્યો જાય.
૨૬હવે તેના ચાકરોએ એ વાતો દાઉદને કહી, ત્યારે દાઉદને રાજાનો જમાઈ થવાનું પસંદ પડ્યું.
૨૭તે દિવસો પૂરા થયા પહેલા દાઉદ પોતાના માણસોને લઈને ગયો. તેણે બસો પલિસ્તીઓને મારી નાખ્યા. અને તેઓનાં અગ્રચર્મ લાવ્યો, અને તેઓએ તે રાજાને પૂરેપૂરાં ગણી આપ્યાં, કે જેથી તે રાજાનો જમાઈ થાય. તેથી શાઉલે પોતાની દીકરી મિખાલને તેની પત્ની થવા માટે આપી.
૨૮અને શાઉલે જોયું અને જાણ્યું કે, ઈશ્વર દાઉદની સાથે છે. શાઉલની દીકરી મિખાલે તેને પ્રેમ કર્યો .
૨૯શાઉલને દાઉદનો વધારે ભય લાગ્યો. શાઉલ હંમેશ દાઉદનો વેરી રહ્યો.
૩૦ત્યાર પછી પલિસ્તીઓના રાજકુમારો લડાઈને માટે બહાર નીકળ્યા, તેઓ જેટલી વખત બહાર નીકળતા તેટલી વખત, દાઉદ શાઉલના સર્વ ચાકરો કરતાં વધારે સફળ થતો, તેથી તેનું નામ ઘણું જ લોકપ્રિય થઈ પડ્યું.
