Skip to content
Methodist Church Nadiad

2 શમુએલ ૧૯

100%

યોઆબને જણાવવાંમાં આવ્યું, “રાજા આબ્શાલોમ માટે રડે છે અને શોક કરે છે.”

માટે તે દિવસનો વિજય દાઉદના સર્વ સૈનિકો માટે શોકરૂપ થઈ ગયો હતો. કેમ કે સૈનિકોએ તે દિવસે સાંભળ્યું કે “રાજા પોતાના દીકરા માટે શોક કરે છે.”

જેમ યુદ્ધમાંથી પરાજિત થઈને નાસી છૂટેલા લોકો છાની રીતે છટકી જાય છે, તેમ તે દિવસે સૈનિકો ચૂપકીથી નગરમાં ચાલ્યા ગયા.

રાજાએ પોતાનું મુખ પર આવરણ કરીને ભારે વિલાપ કર્યો, “મારા દીકરા આબ્શાલોમ, આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!”

પછી યોઆબે રાજાના મહેલમાં જઈને તેને કહ્યું, “તેઓના એટલે તારા સર્વ સૈનિકોના મુખને તેં લજ્જિત કર્યા છે. જેઓએ તારો તારા દીકરાઓનો અને દીકરીઓનો, તારી પત્નીઓના અને ઉપપત્નીઓના જીવ બચાવ્યા હતા.

કેમ કે જેઓ તને ધિક્કારે છે તેઓને તું પ્રેમ કરે છે, જેઓ તને પ્રેમ કરે છે તેઓને તું ધિક્કારે છે. હે રાજા આજે તેં એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓ અને સૈનિકો તારી સામે કંઈ નથી. હું વિશ્વાસથી કહું છું કે જો આજે આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો તને તે ઘણું સારું લાગ્યું હોત.

માટે હવે ઊઠીને બહાર આવ અને તમારા સૈનિકોને દિલાસો આપો, કેમ કે હું ઈશ્વરની હાજરીમાં કહું છું કે, જો તું નહિ આવે, તો આજે રાત્રે કોઈ પણ માણસ તારી સાથે રહેશે નહિ. તમારી જુવાનીનાં દિવસથી અત્યાર સુધીમાં જે આફત તારા પર આવી હતી, તે સર્વ કરતાં આ વિપત્તિ તારે માટે વધારે ખરાબ થઈ પડશે.”

તેથી રાજા ઊઠીને નગરના દરવાજા આગળ જઈને બેઠો સર્વ લોકોને ખબર પડી કે રાજા દરવાજામાં બેઠો છે. પછી સર્વ લોકો રાજાની આગળ આવ્યા. સર્વ ઇઝરાયલીઓ તો પોતપોતાના તંબુઓમાં ચાલ્યા ગયા હતા.

ઇઝરાયલીનાં બધા કુળોના સર્વ લોકો એકબીજા સાથે દલીલ કરીને કહેતા હતા કે “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી અને પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા છે અને હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડીને દેશમાંથી જતો રહ્યો છે.

૧૦અને આબ્શાલોમ, જેનો આપણે અભિષેક કરીને આપણો અધિકારી નીમ્યો હતો, તે તો યુદ્ધમાં માર્યો ગયો છે. માટે હવે રાજાને પાછા લાવવા વિષે આપણે કેમ કશું બોલતા નથી?”

૧૧દાઉદ રાજાએ સાદોક અને અબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો કે “સર્વ ઇઝરાયલીઓ રાજાને પોતાના મહેલમાં પાછા લાવવાની વાતો કરે છે, એ વાત રાજાએ સાંભળી છે, તો યહૂદિયાના વડીલોને કહો કે, રાજાને ફરીથી મહેલમાં લાવવામાં તમે કેમ સૌથી છેલ્લાં છો?

૧૨તમે મારા ભાઈઓ છો, તમે મારા અંગતજનો છો તો પછી રાજાને પાછો લાવવામાં તમે શા માટે સૌથી છેલ્લાં રહ્યા છો?’”

૧૩અને અમાસાને કહો, ‘શું તું મારો અંગત સ્વજન નથી? જો તું યોઆબની જગ્યાએ સૈન્યનો સેનાપતિ ન બને તો, ઈશ્વર મને એવું અને એના કરતાં વધારે દુઃખ પમાડો.’

૧૪અને તેણે યહૂદિયાના સર્વ માણસોના હૃદય એક માણસનાં હૃદયની જેમ જીતી લીધાં. જેથી તેઓએ રાજાને સંદેશો મોકલ્યો, “તું અને તારા બધા માણસો પાછા આવો.”

૧૫તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવી પહોંચ્યો. અને યહૂદિયાના માણસો રાજાને મળવા અને તેને નદીને સામે પાર લઈ જવા માટે ગિલ્ગાલમાં આવ્યા.

૧૬બાહુરીમના ગેરાનો દીકરો શિમઈ બિન્યામીની, જલદીથી યહૂદિયાના માણસો સાથે દાઉદ રાજાને મળવા આવ્યો.

૧૭તેની સાથે એક હજાર બિન્યામીનીઓ હતા, શાઉલનો ચાકર સીબા અને તેના પંદર દીકરાઓ અને વીસ ચાકરો પણ હતા. તેઓ રાજાની હાજરીમાં યર્દન પાર ઊતર્યા.

૧૮તેઓએ રાજાના કુટુંબને યર્દન નદી પાર ઉતારવા માટે તથા તેને જે સારુ લાગે તેવું કરવા એક હોડી પેલે પાર મોકલી. રાજા નદી પાર કરીને આવ્યો ત્યારે ગેરાનો દીકરો શિમઈ તેની આગળ પગે પડયો.

૧૯શિમઈએ રાજાને કહ્યું, “મારો માલિક મને દોષી ન ગણે. મારા માલિક રાજા જે દિવસે યરુશાલેમ છોડીને ગયા ત્યારે મેં જે ખોટાં કામો કર્યા તે યાદ કરીશ નહિ. કૃપા કરી રાજાએ મનમાં ખોટું લગાડવું નહિ.

૨૦કેમ કે, તારો દાસ જાણે છે કે મેં પાપ કર્યું છે. મારા માલિક રાજાને મળવા માટે યૂસફના આખા કુટુંબમાંથી હું સૌથી પહેલો નીચે આવ્યો છું.”

૨૧પણ સરુયાના દીકરા અબિશાયે કહ્યું “શું શિમઈને મારી નાખવો ના જોઈએ, કેમ કે તેણે ઈશ્વરના અભિષિક્તને શાપ આપ્યો છે?”

૨૨ત્યારે દાઉદે કહ્યું, “ઓ સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શું લેવા દેવા છે, કે આજે તમે મારા દુશ્મનો થયા છો? શું ઇઝરાયલમાં આજે કોઈ માણસને મારી નંખાય? કેમ કે શું હું નથી જાણતો કે હું આજે ઇઝરાયલનો રાજા છું?”

૨૩પછી દાઉદ રાજાએ શિમઈને કહ્યું, “તું મરશે જ નહિ.” રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું.

૨૪પછી શાઉલનો દીકરો મફીબોશેથ રાજાને મળવા નીચે આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો હતો તે દિવસથી, તે શાંતિએ પાછો ઘરે આવ્યો ત્યાં સુધી તેણે એટલે કે મફીબોશેથે તેના પગ ધોયા ન હતા, દાઢી કરી ન હતી કે પોતાના વસ્ત્રો પણ ધોયાં ન હતાં.

૨૫અને તેથી જ્યારે તે યરુશાલેમમાં રાજાને મળવા આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ આવ્યો નહિ?”

૨૬તેણે જવાબ આપ્યો, “હે મારા માલિક રાજા, મારા ચાકરે મને છેતર્યો છે, કેમ કે મેં તેને કહ્યું, ‘હું અપંગ છું તેથી ગધેડા પર જીન બાંધીશ કે જેથી હું તેના પર સવારી કરીને રાજાની પાસે જાઉં,

૨૭મારા માલિક રાજા મારા ચાકર સીબાએ તારી આગળ, મને બદનામ કર્યો છે. પણ મારા માલિક રાજા તું તો ઈશ્વરના દૂત જેવો છે. એટલા માટે તારી નજરમાં જે સારું લાગે તે કર.

૨૮કેમ કે મારા માલિક રાજા આગળ મારા પિતાનું આખું કુટુંબ મૃત્યુ પામેલા માણસ જેવું હતું, પણ જેઓ તારી મેજ પર બેસીને જમતા હતા તેઓની મધ્યે તમે મને બેસાડ્યો છે. તેથી મારા રાજા મારો શો હક કે હું તને વધારે ફરિયાદ કરું?”

૨૯પછી રાજાએ તેને કહ્યું, “શા માટે ગઈ ગુજરી બાબતો તું મને જણાવે છે? મેં નિર્ણય કર્યો છે કે, તું અને સીબા શાઉલની બધી મિલકત વહેંચી લો.”

૩૦મફીબોશેથે રાજાને જવાબ આપ્યો, “ભલે સીબા બધી મિલકત લઈ લે. કેમ કે મારે માટે તો માલિક રાજા સુરક્ષિત પોતાના મહેલમાં પાછા આવ્યા છે એ જ પૂરતું છે.”

૩૧પછી બાર્ઝિલ્લાય ગિલ્યાદી રોગલીમથી આવ્યો અને રાજાને યર્દન પાર પહોંચાડવાને તેની સાથે યર્દન ઊતર્યો હતો.

૩૨હવે બાર્ઝિલ્લાય ઘણો વૃદ્વ એટલે કે એંશી વર્ષનો માણસ હતો. તે ઘણો ધનવાન માણસ હતો. રાજાને જયારે માહનાઇમમાં હતો ત્યારે તેણે તેને ખોરાક પૂરો પડ્યો હતો.

૩૩રાજાએ બાર્ઝિલ્લાયને કહ્યું, “મારી સાથે યર્દનને પેલે પાર આવ અને હું યરુશાલેમમાં મારી સાથે તારું પૂરું કરીશ.”

૩૪બાર્ઝિલ્લાયે રાજાને જણાવ્યું “મારી જિંદગીનાં વર્ષોમાં કેટલા દિવસો બાકી રહ્યા છે કે, હે રાજા હું તારી સાથે યરુશાલેમમાં આવું?

૩૫હું એંશી વર્ષનો થયો છું. શું હું સારા કે નરસાને પારખી શકું છું? હું જે ખાઉં કે પીઉં તેનો સ્વાદ માણી શકું છું? શું હું ગીત ગાનાર પુરુષો કે સ્ત્રીઓનો અવાજ સાંભળી શકું છું? તો પછી શા માટે મેં તારા ચાકરે માલિક રાજાને બોજારૂપ થવું જોઈએ?

૩૬હું તો ફક્ત યર્દન પાર ઊતરતાં સુધી જ તારી સાથે આવીશ. શા માટે રાજા મને આનો આટલો મોટો બદલો આપવો જોઈએ?

૩૭કૃપા કરી તારા ચાકરને પાછો ઘરે જવા દે, કે હું મારા નગરમાં મારા પિતા અને માતાની પાસે મરણ પામું. પણ જો, આ તારો દાસ કિમ્હામ અહીં મારી પાસે છે. તે ભલે નદી ઊતરીને આવે અને જેમ મારા માલિક રાજાને ઠીક લાગે તેમ તેની સાથે કરજે.”

૩૮રાજાએ જવાબ આપ્યો, “ભલે કિમ્હામ મારી સાથે નદી ઊતરીને આવે અને તને સારું લાગે તે હું તેના માટે કરીશ, તું મારી પાસે જે કંઈ માગીશ તે હું તારા માટે કરીશ.”

૩૯પછી રાજા અને તેના સર્વ લોકોએ યર્દન નદી પાર કરી, રાજાએ બાર્ઝિલ્લાયને ચુંબન કર્યું અને તેને આશીર્વાદ આપ્યો. પછી બાર્ઝિલ્લાય પોતાના ઘરે પાછો ગયો.

૪૦રાજા નદી પાર કરીને ગિલ્ગાલ ગયો અને કિમ્હામ પણ તેની સાથે ગયો. યહૂદિયાનું આખું સૈન્ય અને ઇઝરાયલનું અડધું સૈન્ય રાજાને નદી પાર ઉતારીને લાવ્યા.

૪૧ઇઝરાયલના સર્વ માણસોએ ઉતાવળે રાજા પાસે આવીને કહ્યું, “શા માટે અમારા ભાઈઓએ એટલે યહૂદિયાના માણસોએ, તમને કેમ ચોરી લીધા છે અને તારા કુટુંબને તથા તારી સાથે દાઉદના સર્વ માણસોને યર્દન પાર લઈ ગયા છે?”

૪૨તેથી ઇઝરાયલનાં માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, “કેમ કે રાજા અમારો નજીકનો સગો છે. શા માટે તમે આ વિષે અમારા પર ગુસ્સે થયા છો? શું અમે રાજાના પોતાના ખોરાકમાંથી કશું ખાધું છે? શું રાજાએ અમને કશી ભેટ આપી છે?”

૪૩ઇઝરાયલના માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, “રાજામાં અમારા દસ ભાગ છે, દાઉદ પર તમારા કરતાં વધારે અમારો હક છે. તમે શા માટે અમને તુચ્છ ગણો છો? અમારા રાજાને પાછો લાવવા વિષે અમારી સલાહ કેમ લીધી નહિ શું અમે ન હતા?” પણ યહૂદિયાના માણસોના શબ્દો ઇઝરાયલી માણસોના શબ્દો કરતા વધારે ઉગ્ર હતા.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.