નિર્ગમન ૧૯
૧મિસર દેશમાંથી પ્રયાણ કર્યા પછી ત્રીજા માસના પ્રથમ દિવસે જ ઇઝરાયલીઓ સિનાઈના અરણ્યમાં આવી પહોંચ્યા.
૨ઇઝરાયલીઓ રફીદીમથી સિનાઈના અરણ્યમાં આવ્યા ત્યારે સિનાઈ પર્વતની આગળ છાવણી કરી.
૩એ પર્વત પર જઈને મૂસા યહોવાહ સમક્ષ ઊભો રહ્યો. અને યહોવાહે તેને પર્વત પર કહ્યું, “ઇઝરાયલી લોકોને અને યાકૂબનાં સંતાનોને આ કહેજે કે,
૪‘તમે તમારી નજરે જોયું કે મેં મિસરવાસીઓને શું શું કર્યું છે. અને તમને મિસરમાંથી ગરુડની જેમ પાંખો પર ઊંચકીને હું મારી પાસે કેવી રીતે લાવ્યો.’
૫તેથી હવે જો તમે મારા કહ્યા પ્રમાણે કરશો અને મારા કરારને પાળશો, તો સર્વ પ્રજાઓમાં માત્ર તમે જ ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી મારી છે. તેમાં હું તમને જ મારા ખાસ લોકો તરીકે પસંદ કરું છું.
૬તમે મારે સારુ ખાસ યાજકોનું રાજ્ય બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.’ આ બધું તારે ઇઝરાયલના લોકોને કહેવાનું છે.”
૭આથી મૂસાએ આવીને લોકોના વડીલોને બોલાવડાવ્યા. અને યહોવાહે તેને જણાવેલાં બધાં વચનો તેઓની સમક્ષ કહી સંભળાવ્યાં.
૮તે સાંભળીને સર્વ લોકોએ એકસાથે જવાબ આપ્યો, “યહોવાહે જે ફરમાવ્યું છે તે બધાનું અમે પાલન કરીશું.” લોકોનો આ પ્રતિભાવ મૂસાએ ઈશ્વરની સમક્ષ જાહેર કર્યો.
૯પછી યહોવાહે મૂસાને કહ્યું, “જો હું ઘાડાં વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે.” અને મૂસાએ લોકોએ જે કર્યું હતું તે યહોવાહને કહી સંભળાવ્યું.”
૧૦પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું લોકો પાસે જા અને તેઓને કહે કે, આજે અને આવતીકાલે તેઓ પોતાનાં શરીરો શુદ્ધ કરે અને પોતાનાં વસ્ત્રો ધુએ,
૧૧અને ત્રીજા દિવસને માટે તૈયાર થઈ જાય; કારણ કે, ત્રીજે દિવસે હું યહોવાહ સર્વ લોકોના દેખતાં સિનાઈના પર્વત પર ઊતરવાનો છું.
૧૨તે વેળાએ તું પર્વતની ચારેબાજુ લોકોને માટે હદ નક્કી કરજે અને તેઓને કહેજે કે, ‘સાવચેત રહેજો, પર્વત પર ચઢશો નહિ અને તેની તળેટીને પણ અડકશો નહિ. અને જે કોઈ તેને અડકશે તે નિશ્ચે માર્યો જશે.’
૧૩જો કોઈ વ્યક્તિ તેને હાથ અડકાડે, તો તેને પથ્થરે મારવો અથવા તીરથી વીંધી નાખવો. તે પશુ હોય કે માણસ હોય પણ તે બચશે નહિ, જયારે રણશિંગડું લાંબા અવાજે વાગે ત્યારે જ લોકો ઢોળાવ ચઢીને પર્વત પાસે આવે.”
૧૪આથી મૂસા પર્વત પરથી નીચે ઊતરીને લોકો પાસે ગયો. અને તેણે તેઓને શુદ્ધ કર્યા. અને તેઓએ પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં.
૧૫પછી મૂસાએ તે લોકોને કહ્યું, “ત્રીજા દિવસને માટે તૈયાર થઈ જજો. ત્યાં સુધી સ્ત્રી સંગ કરશો નહિ.”
૧૬પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા.
૧૭એટલે મૂસા યહોવાહને મળવા માટે સર્વ લોકોને છાવણીમાંથી બહાર લાવ્યો; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા.
૧૮અગ્નિ દ્વારા યહોવાહ સિનાઈ પર્વત પર ઊતર્યા, એટલે આખા પર્વત પર ધુમાડો વ્યાપ્યો. અગ્નિનો એ ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી કંપવા લાગ્યો.
૧૯અને પછી જ્યારે રણશિંગડાના અવાજની તીવ્રતા વધવા લાગી ત્યારે મૂસા યહોવાહ સમક્ષ વાત કરવા લાગ્યો અને યહોવાહ ગડગડાટ જેવા અવાજથી તેને જવાબ આપતા હતા.
૨૦યહોવાહ સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યા; તેમણે મૂસાને પર્વતના શિખર પર બોલાવ્યો; તેથી મૂસા પર્વત પર ગયો.
૨૧ત્યાં યહોવાહ એ મૂસાને કહ્યું, “નીચે જા, અને લોકોને સાવધાન કર કે, તેઓ મારા દર્શનાર્થે નિયત હદ ઓળંગીને ઘસી આવે નહિ. જો તેઓ એવું કરશે તો તેઓ માર્યા જશે.
૨૨વળી જે યાજકો મારી નજીક આવે, તેઓએ પોતાને શુદ્ધ કર્યા નહિ હોય તો હું તેઓને સખત સજા કરીશ.”
૨૩એટલે મૂસાએ યહોવાહને કહ્યું, “લોકો સિનાઈ પર્વત પાસે આવી શકશે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી છે કે, પર્વતની ચારેબાજુ હદ નિયત કરજો કે લોકો તેને ઓળંગીને પવિત્ર મેદાનમાં આવે નહિ.”
૨૪એટલે યહોવાહે તેને કહ્યું, “જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને મારી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકોને નષ્ટ કરીશ.”
૨૫પછી મૂસાએ નીચે ઊતરીને યહોવાહે જણાવેલી વાત લોકોને કહી સંભળાવી.
